ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં હાલ વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ એન્કેકફેલાઈટીસ (ચાંદીપુરા) વાયરલના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મરણ થયેલ છે. આ રોગના વાહક એવા સેન્ડફ્લાય (રેતીની માખ) માટે આ વાતાવરણ અનુકૂળ હોય સેન્ડફ્લાયની ઉત્પતિ વિપુલ પ્રમાણમાં થતી હોય છે. જે આ રોગની સંભાવના અનેક ગણી વધતી જોવા મળે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાયરલ એન્કેકફેલાઈટીસ નામના કેસો જોવા મળતા હોય છે. હાલ જૂનાગઢ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત હોય તેવા એક પણ દર્દી નોંધાયેલ નથી. જેના આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પ્રજાજનોને ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
- Advertisement -
ચાંદીપુરા વાયરસ અટકાવવા શું કરવું
યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ અને સલામત પીવાના પાણીની વ્યવસ્થા રાખવી, બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો, ખાસ કરીને 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને સખત તાવના કિસ્સામાં બાળ રોગ નિષ્ણાંત પાસે સારવાર લેવી તથા નજીકના પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો, ઈનસેક્ટ બાઈટ ના કારણે હાથ અને પગે લાલ ચટાકા સાથે ચામડી ઉપર ઉપસેલા ચિન્હો દેખાય તેવા કિસ્સામાં તાત્કાલિક સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, ગ્રામ્ય વિસ્તાર, સીમવિસ્તાર, જુના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના મકાનનો ની દિવાલોની તિરાડમાં સેન્ડ ફ્લાય ની ઉત્પત્તિ થઈ શકે છે, જેથી જુના મકાનોની દિવાલોમા આવેલ તિરાડોને પ્લાસ્ટર કે માટીના લિપણથી પુરાવવી, અસરસગ્રસ્ત વિસ્તાર માં સેન્ડફ્લાય કંટ્રોલ માટે જંતુનાશક દવા મેલેથીયોન 5% પાવડરથી ઘર તેમજ ઘરની આસપાસ ડસ્ટીંગ કામગીરી કરવી.
ચિહ્નો અને લક્ષણો
ઉચ્ચ તાવ, માથાનો દુખાવો, હાથ અને પગે લાલ ચટાકા સાથે સોજો, ઝાડા ઉલટી, આંચકી ખેંચ કે તાણ આવે, ગરદન અને પીઠ ની જડતા, બોલવા અને સાંભળવામાં સમસ્યા, કેટલાક ગંભીર કિસ્સામાં લકવો અને કોમા



