ઇતિહાસનાં સાધક ડૉ. પ્રદ્યુમન ખાચરની ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત
ચોટીલા નજીકનાં સણોસરામાં જન્મ થયો, ઐતિહાસિક ભૂમિ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી
- Advertisement -
બાળપણથી ઇતિહાસ પ્રત્યે લગાવ રહ્યો: નાટક, ભવાઇ, સર્કસ જોવાનાં શોખીન રહ્યાં
સંશોધનનો લોકો અને સમાજ ઉપર પ્રભાવ પડ્યો, લોકો પ્રશ્ર્નો લઇને આવતાં થયાં
31 વર્ષ પહેલાં ઇતિહાસ સંશોધનની પ્રેરણા મળી, 32 પુસ્તક લખ્યાં
- Advertisement -
હરૂભરૂ
– સરમણ રામ
સૌરાષ્ટ્રમાં ઈતિહાસવિદોની ચર્ચા થાય ત્યારે પહેલી હરોળમાં કોઇનું નામ લેવાય તે છે જૂનાગઢનાં ઇતિહાસવિદ્ ડૉ. પ્રદ્યુમન ખાચર. ઇતિહાસનાં લેખન અને સંશોધનમાં અમુલ્ય યોગદાન ડૉ. પ્રદ્યુમન ખાચરનું રહ્યું છે. તેમનાં ઇતિહાસ પરનાં લેખન અને સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાઓ ઉજાગર થયા છે. જૂનાગઢ ઉપરનું લેખન આજે પણ લોકઉપયોગી બની રહ્યું છે. તેમની ઇતિહાસની યાત્રા અને યોગદાનની રસપ્રદ વાતો ખાસ-ખબરનાં માધ્યમથી જાણવાનો પ્રયાસ.
ડૉ.ખાચરનાં જન્મથી લઈ નોકરી સુધીની સફર
દરેક વ્યક્તિનાં જીવનમાં તેમનાં જન્મનું સ્થળનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ડૉ. પ્રદ્યુમન ખાચરનો જન્મ ઝવેરચંદ મેઘાણીનાં જન્મ સ્થળ ચોટીલાથી 15 કિમી દુર સણોસરા ગામમાં 6 ફેબ્રુઆરી 1969માં ભગુભાઇ ખાચરનાં ઘરે તેમનાં છઠ્ઠા સંતાન તરીકે જનકબાનાં કુખે થયો હતો.તેમનું બાળપણ સણોસરા ગામે ઘડાયું. 6 વર્ષના થતા સણોસરા પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ મળવ્યો. ધોરણ 5 સુધીનું શિક્ષણ સણોસરામાં પૂર્ણ કર્યુ.ધોરણ 6માં બગસરા ખાતે નજરૂદીન કમરૂદીન એડનવાલા તાલુકા શાળામાં પ્રવેશ મેળવ્યો. બાદ ફરી માધ્યમીક શિક્ષણ માટે ચોટીલાની શેઠ જે.એસ.સરકારી હાઇસ્કુલમાં પ્રવેશ મેળવ્યો. ફરી બગસરાની ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલમાં દાખલ થયા અને ધોરણ 12માં 58 ટકા સાથે પાસ થયા. ઉચ્ચ શિક્ષણ માટે રાજકોટમાં આગમન થયું. ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં સ્નાતકમાં પ્રવેશ મેળવ્યો. બાળપણથી ઇતિહાસ પસંદ હોય એટલે ઇતિહાસ વિષય પસંદ કર્યો અને 1989માં ફર્સ્ટકલાસ સાથે ઇતિહાસમાં સ્નાતક થયા. અનુસ્નાતક માટે સૌરાષ્ટ યુનિર્વસિટી ભવનમાં પ્રવેશ મેળવ્યો. બાદ રાજકોટ બી.એડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ નાગેશ્રી, ગઢસીસા, ચાવંડ મુકામે હાઇસ્કુલમાં શિક્ષક તરીકે પસંદગી થઇ હતી. પરંતુ જૂનાગઢની ધરતી તેમને બોલાવતી હોય તેમ 5 ડિસેમ્બર 1992 થી જૂનાગઢમાં ઇતિહાસનાં પ્રોફેસર તરીકે કાયમી નિમણુંક થઇ.
ઇતિહાસનાં સંશોધનની પ્રારંભ યાત્રા
કૌટુબિંક વારસો, રાજદરબારી કુટુંબ, કુટુંબનાં સભ્યોનાં શોખ તથા પિતાનાં વલણને હિસાબે ઇતિહાસ પ્રત્યે ડૉ. પ્રદ્યુમન ખાચરનો અનુરાગ બંધાયો. 1991માં તેને વધુ પ્રોત્સાહન મળ્યું. 1991માં ઉનામાં સૌરાષ્ટ-કચ્છ ઇતિહાસ પરિષદ અધિવેશન મળ્યું હતું. ડૉ. ખાચરે તેમા ભાગ લીધો હતો. અહીં વોટસન મ્યુઝીયમનાં બે ક્યુરેટરોનું પ્રદાન નામનો સંશોધન લેખ વાચ્યો. આ લેખથી તેમની ઇતિહાસ સંશોધન યાત્રાનો પ્રારંભ થયો. પછી તો રાજયભરનાં ઐતિહાસીક ગામો,શહેરો. મ્યુઝીયમ, અભિલેખાગારો, મંદિરો, મસ્જિદો,ઇતિહાસકારોની મુલાકાત, ઇતિહાસનાં સાહિત્યનું વાંચન શરૂ કરી દીધું. જૂનાગઢ અભિલેખાગારમાં સતત 70 દિવસ કામ કર્યું. ઇતિહાસનાં સંશોધનમાં પાછુ વળીને ન જોયું. સંશોધન સાથે પુસ્તક લેખનો પણ પ્રારંભ કરી દીધો. એટલું જ નહી 1992માં સૌરાષ્ટ કચ્છ ઇતિહાસ પરિષદનાં મંત્રી તરીકે નિમણુંક થઇ.
ડૉ. શંભુપ્રસાદ દેસાઇનો જીવન પ્રભાવ પડ્યો
ડૉ. પ્રદ્યુમન ખાચરને કોલેજ,બીએડ સમયમાં અનેક ઇતિહાસનાં પ્રોફેસરો સાથે રહેવાનું થયું. તેની સાથે રહેવાથી ઇતિહાસનું ઉઠાણ પૂર્વક જ્ઞાન મેળવ્યું. ડૉ.શંભુપ્રસાદ દેસાઇનાં સહવાસનો ડૉ. ખાચરનાં જીવનમાં પ્રભાવ પડ્યો. ડૉ. શંભુપ્રસાદ દેસાઇ સાથે 1985/86થી પરિચય થયો. ડૉ. ખાચરને જૂનાગઢમાં નોકરી મળી અને ડૉ. શંભુપ્રસાદની સાથે બેસવાનુ અને ઇતિહાસનો રસ માણવાનો અનેરો અવસર મળ્યો. શુંભપ્રસાદનાં ઓજસ બંગલે લગભગ 6 થી 8 સાંજનાં મેળવાનું થતું હતું. પ્રથમ પુસ્તક કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિની પ્રસ્તાવના ડૉ. શંભુપ્રસાદે લખી આપી હતી. તેમની સાથેની ચર્ચા અને માર્ગદર્શનથી ડૉ.પ્રદ્યુમન ખાચરનાં જીવન પર પ્રભાવ પડ્યો હતો.
ઇતિહાસ માટે પ્રવાસ અને વાંચન
ડૉ. પ્રદ્યુમન ખાચરે ઇતિહાસનાં સંશોધન માટે ખુબ જ પ્રવાસ ખેડ્યાં છે.સૌરાષ્ટ્રનાં ગામડા અને શહેર ખુંદી નાખ્યાં. સૌરાષ્ટ્રનાં 450 જેટલા ઐતિહાસીક ગામો પસંદ કર્યા હતાં અને મોટાભાગનાં ગામની રૂબરૂ મુલાકાત લીધી છે. હજુ પણ પ્રવાસ કરી રહ્યાં છે. તેમણે 600 કરતા વધુ પસ્તકનું વાંચન કર્યું છે. વાંચન દરમિયાન સારી સારી બાબતો નોંધતા રહેતાં. એક ચોપડો બનાવી તેમા દરેક વસ્તુની નોંધ કરી લેતા હતાં.
પ્રથમ પુસ્તકનાં લેખન બાદ અવિરત લેખન યાત્રા
ડૉ. પ્રદ્યુમન ખાચરે પ્રથમ પુસ્તક કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ લખ્યું. પ્રો. સુરેશ પારેખનો તેમા સહયોગ મળ્યો. પ્રથમ પુસ્તક લખ્યા બાદ જાણે લેખન કાર્યની ભુખ લાગી હોય તેમ અવિરત પુસ્તક લખવાનું ચાલું રાખ્યું. જુદા જુદા વિષય ઉપર 32 જેટલા પુસ્તક લખી નાખ્યાં. તેમા તેમનું સૌથી પ્રિય પુસ્તક ગિરનારનો ઇતિહાસ છે. આ પુસ્તક 2009માં લખ્યું છે. 300 પેઇજનાં પુસ્તકમાં ગિરનારનો ઇતિહાસ કંડારવામાં આવ્યો છે. આ પુસ્તકનું વિમોચન કલેકટર અશ્ર્વિનીકુમારનાં હસ્તે કરવામાં આવ્યું હતું. તસ્વીરે જૂનાગઢ,પ્રાચીન ભારતનાં વિદેશી યાત્રી, ભૂચર મોરીની લડાઇ, ઇતિહાસ સુમન, સોરઠની વિદ્યાપીઠ બહાઉદીન કોલેજ, સૌરાષ્ટ ગુજરાતનાં શાસકોની વંશાવાળીઓ, ગ્રંથો અને શિલાલેખ, તવારીખ, કાઠિયાવાડનાં રાજવીઓ, સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઇતિહાસ સહિતનાં પુસ્તકોનું લેખન કર્યું છે.
ઇતિહાસનું સંશોધન સિવાયનાં શોખ
ડૉ. પ્રદ્યુમન ખાચર બાળપણથી ઇતિહાસનાં સ્થળોએ ફરવા જતા તેના કારણે તેના જીવનમાં ઇતિહાસનું સંશોધન મુખ્ય શોખ હતો. આ ઉપરાંત નાટકો, આખ્યાન, ભવાઇ, સરકસ અને નજર સમક્ષ થતાં ખેલ જોવાનો જબરો શોખ હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં રહેવાનું થયું તેના કારણે સરકસ અને નજર સમક્ષ થતા ખેલ જોવાનો વધારે ઉત્સાહ રહેતો હતો. તેમજ યુવાનીમાં પર્વત પર ખડક ચઢાણ પણ કરતા હતાં.
સંશોધન અને પુસ્કત માટે અનેક એવોર્ડ મળ્યાં
દર વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જુદા જુદા ક્ષેત્રોનાં પુસ્કતોકને શ્રેષ્ઠ પુસ્તકનાં પારિતોષિક મળ્યાં છે. તેમજ 15 ઓગસ્ટ 21માં રાજય સરકાર દ્વારા ડોે. પ્રદ્યુમન ખાચરનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજ, જ્ઞાતિઓ, સંસ્થાઓ દ્વારા અનેક વખત સન્માનીત કરવામાં આવ્યાં હતાં.