શ્રીમદ્ ભગવદ્ ગીતા હિંદુધર્મનો સર્વ સ્વીકાર્ય, સૌથી વધુ લોકપ્રિય ધર્મગ્રંથ છે. વેદવ્યાસજીનું આ સંકલન માત્ર 700 શ્લોકનું જ છે; પરંતુ વેદ – ઉપનિષદના સારરૂપ ભગવાનની પરાવાણી હોવાથી વિશ્વની મોટાભાગની ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે.
ગીતા ભલે ખિસ્સામાં સમાઈ જાય એટલો નાનો ગ્રંથ હોય; પરંતુ આ નાનકડા ગ્રંથ પર એટલું બધું લખાયું છે કે, એ બધું ભેગું કરીએ તો એક મોટી લાઇબ્રેરી થાય.
ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે. પરમાત્માએ આપેલા માનવદેહને સાર્થક કેમ કરવો, એની સરળ સમજૂતી ગીતામાં ભગવાને ખુદ આપી છે. ગીતાને ભગવાને માત્ર આધ્યાત્મિક ગ્રંથ જ નથી બનાવ્યો, પરંતુ વિશ્વનો સર્વોત્કૃષ્ટ મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ બનાવ્યો છે. માનવમનની વૃત્તિઓનું અદ્ભુત નિરુપણ ભગવાને આ ગ્રંથમાં કર્યું છે.
કોઇપણ માણસને રાજી કરવો હોય, તો એનું મન અને હૃદય જાણવું પડે. મન અને હૃદયમાં શું ચાલે છે, એ જાણીને એ મુજબ વર્તીએ; તો એ માણસ રાજી થાય. ગીતા ભગવાનનું મન અને હૃદય છે. ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો ગીતાને જાણવી, સમજવી અને અનુસરવી પડે.
ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાનને કેવો ભક્ત પ્રિય છે ? કેવા સ્વભાવનો માણસ પ્રભુને ગમે છે ? એની વાતો ભગવાને કરી છે. આજે ધ્યાનથી 12મો અધ્યાય વાંચજો ભગવાને પોતાને પ્રિય હોય એવા માણસના જે જે લક્ષણોની વાત કરી છે એવા વધુમાં વધુ લક્ષણો તમને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળશે. મતલબ એ થયો કે આવા મનોદિવ્યાંગ લોકો ભગવાનની સૌથી નજીક હોય છે.
ગીતા જયંતીની સાથે સાથે આજે યોગાનુયોગ વિશ્વ વિકલાંગતા(દિવ્યાંગતા) દિવસ છે ત્યારે આપ સૌને એટલું જ કહેવું છે કે આપના પરિવારમાં કે આપની આસપાસ કોઈ મનોદિવ્યાંગ માણસ હોય તો સમજજો કે તમે ભગવાનના સૌથી પ્રિય માણસની નજીક છો.
જેમને ત્યાં મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો હોય એ માતા-પિતા સૌથી વધુ ભાગ્યશાળી હોવા છતાં કદાચ સૌથી વધુ દુ:ખી પણ હોય છે કારણકે એમને સતત ચિંતા હોય છે કે એમની ગેરહાજરીમાં એમના બાળકનું શું થશે ? આજે ગીતા જયંતીના દિવસે મનોદિવ્યાંગ બાળકોના વાલીઓને મુંઝવતા આ સવાલનો જવાબ આપી શકે એવી અનોખી સંસ્થાની વાત કરવી છે.
આજથી લગભગ 32 વર્ષ પહેલાં જૂનાગઢના રહેવાશી શ્રી ધીરુભાઈ પટેલ પણ એમના મનોદિવ્યાંગ દીકરા માટે એક એવી સંસ્થા શોધતા હતા જે માત્ર એના દીકરાને સાચવે એટલું જ નહિ પણ દીકરો માતા-પિતાની ગેરહાજરીમાં પોતાનું કામ પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે. ઘણી સંસ્થાઓની મુલાકાત બાદ ધીરુભાઈ પટેલને સમજાયું કે હું જેવી અપેક્ષા રાખું છું એવી સંસ્થા મળવી મુશ્કેલ છે. મારા જેવી જ મુશ્કેલી બીજા ઘણા વાલીઓને હશે. આ બધા વાલીઓની સમસ્યા દૂર કરવા માટે હું પોતે જ મારા સપનાં મુજબની એક સંસ્થા ઊભી કરું. આ વિચારમાંથી જૂનાગઢમાં શ્રી મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટની સ્થાપના થઈ.
જૂનાગઢના વંથલી રોડ પર વાડલા ફાટક પાસે આવેલી આ સંસ્થા આજે ન કેવળ જૂનાગઢ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ બની ગઈ છે. આ સંસ્થામાં ભગવાનને પ્રિય છે એવા 125 મનોદિવ્યાંગ દીકરાઓને રહેવાની વ્યવસ્થા છે અને 125 દીકરા-દીકરીઓ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી રોજ આ સંસ્થામાં જીવનના પાઠ ભણવા આવે છે. કેટલાક વાલીઓ તો પોતાના બાળકો માટે ખાસ જૂનાગઢ રહેવા આવી ગયા છે અને આસપાસ મકાન રાખીને રહે છે.
આ બાળકોને સંસ્થામાં સામાન્ય શિક્ષણ તો આપવામાં આવે જ છે પરંતુ વિવિધ પ્રકારની 6થી વધુ તાલીમ અને થેરાપી દ્વારા એના જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તાલીમ પામેલા 60 શિક્ષકો અને સહયોગીઓના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આ બાળકો પોતાનું કામ જાતે કરી શકે એ માટે એમને સક્ષમ બનાવી એમના માતા-પિતાની ચિંતા ઓછી કરવામાં મદદ કરે છે. વર્ષ દરમ્યાન તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને આ ઉજવણીમાં નાચતા, ગાતા, વગાડતા બાળકોને જુઓ એટલે તમને સાક્ષાત પરમાત્માના દર્શન થયા. આ અનુભૂતિ મે કરેલી છે એટલે કહું છું કે એકવખત મનોદિવ્યાંગ બાળકોને નજીકથી નિહાળવાની અનુભૂતિ કરવા જેવી છે.
સુરતના બિલ્ડર, ખૂબ સારા વાંચક-વિચારક અને મારા વડીલ મિત્ર રાજુભાઈ કોશિયા (શ્રી આર.કે.પટેલ) છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાનું અદભૂત સંચાલન કરી રહ્યા છે. ગીતાજીના 12માં અધ્યાયમાં ભગવાને પોતાને પ્રિય માણસના કહેલા લક્ષણો અને મનોદિવ્યાંગ લોકોમાં જોવા મળતા લક્ષણોની સરખામણી કરનાર શ્રી આર.કે.પટેલ જ છે. મનોદિવ્યાંગ બાળકને સૌથી સારી રીતે સમજવા માટે મારા મત પ્રમાણે બે બાબત હોવી જરૂરી છે. 1. તમારા ઘરે મનો દિવ્યાંગ બાળક હોવું જોઈએ અને 2. તમને પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. શ્રી આર.કે.પટેલમાં આ બંને બાબતનો સુભગ સમન્વય થયો છે અને એટલે આ માણસ નિસ્વાર્થ ભાવે છેલ્લા 5 વર્ષથી મનોદિવ્યાંગોની દિલથી સેવા કરી રહ્યો છે.
આજે ગીતાજીના પ્રાગટયદિન પર ગીતાજીને અને ગીતા ગાનારા યોગેશ્વરને તો વંદન કરીએ જ પરંતુ પ્રભુના પ્રિય મનોદિવ્યાંગ બાળકો, એમના માતા-પિતા અને આવા બાળકોની સંભાળ લેનાર સૌ લોકોને પણ વંદન કરીને સાચા અર્થમાં ગીતા જયંતીનો ઉત્સવ ઉજવીએ.
ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનગ્રંથ છે
