જૂનાગઢ મનપા કમિશનર દ્વારા કામગીરી બાબતે જવાબો આપ્યા
ચોમાસા પૂર્ણ થયું એટલે શહેરની તમામ સમસ્યાનું નિરાકરણ આવશે
રોડ – રસ્તા, સફાઈ, પાણી, ઢોરનો ત્રાસ સાથે ખાડાની સમસ્યા દૂર થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તરામાં ચોમાસાની સીઝન દરમિયાન પડેલા વરસાદ બાદ શહેરીજનો અનેક સમસ્યાનો સામનો કરી છે.ત્યારે યાતના ભોગવતા લોકો માટે ધારાસભ્ય સંજય કોરડીયાએ મેદાને ઉતર્યા છે.અને શહેરના મુખ્ય પાયાના 10 પ્રશ્ર્નો બાબતે મનપા કમિશનર ડો.ઓમપ્રકાશને લેખિતમાં પત્ર લખીને રોડ – રસ્તા પરના ખાડા, પીવાના શુદ્ધ પાણી, જાહેર રોડ પર રખડતા ઢોર સાથે રસ્તા પર ઊડતી ધૂળની ડમરીઓ અને માર્ગો પર થતા દબાણો દૂર કરવા બાબતે પ્રશ્ર્નોની જડી વરસાવીને સત્વરે કામગીરી થાય તેવો પત્ર લખ્યો હતો તે બાબતે આજે મ્યુ.કમિશનર ડો.ઓમપ્રકાશ દ્વારા તમામ સમસ્યા વિષે મીડિયા સમક્ષ જવાબો આપ્યા હતા. જૂનાગઢ મનપામાં પાંચ વર્ષ પૂર્ણ થતા હવે ચૂંટણી યોજાશે ત્યાં સુધી નવી બોડી કાર્યરત ના થાય ત્યાં સુધી મહાનગર પાલિકા કમિશનર ડો.ઓમપ્રકાશ વહીવટદાર તરીકે ચાર્જમાં છે ત્યારે કમિશનરે ધારાસભ્યએ લખેલા પત્ર બાબતે જણાવ્યું હતું કે, હાલ હવે ચોમાસુ પૂર્ણ થયું છે ત્યારે શહેરમાં વરસાદના લીધે અમુક કામો થઇ શકતા ન હતા હવે ચોમાસુ આમતો પૂર્ણ થયું છે એટલે શહેરમાં ફરી કામગીરી શરુ કરી દેવામાં આવી છે.અને ધારાસભ્ય દ્વારા જે સમસ્યા મુદ્દે પત્ર લખ્યો છે તે બાબતે આમતો તમામ વાતચીત થતી હોઈ છે ત્યારે છેલ્લા બે દિવસથી કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદે વિરામ લીધા બાદ ધૂળ ઉડવાની સમસ્યા ઉદભવે છે તે માટે તેની મશીનરી કામે લાગી ગઈ છે અને રોડ સાઈડ પર જમા થતી ધૂળ ઉપાડવામાં આવી રહી છે તેની સાથે જે રસ્તાઓ તૂટી ગયા છે અને ખાડા પડી ગયા છે ત્યાં પણ વરસાદની સીઝનમાં પણ કપચી મેટલ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે તેમજ હવે જયારે વરસાદ બંધ થયો છે એટલે હોટમિક્ષ પ્લાન પણ શરુ થશે અને જેના લીધે રોડ બનાવની કામગીરી શરુ કરી દેવામાં આવશે જેમાં 1.7 કિમિ અને 2 કિમિ રસ્તા ગેરેન્ટી પિરિયડ અને નોન ગેરેન્ટી પિરિયડ વાળા રસ્તાઓ રીપેર કરી દેવામાં આવશે હવે વરસાદે વિરામ લેતા કામગીરી ઝડપભેર કરવામાં આવશે.
શહેરમાં રખડતા ઢોર બાબતે જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં 284 જેટલા રખડતા ઢોરને પકડીને મહાનગર પાલિકા હસ્તકના ઢોર ડબ્બા અને અન્ય ગૌશાળામાં મૂકી દેવામાં આવ્યા છે.તેમજ આસપાસના વિસ્તારો માંથી જે કોઈ પણ લોકો જો શહેરમાં રખડતા ઢોર છોડી જાય છે.તેના માટે પણ પોલીસ સાથે સંકલન કરીને આવા લોકો સામે કડક કાર્યવાહી થાય અને જે વાહનમાં ઢોર છોડવામાં આવે છે તેવા વાહનો પકડી તેની સામે ગુનોહ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે તેમજ શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદે ઘાસચારો વેચનાર સામે પણ મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં જાહેરમાં ઘાસચારો વેંચતા 100 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં એક ઈસમને હદપારી પણ કરવામાં આવ્યો છે.અને હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જયારે હવે ટોરેન્ટ ગેસ એજન્સી સાથે જીઓ ફાયબર તેમજ પીજીવીસીએલ સહીત ગટર કે પાણી લાઈન સાથે રોડ તોડીને કેબલ નાખવાની કામગીરી બાબતે હવે તમામ એજન્સીઓ સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવશે જેના લીધે બની ગયેલ રોડ ફરી તોડવા ન પડે જેનાથી લોકોને ફરી તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.હવે જયારે ચોમાસુ પૂર્ણ થયું છે ત્યારે હવે કામમાં પણ ગતિ આવશે ઝડપભેર કામ પૂર્ણ થાય તે દિશામાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે.