પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ
વૃદ્ધાના ફેફસાંમાં ઈન્ફેક્શન અને બ્લડ સુગર લેવલ 500થી વધુ છતાં ઓપરેશન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જુનાગઢ શહેરમાં આરોગ્ય સેવાઓને લઈને ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારી દાખવી વૃદ્ધાના મોત માટે જવાબદાર હોવાના આક્ષેપો સાથે પોલીસમાં સવિસ્તાર ફરીયાદ નોંધાવવામાં આવી છે. માણાવદરના રહેવાસી વિજયભાઈ વિનોદભાઈ જોષીએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં હોસ્પિટલના સંચાલકો, ડોક્ટરો અને સ્ટાફ સામે ગંભીર આરોપો મૂક્યા છે. ફરીયાદ મુજબ, વિજયભાઈની માતા ભારતીબેન વિનોદભાઈ જોષી (ઉંમર અંદાજે 70 વર્ષ)ને છેલ્લા કેટલાક દિવસોથી ઉધરસ અને ગેસની તકલીફ રહેતી હોવાથી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે તેમને જુનાગઢની કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરતી વેળાએ પરિવારજનોને પ્રથમ રૂ. 20,000 જમા કરાવવા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જ સારવાર શરૂ કરવામાં આવી હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ છે.
દાખલ કર્યા બાદ દર્દીના કાર્ડિયોગ્રામ, ઈછઙ, ઈઇઈ અને ટ્રોપોનિન જેવા ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ઈછઙ સિવાય બાકીના તમામ રિપોર્ટ સામાન્ય હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ બીજા દિવસે કાર્ડિયોગ્રામ અને 2ઉ ઇકો ટેસ્ટ પણ સામાન્ય આવ્યા હોવા છતાં ડોક્ટરો દ્વારા એન્જિઓગ્રાફી કરવાની સલાહ આપવામાં આવી. 2 ફેબ્રુઆરીના રોજ કરાયેલી એન્જિઓગ્રાફીમાં દર્દીની ત્રણેય નસોમાં બ્લોકેજ હોવાનું જણાવી બાયપાસ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ, ફરીયાદ મુજબ, ડોક્ટરોએ સાથે જ એવું પણ કહ્યું હતું કે દર્દીનું હૃદય સારી રીતે કાર્યરત છે અને અન્ય રિપોર્ટ્સ પણ સામાન્ય છે. આ વચ્ચે, પરિવારજનો દ્વારા બીજા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાતા તેમણે સ્ટેન્ટ દ્વારા સારવાર શક્ય હોવાનું જણાવ્યું હતું.
મૃતક વૃદ્ધના પુત્રએ હૉસ્પિટલના સંચાલકો, ડૉક્ટરો અને સ્ટાફ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
- Advertisement -
દસ્તાવેજોમાં ગોટાળા કરી સત્ય છૂપાવવાનો પ્રયાસ થયો હોવાનો પરિવારનો આરોપ
પરિવારના જણાવ્યા મુજબ, સરકારી યોજના (ઙખઉંઅઢ) હેઠળ મલ્ટીપલ સ્ટેન્ટ આવરી લેવાતા ન હોવાથી બાયપાસ સર્જરી માટે દબાણ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન હોસ્પિટલમાં ફેફસાંના નિષ્ણાત ડોક્ટર ઉપલબ્ધ ન હોવાને કારણે બહારથી ડોક્ટર હડિયાને બોલાવવામાં આવ્યા હતા. તેમના દ્વારા કરાયેલા સીટીસ્કેન અને એક્સ-રે રિપોર્ટમાં દર્દીને ફેફસાંમાં ઈન્ફેક્શન હોવાનું જણાયું હતું. ડોક્ટર હડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઈન્ફેક્શન સંપૂર્ણપણે દૂર થાય ત્યાં સુધી ઓપરેશન કરવું જોખમી છે. તેમ છતાં, હોસ્પિટલ દ્વારા તેમની સલાહને અવગણવામાં આવી હોવાનો આરોપ છે. ફરીયાદમાં વધુમાં ઉલ્લેખ છે કે, 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન દર્દીની સારવાર ચાલતી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન ડાયાબિટીસનું સ્તર સતત ઊંચું રહેતું અને ઉધરસમાં વધારો થતો હતો. 10 ફેબ્રુઆરીની વહેલી સવારે દર્દીની બ્લડ સુગર લેવલ 500થી વધુ નોંધાઈ હોવા છતાં સવારે 9 વાગ્યે બાયપાસ સર્જરી માટે લઈ જવાયા હતા.
પરિવારજનોનો આરોપ છે કે, ઓપરેશન પહેલાં હોસ્પિટલ દ્વારા જરૂરી જોખમની સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહોતી અને કોરા ફોર્મ પર દર્દી તથા તેમના પુત્રના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. બાદમાં આ ફોર્મમાં માહિતી ઉમેરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઓપરેશન બાદ 11 ફેબ્રુઆરીની મધરાત્રે દર્દીની સ્થિતિ ગંભીર બની હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા વી.એફ. કન્ડિશન હોવાનું જણાવાયું, જે હૃદય બંધ થવાની સ્થિતિ દર્શાવે છે. તે સમયે કોઈ સિનિયર ડોક્ટર હાજર ન હોવાનો પણ આરોપ છે. ત્યારબાદ બપોર સુધી દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરી અંતે મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું.
આ ઘટનાના બાદ પરિવારજનો દ્વારા સારવાર સંબંધિત તમામ દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ દ્વારા મૂળ દસ્તાવેજો આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. કાનૂની નોટિસ બાદ આપવામાં આવેલા ઝેરોક્સ દસ્તાવેજોમાં હસ્તાક્ષર બાદ વિગતો ઉમેરવામાં આવી હોવાનો આરોપ છે. ફરીયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે, સરકારી યોજનાનો લાભ મેળવવા માટે બિનજરૂરી અને જોખમી સર્જરી કરવામાં આવી હોવાની શક્યતા છે. સમગ્ર મામલે પરિવારજનો દ્વારા હોસ્પિટલ સંચાલકો, સંકળાયેલા ડોક્ટરો અને સ્ટાફ સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના બાદ ખાનગી હોસ્પિટલોમાં સારવારની પારદર્શિતા, દર્દી સલામતી અને મેડિકલ એથિક્સ અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે પર સૌની નજર ટકેલી છે.
સારવારથી મોત સુધીનો સમગ્ર ઘટનાક્રમ
1 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતીબેન જોષીને ઉધરસ અને ગેસની તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા
પ્રાથમિક ટેસ્ટમાં મોટાભાગના રિપોર્ટ સામાન્ય આવ્યા
2 ફેબ્રુઆરીએ એન્જિઓગ્રાફી બાદ ત્રણ નસોમાં બ્લોકેજ હોવાનું જણાવાયું
બાયપાસ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી
ફેફસાંમાં ઈન્ફેક્શન હોવાનું સીટીસ્કેનમાં બહાર આવ્યું
નિષ્ણાત ડોક્ટરે ઈન્ફેક્શન દૂર થયા બાદ જ ઓપરેશન કરવાની સલાહ આપી
સારવાર દરમિયાન ડાયાબિટીસનું સ્તર 500થી વધુ નોંધાયું
10 ફેબ્રુઆરીએ ગંભીર સ્થિતિ છતાં બાયપાસ ઓપરેશન કરાયું
11 ફેબ્રુઆરીએ વી.એફ. કન્ડિશન બાદ દર્દીનું અવસાન
હોસ્પિટલ દ્વારા મૂળ દસ્તાવેજો આપવાનો ઇન્કાર, ઝેરોક્સ નકલો જ આપવામાં આવી
પરિવારના ગંભીર આક્ષેપ
જરૂરી ન હોવા છતાં બાયપાસ સર્જરી માટે દબાણ કરવામાં આવ્યું
સ્ટેન્ટથી સારવાર શક્ય હોવા છતાં તે વિકલ્પ છુપાવવામાં આવ્યો
ફેફસાંના ઈન્ફેક્શન અને ઊંચી ડાયાબિટીસ વચ્ચે જોખમી ઓપરેશન કરાયું
ઓપરેશન પહેલાં જોખમ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહીં
કોરા ફોર્મ પર હસ્તાક્ષર લઇ બાદમાં વિગતો ઉમેરવાનો આક્ષેપ
સારવાર દરમિયાન સિનિયર ડોક્ટરની ગેરહાજરીનો આરોપ
વી.એફ. કન્ડિશન જેવી ગંભીર સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહીં
મૂળ મેડિકલ દસ્તાવેજો અને ઈઈઝટ ફૂટેજ આપવા હોસ્પિટલનો ઇન્કાર
સરકારી યોજનાનો લાભ લેવા માટે અનાવશ્ર્યક સર્જરી કરાઈ હોવાનો સંદેહ
સમગ્ર ઘટનામાં બેદરકારી છુપાવવા દસ્તાવેજોમાં ચેડાં કર્યાનો આરોપ
પોલીસ દ્વારા નિવેદન નોંધાયું, નિષ્પક્ષ તપાસની ખાતરી
જુનાગઢમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના મોતના વિવાદાસ્પદ મામલે હવે તપાસની પ્રક્રિયા તેજ બની રહી છે. બે દિવસ પૂર્વે, 8 એપ્રિલના રોજ, મૃતક દર્દીના પુત્ર વિજયભાઈ જોષીનું જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સત્તાવાર નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, વિજયભાઈ જોષીએ પોતાની માતાના સારવાર દરમિયાન થયેલી ઘટનાઓ, હોસ્પિટલ દ્વારા દાખવાયેલી બેદરકારી અને દસ્તાવેજો સંબંધિત શંકાઓ અંગે પોલીસ સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી. પોલીસ અધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવીને સમગ્ર કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની ખાતરી આપી છે. આ કેસમાં ઉઠેલા ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને હવે આરોગ્ય વિભાગ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની સંડોવણીથી મેડિકલ પ્રોટોકોલ, સારવારની પ્રક્રિયા અને હોસ્પિટલની કામગીરી અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે છે.



