લીલો રંગ તમારી જિંદગીને બનાવે લીલીછમ!
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
વાસ્તુમાં રંગો પંચતત્ત્વોની ઊર્જાને સંતુલિત કરવામાં ઘણાં સહાયરૂપ થતાં હોય છે. દરેક રંગ શીતળ (ઠંડો), ગરમ કે તટસ્થ પ્રકૃત્તિ ધરાવે છે તેથી ઘરમાં પ્રવૃત્તિ અનુસાર કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો તે માટે તમારા નિષ્ણાંતની સલાહને અનુસરી ચોક્કસ લાભ મેળવી શકાય. જેમ કે ગયા સપ્તાહે ચર્ચા થયા મુજબ બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ દાંપત્ય જીવનમાં અશાંતિ સર્જી શકે છે. આમ પણ ઘરની અંદરની બાજુ ડાર્ક કે ઘાટા કલરનો વધારે ઉપયોગ કરવો સલાહભર્યું નથી. ઘણાં લોકો ઘરમાં એક જ ડાર્ક કલરની થીમ પૂરા ઘરમાં લગાવતાં હોય છે જે બરાબર નથી.
જેવી રીતે ભોજનમાં આપણને વિવિધ વાનગીઓ સ્વાદ અને આનંદ આપે છે તેમ ઘરમાં દરેક રંગનો દિવાલ પર, ફર્નીચર કે કલાકૃતિમાં સારી ઊર્જાને આકર્ષવામાં ઉપયોગ કરી શકાય છે. ઈજિપ્ત, યુરોપિયન દેશો તથા ચાઈનામાં પણ રંગોના માધ્યમથી શારીરિક અને મનોચિકિત્સાની સારવારની પદ્ધતિઓ અમલમાં હતી. પાછલા લેખમાં વાસ્તુ અને કલર અનુસંધાનમાં લાલ કલર વિશે ચર્ચાઓ કરી હતી. આ અંકમાં આપણે લાલ જેવા જ બીજા મહત્ત્વના કલર વિશે સમજીએ.
- Advertisement -
લીલો (ગ્રીન)
લીલો રંગ ઉત્તર દિશા અને બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે. લીલો રંગ હિલીંગ માટે સૌથી સારો રંગ છે. બીમાર વ્યક્તિને ઝડપથી રિકવરીમાં સહાયરૂપ છે. પહેલાંના સમયમાં એટલે જ હોસ્પિટલમાં કપડાં તથા પડદાઓમાં ગ્રીન કલર ઘણો જોવા મળતો હતો. લીલો રંગ એ પ્રકૃત્તિ અને વિકાસ સાથે સંબંધ ધરાવે છે. લીલા રંગમાં પરિસ્થિતિઓને બેલેન્સ કરવાનો ગુણ છે. વારંવાર આવતાં ગુસ્સાને ક્ધટ્રોલ કરવામાં ગ્રીન (લીલો) કલર ઉપયોગી છે. આર્થિક લાભ મેળવવા આ રંગનો ઉપયોગ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલ પર રહેલી લીલી લાઈટ પણ આપણને આગળ વધવાની સંજ્ઞા આપે છે. મનુષ્યને ભરપૂર ઓક્સિજન અને ફળો આપતાં વૃક્ષો લીલા રંગના છે. કોઈ પણ વસ્તુના પ્રસાર કે વિસ્તાર કરવામાં ગ્રીન કલર મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ઘર કે ઓફિસમાં લીલો રંગ દિવાલ પર કે ફર્નીચરમાં ઉપયોગમાં ન લઈ શકાય તેમ હોય તો ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.
કાળો રંગ
કાળો રંગ એ ગ્રહોમાં શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે તેથી કાળા રંગથી ઘણાં લોકો ગભરાતા હોય છે તથા જીવનમાં લગભગ બધી જગ્યાએ કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. વાસ્તવમાં જીવનમાં દરેક રંગનું ચોક્કસ મહત્ત્વ છે તથા દરેક રંગની જરૂરિયાત પણ એટલી જ છે. ફક્ત આપણે એ રંગ કેટલી માત્રામાં ઉપયોગ કરવાનો છે, તેના માટે વિવેક બુદ્ધિનોઉપયોગ કરવાનો છે, ફેશનની દુનિયામાં કાળો રંગ ખૂબ જ ફેવરિટ રહ્યો છે. કેમ કે કાળો રંગ ઊર્જાને પોતાની તરફ આકર્ષે છે તેથી ઘર ડિઝાઈન કરતી વખતે ઘણાં લોકો બધું જ ઈન્ટિરિયર બ્લેક કલર કરવાનું પસંદ કરતાં હોય છે. કોઈ પણ રંગ વધારે માત્રામાં વાપરવાથી આપણે ઊર્જાની ગતિને અસંતુલિત કરીએ છીએ અને નુકસાન કરતાં હોઈએ છીએ, તેથી કાળા રંગનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો. નજર ન લાગે તે માટે આ રંગનો ઉપયોગ થતો હોય છે. બાળક સુંદર કે દેખાવડું હોય તો માતા બાળકને કાળા કાજળનું ટપકું લગાવે છે જેથી નજર ન લાગે. તેવી જ રીતે ઘર કે ઓફિસમાં પણ મર્યાદિત પ્રમાણમાં કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ કરી શકાય છે. કાળા કલરનો વધુ પડતો ઉપયોગ અસ્થિરતા તથા તણાવ વધારે છે તથા જીવનમાં ચડાવ-ઉતારની પરિસ્થિતિઓ સર્જે છે.
- Advertisement -
પીળો રંગ
પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે. ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણો પવિત્રતા ધરાવતો આ કલર છે. ઘણાં લોકો ગુરુ મહારાજની કૃપા મેળવવા પીળા વસ્ત્રો રોજિંદા જીવનમાં ધારણ કરતાં હોય છે અથવા પીળા કલરના હળદર, ચંદન કે કેસરનું તિલક અને ચંદન કરતાં હોય છે. પીળો રંગ એ પૃથ્વી તત્ત્વ સાથે સંકળાયેલો હોવાથી સ્થિરતાનો રંગ છે. રોજબરોજના જીવનમાં આપણે ફ્લોરીંગમાં ક્રીમ, બ્રાઉન, આઈવરી કલરનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પીળો રંગ સ્થિરતા સાથે સલામતી અને સમૃદ્ધિમાં પણ સહાયરૂપ થતો હોય છે.
પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે, ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણી પવિત્રતા ધરાવતો આ કલર છે.
સફેદ રંગ
સફેદ રંગ પવિત્રતા સાથે સંકળાયેલો રંગ છે. આ એક નિર્દોષ કલર છે. મનને ખૂબ જ શાંતિ આપનાર આ રંગ છે. મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગમાં તટસ્થતાનો ગુણ હોવાથી અન્ય રંગો સાથે ઉપયોગમાં લઈ શકાય. બેઠક રૂમમાં સફેદ રંગ લગાવવો સારૂં રહેશે. હવે વાચકમિત્રો એ રંગ વાપરતા પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જરૂરી નથી કે દિવાલ પર ચોક્કસ રંગ લગાવવાથી જ વાસ્તુ ઠીક થાય. જો આપ દરેક દિવાલ પર અલગ-અલગ કલર લગાવશો તો આખું ઘર સપ્તરંગી થઈ જશે.
તમો જે તે દિશા તથા ત્યાંના તત્ત્વોના આધારે તે રંગ કે અનુકુળ આકારની અન્ય ઘર વપરાશ કે સજાવટની વસ્તુ અથવા તે રંગની ફોટોફ્રેમ પણ રાખી શકો છો. હા, એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ દિશા કે ખૂણામાં તેનો એન્ટી વિરોધી કલર કે તેની વસ્તુઓ ના રાખવી. છેલ્લાં બે અંકોમાં રંગો વિશે આપણે ઘણી માહિતી મેળવી. વાચકમિત્રોના પ્રશ્ર્નોના જવાબ ઘણાં સમયથી આપી શકાયા નથી જેનો સમાવેશ આવતા સપ્તાહે કરીશું.
બ્લ્યુ રંગ
બ્લ્યુ રંગ એ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જીજ્ઞાસાવૃત્તિ વધારવા તથા નવા તર્કસંગત વિચારોમાં આ રંગ ઘણો મદદરૂપ બને છે. બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરી શકાય. રસોડાની અંદર આ રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. અધ્યાત્મ સાથે સંકળાયેલો આ રંગ ઠંડી પ્રકૃત્તિ દર્શાવે છે અને શાંતિ અને સંતોષની અનુભૂતિ આપે છે. હંમેશા નવી તાજગી આપતાં આ રંગનો ઉપયોગ નાના બાળકોના પ્લે હાઉસમાં કરી શકાય.
ઓરેન્જ (નારંગી) રંગ
ઓરેન્જ (નારંગી) કલરથી જીવનમાં ઊર્જાનો સંચાર થાય છે. આ રંગ સૂર્ય સાથે સંકળાયેલો હોવાથી નવી તાજગી અને સારા વિચારો આપનાર છે. આ કલરની અંદર જવાબદારી અને નવી તકો આપતો હોવાથી ઘર કરતાં વ્યવસાય (ધંધા)ના સ્થળે આ રંગનો ઉપયોગ કરી શકાય. મહત્ત્વાકાંક્ષી લોકો માટે ઓરેન્જ (નારંગી) રંગ ખૂબ ઉપયોગી છે. જાહેર જીવનમાં સંકળાયેલા લોકો માટે ઓરેન્જ કલરનો ઉપયોગ અકલ્પનીય લાભ આપી શકે છે.
ગુલાબી રંગ
આ રંગ પ્રેમ અને સ્નેહ સાથે સંકળાયેલો રંગ છે. માસ્ટર બેડરૂમની અંદર નવવિવાહિત દંપતિ પીંક (ગુલાબી) રંગનો ઉપયોગ કરી શકે છે. પતિ-પત્ની વચ્ચે આ રંગ સારું- આનંદી વાતાવરણ સર્જવામાં સહાયરૂપ બને છે. વિવાહ યોગ્ય ક્ધયાના રૂમમાં પણ પીંક (ગુલાબી) રંગ વાપરી શકાય.
લીલો કલર એ પ્રકૃત્તિએ મનુષ્યને આપેલ આશીર્વાદ છે
મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ સફેદ રંગનો ઉપયોગ કરી શકાય.
ઓરેન્જ (નારંગી) રંગ કલર વ્યવસાય (ધંધા)ના સ્થળે ઉપયોગ કરી શકાય.
બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ બ્લ્યુ રંગનો ઉપયોગ કરી શકાય.
રસોડાની અંદર કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ ટાળવો જોઈએ.
પૃથ્વી તત્ત્વના અન્ય રંગો જેવા કે બ્રાઉન, વુડ, ક્રીમ, આઈવરી કલરનું ફ્લોરિંગ વાપરવું સારૂં રહેશે.
ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.
બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ કરવો નહિં.
પીંક (ગુલાબી) કલરનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય.
ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં લાલ રંગનો ઉપયોગ કરી શકાય.