તુમ રક્ષક કાહો કો ડરના
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
- Advertisement -
કળિયુગના એકમાત્ર જાગૃત દેવ એટલે હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમના રોજ થયો હતો. આથી આ દિવસે હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઠેર ઠેર હનુમાનજીની પુજા કરવામાં આવે છે. અને હનુમાનજીને વિવિધ પકવાનોનો ભોગ ધરવામાં આવે છે. અને હનુમાનજી ચિરંજીવી હોવાથી અનેક સ્થળોએ બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. હનુમાનજીએ ભક્તિ, શક્તિ, પ્રેમ, કરુણા અને પ્રમાણિક્તાના સાગર મનાય છે. આ ચૈત્રી સુદ પુનમના આખા દિવસે હનુમાનજી જેમના પરમ ભક્ત છે તેવા ભગવાન શ્રી રામને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે જેમાં રામાયણ, રમરક્ષા સ્ત્રોત અને રામ ભગવાનના ભજન બાદ હનુમાન યગ્ન જેમાં 108 હનુમાન ચાલીસા, સંકટ મોચન હનુમાન અષ્ટકના પાઠ કરવામાં આવે છે.
પોરબંદરમાં પણ હરી મંદિર ખાતે હનુમાન જ્યંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના વિવિધ હનુમાજીના મંદિર જેમાં પંચમુખી હનુમાનજી તથા આગીયાર મુખી હનુમાનજીના મંદિરે ભગવાનનો વિશેષ શણગાર સાથે હનુમાનજીના પાઠ અને હનુમાન ચાલીસાનું આયોજન કરાયું છે. સાથે ઠેર ઠેર બટુક ભોજન પણ રાખવામા આવ્યું છે. સાથે છેલ્લાં 19 વર્ષ થી સુદામા ચોક ખાતે આવેલા બાલા હનુમાન ખાતે પણ રક્તદાન કેમ્પ સાથે ભવ્ય આરતી, પુજા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં 2 લાખ 21 હજાર લાડુઓની પ્રસાદીનું વિતરણ કરવામાં આવનાર છે. આ સાથે લોકોને પણ આ મહાઉત્સવમાં સહભાગી થવાનું નિમંત્રણ અપાયું છે.