કેનાલમાં પાણી છોડવા અંગે મુદત પડતાં કિસાનો અકળાયા, કોંગ્રેસના આગેવાનોને કેનાલમાં ઝાંખરા હોવાના દૃશ્યો બતાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લાના ખેડૂતોને આગોતરા વાવેતર માટે સમયસર પાણી મળવું ખુબ જરૂરી છે અને અમે અગાઉથી પત્ર લખી પાણી છોડવાની માંગ કરી હતી પણ તંત્ર માત્ર મુદત અપાતી હોવાથી અમે હાઈવે ચક્કાજામની ચીમકી આપતા રાત્રે પાણી છોડવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી પાણી ન આવતા અમે આજે ચક્કાજામ કરતા અમારી ધરપકડ કરી હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ આ ક્ષેપ કર્યો હતો.
- Advertisement -
મોરબી મોરબી જિલ્લામાંથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની કેનાલમાં છેલ્લા બે મહિનાથી રીપેરીંગ અને સફાઈની કામગીરી માટે પાણી છોડવાનું બંધ કરાયું હતું અને ખેડૂતોને નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા 30 મે સુધીમાં ખેતર સુધીમાં પાણી મળી જશે તેવી ખાતરી પણ અપાઇ હતી. જો કે ખેડૂતોને મુદત પૂર્ણ થયે પાણી ન મળતા ફરી રજૂઆત કરી હતી પણ અધિકારીઓના દાવા ખોટા ઠર્યા હતા, જે બાદ જિલ્લા કોંગ્રેસે પણ 5 જૂન સુધીમાં પાણી નહી છોડવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી. કોંગ્રેસ રસ્તા રોકવા ખેડૂતો સાથે તૈયારી કરતી હતી તે દરમિયાન નર્મદા વિભાગ દ્વારા 5 જૂન રાતથી બ્રાહ્મણી ડેમમાં પાણી છોડવાનું શરુ કરી દેવાયુ હતું, તેમ છતાં કોંગ્રેસ દ્વારા આજે માળિયા અમદાવાદ હાઈવે પર ચક્કાજામનો કાર્યક્રમ તેમજ નર્મદા કેનાલમાં ઉતરી આજની તારીખે કેનાલ ખાલી હોવાના દ્રશ્ય દેખાડ્યા હતા. કોંગ્રેસ દ્વારા દાવા કરાયા હતા કે નર્મદા વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી કેનાલ મેન્ટેન્સ અને સફાઈ નામે પાણી બંધ કરાયું હોવા છતાં આજ દિન સુધી મોટા ભાગની કેનાલમાં ઝાળી ઝાંખરા યથાવત છે તેમજ મોટા ભાગની કેનાલમાં ગાબડા યથાવત છે. કોંગ્રેસ દ્વારા જેવો રોડ ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રોડ રોકવા પ્રયાસ કર્યો કે તુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા માળિયા તાલુકા કોંગ્રેસ આગેવાન મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતનાની અટકાયત કરાઇ હતી.