પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્ત્વ: ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી થઈ શકે છે પાક સંરક્ષણ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગીર સોમનાથના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર પ્રાકૃતિક ખેતી થકી કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારી શકાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની મદદથી વિવિધ પ્રકારની પાકની બીમારીઓ અટકાવી શકાય છે. જેમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણું મહત્વનો ભાગ ભજવે છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. કારણ કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સૂક્ષ્મ જીવાણુ અને પોષક તત્વોનો ખજાનો છે. ગૌમૂત્ર એ પાકનું જીવન ચક્ર પૂરું કરવા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. ઉપરાંત પાકના વૃદ્ધિ અને વિકાસના નિયંત્રણ માટે જરૂરી હોર્મોન્સ પૂરા પાડે છે.
- Advertisement -
આ ઉપરાંત પાકને નુકસાન કરતા જંતુઓ બેક્ટેરિયા વાયરસ ફૂગ વગેરે સામે રક્ષણ આપે છે. ગોબર એ સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. એક ગ્રામ ગોબરમાં જૂદા-જૂદા પ્રકારના 300 થી 500 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, તે અનેક પ્રકારે જમીનને સમૃદ્ધ કરવાનું કામ કરે છે. દેશી ગાયના ગોબરમાં નાઇટ્રોજન સ્થાપન માટે જવાબદાર ફોસ્ફરસ, પોટાશ, અને સલ્ફરની લભ્યતા માટે જવાબદાર પેસ્ટીસાઈડ અને હેવી મેટલનું વિઘટન કરનાર તેમજ પાકના અવશેષો અને સેન્દ્રીય પદાર્થોનું વિઘટન કરનાર પાકવૃદ્ધિકારકો અને જંતુઓ અને રોગકારકોનું જૈવિક નિયંત્રણ કરનાર સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. આમ, દેશી ગાયના ગોબર અને ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ બનાવી શકાય છે તેમજ ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ અસ્ત્રોથી પાક સંરક્ષણ થઈ શકે છે આમ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ વગેરે ખરીદવાની જરૂરિયાતરહેતીનથી.