ઉમેદવારોના નામ જાહેર થયા પહેલાં ફોર્મ ભરવા તૈયારી: રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ ન હોવાનો ભાજપ અગ્રણીનો દાવો
ઉમેદવાર નક્કી કરવામાં કોઈ વિવાદ નહીં: વિરેન્દ્રસિંહ ઝાલા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટ મનપા માટે ભાજપે હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરી નથી. તેમ છતાં સંગઠન દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
શહેર ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલાએ પક્ષમાં કોઈપણ પ્રકારના જૂથવાદ કે આંતરિક ખેંચતાણ હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામની જાહેરાત પ્રદેશ નેતૃત્વની એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે અને ગમે તે ઘડીએ નામો જાહેર થઈ શકે છે. પરંતુ પક્ષનું સંગઠન અત્યારથી જ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
વિરેન્દ્રસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં ટિકિટ ફાળવણીમાં થઈ રહેલા વિલંબ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, નામો નક્કી કરવામાં કોઈ વિવાદ નથી. પ્રદેશ નેતૃત્વ દ્વારા દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. 9 એપ્રિલે ગઈકાલથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઈ ચૂક્યું છે.
રાજકોટ મહાપાલિકા અને જિલ્લાના નામો પણ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ટિકિટ ફાળવણીમાં ધારાસભ્યો કે સંસદ સભ્યોના કોઈ વ્યક્તિગત દબદબાની વાત પાયાવિહોણી છે. તમામ નિર્ણયો પક્ષના વરિષ્ઠ આગેવાનોના સંકલન અને કાર્યકરોના અભિપ્રાય મુજબ જ લેવામાં આવે છે.
ભાજપનાં તમામ ઉમેદવારો વિજયમુહૂર્તમાં ફોર્મ ભરશે
- Advertisement -
આવતીકાલના કાર્યક્રમ અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, રાજકોટનાં તમામ 18 વોર્ડના સંભવિત ઉમેદવારો અને હજારોની સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થશે. જ્યાં પ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ યોજાનારા સંમેલનમાં ભાજપ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે રવાના થશે. ભાજપના આક્રમક અભિગમ સામે કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ ભાજપે સંગઠનાત્મક સ્તરે વહેલી તૈયારીઓ કરીને પ્રચારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પેજ સમિતિથી લઈને શહેરના હોદ્દેદારો સુધીના તમામ સ્તરે કાર્યકરોને સક્રિય કરી દેવામાં આવ્યા છે. ભાજપ માટે વ્યક્તિ કરતા પક્ષનું નિશાન ‘કમળ’ મહત્વનું હોવાનો સંદેશ આ શક્તિ પ્રદર્શન દ્વારા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવતીકાલે ફોર્મ ભરાયા બાદ રાજકોટમાં ચૂંટણી જંગ વધુ તેજ બનશે અને રાજકીય ગતિવિધિઓ નવા વળાંક લેશે તેવી પૂરી શક્યતા છે.
બહુમાળી ભવન ચોક પર કાલે સંમેલન
આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ’વિજય વિશ્ર્વાસ સંમેલન’ યોજાશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે (10 એપ્રિલે) શહેર ભાજપના અગ્રણીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ દુધાત્રા અને રાજુભાઈ ધ્રુવ સહિતના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી. નેતાઓએ સભાના મંડપ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને કાર્યકરોને જરૂરી સૂચનાઓ આપી હતી. હજુ ઉમેદવારોના નામ બાકી હોવા છતાં આ પ્રકારે તૈયારીઓ કરવી એ ભાજપની કેડર-બેઝ્ડ કાર્યપદ્ધતિ અને આત્મવિશ્ર્વાસ દર્શાવે છે.



