અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’: અટલજીની એ ભવિષ્યવાણી સાચી પડી
6 એપ્રિલ 1980ના રોજ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં થયેલી સ્થાપના, આજે 11 કરોડથી વધુ સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની
- Advertisement -
2024માં સતત ત્રીજી વખત સત્તામાં વાપસી, 23.60 કરોડ મતો સાથે જનતાએ મૂક્યો અતૂટ ભરોસો, 20 જેટલાં રાજ્યોમાં ભાજપનું શાસન સ્થપાયું
ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોએ એક અભૂતપૂર્વ અને સુવર્ણ ઈતિહાસ રચ્યો છે. દેશના રાજકીય ફલક પર કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. 2014, 2019 અને 2024માં ભારતીય જનતા પાર્ટીને મળેલી આ ભવ્ય જીત એ બાબતની પ્રતીતિ કરાવે છે કે દેશની જનતાને ભાજપાની કાર્યશૈલી, પ્રમાણિકતા અને રાષ્ટ્રવાદી વિચારધારા પર અતૂટ ભરોસો છે.
આ જનસમર્થન માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ પર લાગેલી જનતાની મહોર છે.
આ ભવ્ય વટવૃક્ષના બીજ 21 ઓક્ટોબર 1951ના રોજ રોપાયા હતા, જ્યારે ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નેતૃત્વમાં ‘અખિલ ભારતીય જનસંઘ’ની સ્થાપના થઈ હતી. જનસંઘનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને રાજનીતિના કેન્દ્રમાં લાવવાનો હતો. 1975માં જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તા ટકાવવા દેશ પર કટોકટી લાદી દીધી, ત્યારે લોકશાહી બચાવવા જનસંઘે પોતાના અસ્તિત્વનો ભોગ આપી ‘જનતા મોરચા’માં વિલીન થવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. 1977ની ચૂંટણીમાં જનતા મોરચાનો વિજય થયો અને અટલબિહારી બાજપાઈ તેમજ લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓએ કેન્દ્ર સરકારમાં મહત્વના હોદ્દા સંભાળ્યા. જોકે, 1979માં જ્યારે વિચારધારા સાથે સમાધાન કરવાની વાત આવી ત્યારે આ નેતાઓએ સત્તાનો ત્યાગ કર્યો.
પરિણામે, 6 એપ્રિલ 1980ના રોજ મુંબઈના સમુદ્ર કિનારે ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો. પ્રથમ અધિવેશનમાં અટલજીએ કરેલી ભવિષ્યવાણી કે ‘અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’ આજે સાચી ઠરી રહી છે. શરૂઆતના વર્ષોમાં 1984ની ચૂંટણીમાં ભાજપાને માત્ર બે બેઠકો મળી હતી, જેની સંસદમાં ઠેકડી ઉડાડવામાં આવી હતી. પરંતુ ભાજપાએ હાર માની નહીં અને 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રાએ દેશમાં નવી જાગૃતિ લાવી. 1996માં 13 દિવસ અને 1998માં 13 મહિનાની અસ્થિર સરકારો બાદ 1999માં અટલજીના નેતૃત્વમાં એનડીએની સ્થિર સરકાર બની. આ શાસનકાળમાં પોખરણ પરમાણુ પરીક્ષણ અને કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન સામેનો વિજય એ ભારતના સામર્થ્યનો પરિચય કરાવ્યો.
2001માં ગુજરાતની રાજનીતિમાં નરેન્દ્રભાઈ મોદીનો મુખ્યમંત્રી તરીકે ઉદય થયો. તેમણે ગુજરાતમાં જે વિકાસની હરણફાળ ભરી, તેનાથી પ્રભાવિત થઈને 2014માં દેશની જનતાએ તેમને વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા. 2014માં 282 બેઠકો અને 2019માં 300થી વધુ બેઠકો સાથે ભાજપાએ ઇતિહાસ રચ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવામાં આવી. ઉજ્જવલા યોજના, જનધન એકાઉન્ટ અને આયુષ્માન ભારત જેવી યોજનાઓએ ગરીબોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. આર્થિક મોરચે પણ ભારત આજે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું છે.
ભાજપાની વૈચારિક કટિબદ્ધતાના પરિણામે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ જેવા ઐતિહાસિક કાર્યો પૂર્ણ થયા છે. 11 કરોડથી વધુ સદસ્યો સાથે ભાજપા આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. ભાજપાની આ સફળતા પાછળ કરોડો સમર્પિત કાર્યકર્તાઓની ફૌજ છે, જે ‘વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશ’ના સૂત્રને સાર્થક કરે છે. 2026 સુધીમાં ભાજપાએ દેશના 20થી વધુ રાજ્યોમાં સત્તા મેળવીને ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાના વિઝન સાથે નવી ઊંચાઈઓ સર કરી છે. આ વિકાસયાત્રા હવે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે.
રાષ્ટ્રપ્રથમની વિચારધારા, મજબૂત અને પ્રમાણિક નેતૃત્વ તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ એ જ ભાજપાની સફળતાનું અસલી રહસ્ય છે. અટલજીના શબ્દોમાં કહીએ તો, ભાજપા એ માત્ર રાજકીય પક્ષ નથી, પણ રાષ્ટ્ર નિર્માણનું એક પવિત્ર આંદોલન છે.



