SIR, બિરસા મુંડા જયંતી, પદયાત્રા, ગૌચરની જમીનના દબાણ મુદ્દે કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશની પ્રેસ કોન્ફરન્સ
નાગરિકોને સહભાગી થવા કલેક્ટરની અપીલ
- Advertisement -
હેમુ ગઢવી હોલમાં ભગવાન બિરસા મુંડાજીની જીવનશૈલી રજૂ કરવામાં આવશે
સરદાર પટેલની 150મી જયંતિની ઉજવણી અંતર્ગત પદયાત્રા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝનલ 2026 કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્ય ચાલુ છે. જિલ્લાના કુલ 2256 મતદાન મથકોમાં નોંધાયેલા 23,91,027 મતદાતાઓમાંથી અત્યાર સુધી 23,35,298 મતદાતાઓને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. મતદાર યાદી સુધારણા અભિયાનની કામગીરી અત્યાર સુધી 98 ટકા સુધી પહોંચી ગઈ છે, જે પ્રશાસનના ઝડપી અને સુસંગત આયોજનને દર્શાવે છે. બી.એલ.ઓ. દ્વારા જેટલા ફોર્મ એકત્રિત કરાશે, તે ફોમ્ર્સને એકસાથે ઓનલાઈન અપડેટ કરવામાં આવશે જેથી ડેટાની સાચી અને સમયસર એન્ટ્રી થઈ શકે. વધુમાં જણાવ્યું હતું કે, મતદાર યાદી સંબંધિત તમામ કામગીરી 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે, જેથી આગામી ચૂંટણી પ્રક્રિયા માટે સુધારેલી યાદી સમયસર પ્રકાશિત કરી શકાય.
આ અભિયાનમાં નાગરિકોને પણ સહભાગી થવા અને પોતાનું નામ, સરનામું કે વિગતો ચકાસીને જરૂરી સુધારા સમયસર કરવા માટે અપીલ કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર તથા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાશે. જિલ્લા કક્ષાએ યોજાનાર આ વિશાળ યાત્રામાં 5000 થી વધુ લોકો ભાગ લેશે.ઉજવણીના ભાગરૂપે 16 થી 19 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. યાત્રા દરમિયાન સરદાર પટેલના જીવનમૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સમર્પણની ભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવશે.
રાજકોટમાં બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હેમુ ગઢવી હોલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની જીવનશૈલી પર આધારિત વિશેષ રજૂઆત આવશે, જેમાં તેમની સંઘર્ષમય જીવનયાત્રા અને આદિવાસી હક્કો માટેના યોગદાનને જીવંત રીતે દેખાડાશે.
આ પ્રસંગે સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ રાજકોટ શહેરના કુલ ₹9.17 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
- Advertisement -
પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો લેન્ડગ્રેબિંગની પણ કાર્યવાહી કરાશે: કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ
જ્યારે અમદાવાદ હાઈવે પર સરકારી ખરાબાની જમીન પર ગૌશાળા બનાવી દેવાના બનાવને લઈને કલેક્ટરે કહ્યું હતું કે, આ મામલે દબાણ કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે, પરંતુ જો તેઓ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



