નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 170 પર પહોંચી ગઈ, પૂર-ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી અને તણાઇ જવાને કારણે 42 લોકો ગુમ
ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. વાસ્તવમાં પૂર અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 170 પર પહોંચી ગઈ છે. આ સાથે જ 42 લોકો ગુમ થયાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે, પૂર્વી અને મધ્ય નેપાળના મોટા ભાગો શુક્રવારથી ડૂબી ગયા છે અને દેશના ઘણા ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે 42 લોકો ગુમ છે.
- Advertisement -
ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટ્યો
અધિકારીઓએ જણાવ્યું કે બચાવી લેવામાં આવેલા લોકોને ખાદ્ય સામગ્રી સહિત તમામ જરૂરી રાહત સામગ્રી આપવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે કાઠમંડુની બહારના બલ્ખુ વિસ્તારમાં સામાજિક કાર્યકરોની મદદથી 400 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવે શનિવારથી બ્લોક થઈ ગયો છે ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો ઘણા હાઈવે પર ફસાયેલા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે જ્યાં રસ્તાઓ અવરોધિત છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાલી કરવાના પ્રયાસો ચાલુ છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા પોખરેલે જણાવ્યું હતું કે કાઠમંડુને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય જમીન માર્ગ ત્રિભુવન હાઇવે પર પરિવહન ફરી શરૂ થયું છે. પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલોને નુકસાન થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, તેઓએ 40-45 વર્ષમાં કાઠમંડુ ખીણમાં આટલા વિનાશક પૂર અને પાણીની તબાહી ક્યારેય જોઈ નથી.
- Advertisement -
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના આબોહવા અને પર્યાવરણ નિષ્ણાત અરુણ ભક્ત શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, મેં કાઠમંડુમાં આટલા પ્રમાણમાં પૂર પહેલાં ક્યારેય જોયા નથી.એક ICIMOD અહેવાલમાં જણાવાયું છે કે, કાઠમંડુની મુખ્ય નદી બાગમતી, શુક્રવાર અને શનિવારે પૂર્વી અને મધ્ય નેપાળના મોટાભાગના ભાગોમાં સતત વરસાદ પડ્યા બાદ ભયના સ્તરથી ઉપર વહી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે, બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ અને ચોમાસાની રેખા સામાન્ય કરતાં વધુ ઉત્તર તરફ હોવાના કારણે શનિવારના અસાધારણ ભારે વરસાદનું કારણ છે.
બિહારમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત
બિહારના 13 જિલ્લાઓમાં 16.28 લાખથી વધુ લોકો પૂરના કારણે ખતરનાક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ વિસ્તારના લોકો પહેલાથી જ વરસાદના કારણે પૂરનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે નદીના વહેણના કારણે તેઓ પણ જોખમના આરે આવી ગયા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારે શનિવારે વાલ્મિકીનગર અને બીરપુર બેરેજમાંથી પાણી છોડ્યા પછી રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગોમાં કોસી, ગંડક અને ગંગા જેવી ફુલેલી નદીઓના કિનારે પૂરની ચેતવણી જારી કરી છે.
રાજ્યના જળ સંસાધન વિભાગ (WRD) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે વરસાદને કારણે શનિવારે ગંડક, કોશી, મહાનંદા વગેરે નદીઓમાં પાણીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્યના જળ સંસાધન વિભાગના મુખ્ય સચિવ સંતોષ કુમાર મલે જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યા સુધી કોસી નદી પરના બીરપુર બેરેજમાંથી કુલ 5.79 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે 56 વર્ષમાં સૌથી વધુ છે. એજન્સીના જણાવ્યા અનુસાર પાળાની સુરક્ષા માટે તમામ સુરક્ષા પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. છેલ્લી વખત આ બેરેજમાંથી મહત્તમ પાણી 1968માં 7.88 લાખ ક્યુસેક છોડવામાં આવ્યું હતું.