જૈનોનાં તમામ ફિરકાઓ એક ભાણે સંપૂર્ણ જયણાપૂર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લહાવો લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.17
- Advertisement -
આગામી 21 એપ્રિલ- 2024ના રોજ જૈનમ્ના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે રાજકોટના સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓના તમામ સભ્યો સહિતનો સમગ્ર જૈન સમાજ એક ભાણે બેસીને સંપૂર્ણ જયણાપૂર્વકની વિધિથી બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશે. સાથે આ વર્ષની ધર્મયાત્રા-ધર્મસભાના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે.
તમામ ફ્લોટ્સ ધારકોને સબસીડી, વેશભૂષાના સ્પર્ધકોને ગીફ્ટ અને વિજેતા બાળકોને ઈનામોથી નવાજવા માટે દાતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ધર્મયાત્રામાં નવકારના નવ પદ એવા નવ સ્ટેજ અને દરેક સ્ટેજ ઉપર 12 બાળકો મળી કુલ 108 બાળકો દ્વારા ધર્મયાત્રાને વધાવવામાં આવશે.આગામી રવિવારના રોજ 7000થી પણ વધુ જૈનો જેમાં ચારેય ફીરકાના જૈનો, વિવિધ સંઘો, સાથી સંસ્થાઓ, સોશ્યલ ગ્રુપો, મહિલા મંડળ, યુવક મંડળ સહિતના જૈનોનો સમાવેશ થાય છે તેવો એક ભાણે બેસીને ગૌતમ પ્રસાદનો અનેરો લહાવો લેશે. વર્ષોથી પરંપરાગત રીતે પીરસાતી વાનગીઓ સાથેનો આ ગૌતમ પ્રસાદ બનાવવા માટે સંપૂર્ણ જયણાપૂર્વકની વિધિનું ખાસ ધ્યાન આપવામાં આવે છે.
આ માટે બનેલી કમિટીના સભ્યો દ્વારા ખૂબ જ ચિવટપૂર્વક બનતા આ ગૌતમ પ્રસાદનો લાભ લેવો પણ એક લહાવો છે.સમગ્ર ધર્મયાત્રાના રૂટ ઉપર નવકાર મંત્રના નવ પદ મુજબ નવ સ્ટેજ બનાવવામાં આવનાર છે જે દરેક સ્ટેજ પરથી 12-12 બાળકો એમ મળી કુલ 108 બાળકો યાત્રા દરમિયાન ભગવાન મહાવીર સ્વામીના અક્ષત વધામણા કરવાના છે.
- Advertisement -
આ નવ સ્ટેજ બનાવવા માટે દાતા સર્વે સ્વ. હસમુખભાઈ જે. દેસાઈ પરિવાર- તપસ્વી સ્કૂલ, રોટરી ક્લબ ઓફ રાજકોટ, યુનિવર્સિટી શ્ર્વે.મૂર્તિ જૈન સંઘ, મનીષભાઈ એમ. દોશી તથા સેજલબેન મનીષભાઈ દોશી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ રોયલ, ડો. પારસ દિલીપકુમાર શાહ પરિવાર, ઈકોનો બ્રોકીંગ પ્રા. લિ. સુનીલભાઈ શાહ, માતુશ્રી અનસુયાબેન છબીલભાઈ શાહ પરિવાર દિપાબેન જયેશભાઈ શાહ (સોનમ ક્લોક), માતુશ્રી ચંપાબેન દલીચંદભાઈ શેઠ પરિવાર (લેવલ-6) વિગેરે દાતાઓ લાભ લીધો છે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા જૈનમ્ના સર્વ કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, જયભાઈ ખારા, અશોકભાઈ ખારા, જયભાઈ કામદાર, કુશલભાઈ કોઠારી, દિવ્યેશભાઈ ગાંધી, મિલેશભાઈ મહેતા, વંદીતભાઈ દામાણી, પારસભાઈ વખારીયા, હિતેશભાઈ મણીઆરએ જણાવ્યું હતું.