શિવજી અંગેના વિવાદીત વાત બાદ પ્રબોધ સ્વામીએ આનંદસાગર સ્વામીને 7 દિવસના ઉપવાસની શિક્ષા પણ કરી
વિડીયો મારફત શિવભક્તોની માફી માંગી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હરિધામ-સોખડાથી છેડો ફાડનાર પ્રબોધ સ્વામીના સમર્થક સાધુ આનંદસાગરે અમેરિકાની ધરતી પર દેવાધિદેવ મહાદેવ બાબતે ભક્તોની લાગણી દુભાવે તેવી વાત કર્યા બાબતે ભારે વિવાદ-વિરોધના કારણે અને પ્રબોધ સ્વામીની કડક સૂચના બાદ વિવાદીત વાત કરનાર આનંદ સાગરે સ્વામીએ વિડીયો દ્વારા સનાતન ધર્મના સાધકો અને શિવભક્તોની માફી માંગી છે.
આ અંગેના વિડીયોમાં આનંદસાગર સ્વામીએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ સમગ્ર ઘટના બાદ પ્રબોધ સ્વામી દ્વારા તેમને શિક્ષા પણ આપવામાં આવી હતી અને સાત દિવસના ઉપવાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આનંદસાગર સ્વામીએ સનાતન ધર્મના સાધકો અને શિવભક્તોની હૃદયપૂર્વક માફી માંગતા જણાવ્યું છે કે, દેવાધિદેવ મહાદેવ અને ભારતીય સંસ્કૃતિ મારા માટે પૂજનીય છે, વંદનીય છે અને કાયમ રહેશે.
વિડીયોમાં શું કહ્યું આનંદસાગરસ્વામીએ?
દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્યદેવ છે, પૂજનીય છે અને અતિશય મોટા છે. એ સનાતન ભારતીય સંસ્કૃતિના દરેક સાધક માટે છે, દરેક હિન્દુ માટે છે, મારા માટે પણ પૂજનીય છે, આરાધ્ય છે અને રહેશે જ. …પણ એક યુવકની લાગણીને એની વાતોને શેર કરવા માટે, ભાવ આપવા માટે કરી તે મારાથી જે કાંઈ ભૂલ થઈ છે, બદલ હું સનાતન ભારતીય સંસ્કૃતિના સાધુ તરીકે, એક સાધક તરીકે તમામ શિવભક્તોને, તમામ સનાતન ભારતીય સંસ્કૃતિના સાધકોને અને દરેક ભક્તજનની અંત:કરણપૂર્વક હૃદયથી ક્ષમા માંગું છું, માફી માંગું છું. આ અવસર જ્યારે થયો ત્યારે ગુરુવર્ય પ્રબોધ સ્વામીજીએ પણ મને ખૂબ કડક શબ્દોમાં સૂચન કર્યું છે. શિબિર દરમ્યાન મને મૌન પણ આપ્યું છે અને ત્યારપછી સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે… પણ આજે જ્યારે બધા ભક્તોની લાગણી દુભાઈ છે ત્યારે આ વાત હું કરી રહ્યો છું… પણ પ્રબોધ સ્વામીજીએ મને શિક્ષા તો ત્યારે જ આપી દીધી હતી. ફરી એકવાર સનાતન ધર્મના સાધક તરીકે, સાધુ તરીકે હું સમગ્ર સનાતન ધર્મના આશ્રિતોને અને શિવભક્તોને અંત:કરણપૂર્વક, હૃદયના સાચા ભાવથી માફી માંગું છું. જય સ્વામિનારાયણ.
- Advertisement -
આનંદસાગર સ્વામીએ જાહેર કરેલો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો….