ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના બહુપ્રતિક્ષિત મિશન ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ અંગેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચંદ્રયાન-3નું લેન્ડર અને રોવર રોકેટ LVM-3 સાથે તા.13 જુલાઈએ ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ચંદ્રયાન-3 લેન્ડરને આજે ISRO શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર ખાતે ભારે પ્રક્ષેપણ રોકેટ પર એસેમ્બલ કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-2 મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું. તેનું લેન્ડર ધરતીની સપાટી પર આંચકા સાથે અથડાયું, ત્યારબાદ તેનો પૃથ્વીના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન-3 એ જ અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે. આમ, ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી, રોવર તેમાંથી બહાર આવશે અને સપાટીની આસપાસ ફરશે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવશે અને રોવરનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવશે.
- Advertisement -
ચંદ્રયાન-2ના લેન્ડર અને રોવરને આ જ નામ આપવામાં આવ્યા હતા. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ થયા બાદ હવે પછીનો પ્રોજેક્ટ ચંદ્રયાન-3 છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો હાથ ધરશે. તે ચંદ્રયાન-2 જેવું જ દેખાશે, પરંતુ ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે.
મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે, અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ રહ્યું હતું તેના પર આ પ્રોજેક્ટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-2ના લેન્ડર-રોવરના અકસ્માતના ચાર વર્ષ બાદ ચંદ્રયાન-3ના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે.