ભગવદ્ગીતાનો ગુંજારવ અને માનવસેવાના સવા સાત દાયકા પૂર્ણ
મહંત શાંતિપ્રસાદજી અને પ્રેમભિક્ષુજી મહારાજના હસ્તે સ્થાપના કરી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરમાં કાશી વિશ્ર્વનાથ મંદિર પાસે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ગીતા મંદિર ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) શ્રાવણ સુદ સાતમ ને તુલસી જયંતી, બુધવાર તા. 23 ઓગસ્ટના રોજ 74માં વર્ષમાં પ્રવેશ કરે છે. આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે તે ધ્યાનમાં રાખીને બાળકોને જો બાળપણથી જ ભગવદ્દગીતા, રામાયણ અને સંસ્કૃત સ્તોત્રોનું અધ્યનન કરવામાં આવે તો સદાચાર, સદ્ગુણ અને સહિષ્ણુતાથી પરિપૂર્ણ આદર્શ નાગરિકોનું ઘડતર થાય અને પરિણામે એક સમર્થ, અખંડ, આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થાય.
આ ભવ્ય હેતુને લક્ષમાં લઈને બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ.શ્રી મનહરલાલજી મહારાજે આજથી 73 વર્ષો પૂર્વે છોટી કાશી ગણાતા જામનગરમાં આણદાબાવા આશ્રમના મહંત પૂ.શ્રી શાંતિપ્રસાદજી મહારાજ અને શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના વરદહસ્તે તુલસી જયંતીએ ગીતા વિદ્યાલયની સ્થાપના કરીને હજારો બાળકોને ગીતાજીના અધ્યયન દ્વારા સંસ્કાર સિંચન કરીને ગીતાનો નાદ ગુંજતો કર્યો. બાળકો દ્વારા ભગવદ્ગીતાનો જન્મદિન ગીતા જયંતી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો. પરિણામે આજે ટી.વી., કોમ્પ્યુટર, મોબાઈલ, ટ્યુશન ક્લાસના જમાનામાં પણ વર્ષના 365 દિવસ પ્રતિદિન નાના ભૂલકાઓ ગીતાજીનું અધ્યયન કરતા હોય અને સંસ્કૃત શ્ર્લોકોની અંતાક્ષરી રમતાં હોય તેવી ગુજરાત રાજ્યની સૌ પ્રથમ સંસ્થા ગીતા વિદ્યાલયનું નિર્માણ થયું.