તા. 15ના અન્નકોટના દર્શન અને બ્લડ ડોનેશન કેમ્પ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્ર્વર ચોકમાં સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુરુવારે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમના એકસો પચીસથી વધુ વૃદ્ધો તથા અંધાશ્રમના પચાસથી વધુ અંધ બહેનોએ દર્શનનો લાભ લીધો હતો. તેઓ તમામે મહાઆરતીનો પણ લાભ લીધો હતો. તેઓના આવવા-જવાની બસની વ્યવસ્થા જીનીયસ સ્કૂલના માલીક ડી. વી. મહેતા તથા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્ગુરુ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી હતી. જેનો ટ્રસ્ટના તમામ સભ્યોએ આભાર માન્યો હતો તેમજ પ્રિ-મોદી સ્કૂલના બાળકો આવ્યા હતા તથા બાળ ગણેશોત્સવ પણ ઉજવ્યો હતો.
આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, કેતનભાઈ ધ્રુવ, આશીષભાઈ હીંડોચા, દિપકભાઈ ચંદારાણા ઉપસ્થિત રહ્યા હતા. આજે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોની આરતી તથા જમણવાર રાખવામાં આવેલ છે તથા તા. 15ના રોજ અન્નકૂટના દર્શન તથા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે.
- Advertisement -
સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળાઆરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક દિવસ દરેક ભાવિકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. દરેક દિવસે 25000થી 30000 ભાવિકો દર્શનનો લાભ લે છે તથા પોતાની માનતા પૂરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. 50,00,000નો વિમો લેવામાં આવ્યો છે. તા. 15-9ના બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે 5-00 કલાકે અન્નકૂટ દર્શન રાખવામાં આવેલા છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. ગણપતિ મહોત્સવ તા. 17-9 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફૂટની ઊંચાઈની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે તથા વિસર્જન તા. 17-9ના રોજ પોલીસ કમિશનરની સૂચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ગણપતિ મહોત્સવને વધુમાં વધુ સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.