લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા વિભાગીય પ્રવક્તાઓની યાદી જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, સૌરાષ્ટ્રના મીડિયા ઇન્ચાર્જ ડો. નિદ્ત બારોટ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી પહેલા વિભાગીય પ્રવકતાઓની યાદી જાહેર કરી છે, જેમાં રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્ર્ને મદદ માટે હરહંમેશ તત્પરતા દાખવતા અને લડાયક વિદ્યાર્થી નેતા તરીકેની છાપ ધરાવતા રોહિતસિંહ રાજપૂતની સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના વિભાગીય પ્રવક્તાની જવાબદારી સોંપવામા આવી છે.
ગત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ રાજપુતની આ જ પદ પર ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણુંક કરવામાં આવી હતી, બાદ હાલ આ લોકસભા ચૂંટણીને અનુસંધાને બીજી વખત તેઓને કોંગ્રેસ પાર્ટીએ આ પદે નિમણુંક કરી છે. ઉપરોક્ત જણાવી દઈએ કે રોહિતસિંહે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ.માં મહત્વના હોદ્દાઓ પર અસરકારક જવાબદારીઓ નિભાવેલ છે ત્યારે આ મહત્વના ગણાતા આ પદ સૌથી નાની વયના યુવા કાર્યકરની પક્ષ પ્રત્યેની નિષ્ઠાપૂર્વક કામગીરીની કોંગ્રેસે નોંધ લઇને મોટી જવાબદારી સોંપી હોય તે અહી પ્રતિપાદિત થાય છે.
આ અંગે રોહિતસિંહ રાજપુતનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યુ હતું કે કોંગ્રેસ પક્ષ આજે સમગ્ર દેશમાં લોકશાહી બચાવવા અને લોકોના અલગ અલગ મુદે વિપક્ષની ભૂમિકા ભજવીને સતત કાર્યો કરી રહી છે ત્યારે એક નીડર અને વફાદાર સૈનિક તરીકે મને પણ આ ઝુંબેશમાં એક જવાબદારી સોંપી છે જે પૂરા ખંતથી અને નિષ્ઠાપૂર્વક નિભાવવાના સંપૂર્ણ પ્રયાસ કરીશ. આ તકે તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, રાજકોટના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, ડો. નિદ્ત બારોટનો તેઓને આ જવાબદારી સોંપી તે બદલ આભાર માન્યો હતો.