સિવિલમાં ગંભીર હાલતમાં દાખલ થયા હતા આધેડ, ભાંગેલી પાસળીઓ-હેમરેજની સારવાર કરી ડોક્ટર્સે પરિવારને શોધી કાઢતા ભાવુક દૃશ્યો સર્જાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જરી વિભાગે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં હોસ્પિટલના તબીબો અને સ્ટાફની અથાગ મહેનત અને માનવીય અભિગમથી છેલ્લા 15 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા એક પિતાનું તેમના પુત્ર સાથે પુન:મિલન થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર ગત 31 માર્ચે ઇમરજન્સી વોર્ડમાં અજાણ્યા 45 વર્ષીય પુરુષને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાસુદેવભાઈ જોશી નામના આ દર્દી એક વાહન અકસ્માતમાં સખત રીતે ઘાયલ થયા હતા. તેમને માથામાં હેમરેજ થયું હતું અને છાતીની પાંસળીઓ ભાંગી ગઈ હોવાથી તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. આ ઉપરાંત, તેમના બંને પગના થાપાના હાડકાં પણ તૂટી ગયા હતા. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી જીવ બચવાની આશા ઓછી હતી.
જોકે, હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી. ઓર્થોપેડિક વિભાગના ડો. શૈલેશ રામવત અને ડો. જય તુરખીયાના માર્ગદર્શન હેઠળ રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ જેમાં ડો. ધવલ કાકડીયા, ડો. હિરેન કટારીયા અને ડો. રુત્વિક કાનાણીનો સમાવેશ થાય છે. તેમણે દિવસ-રાત જોયા વિના દર્દીની સારવાર કરી અને લગભગ દોઢ મહિના સુધી ચાલેલા સઘન પ્રયત્નોના પરિણામે આખરે વાસુદેવભાઈ ભાનમાં આવ્યા હતા.
- Advertisement -
રાજકોટ મેડિકલ કોલેજના એસોસીએટ પ્રોફેસર ડો. જય તુરખિયાએ જણાવ્યું હતું કે, જ્યારે વાસુદેવભાઈ ભાનમાં આવ્યા, ત્યારે અમે તેમની ઓળખ અને પરિવાર વિશે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. અમારી ટીમે ધીરજથી તેમની સાથે વાતચીત કરી અને તેના ગામ વિશે પૂછપરછ કરીને તેમની પાસેથી મળેલ માહિતીના આધારે પોલીસનો સંપર્ક કર્યો અને તેના ગામની પોલીસને જાણ કરી હતી. બાદમાં સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાસુદેવભાઈના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી અને સમાચાર મળતા તેમના પુત્ર અને ભાઈ તાત્કાલિક રાજકોટ દોડી આવ્યા હતા.