રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 24 જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
- Advertisement -
દિલ્હી જશે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ
રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આગામી 26 જુલાઈ તમામ ધારાસભ્યોને ગુજરાતમાં જ રહેવાની સૂચના આપી છે. રાજ્ય સભાની ચૂંટણીને લઈને આગામી 7 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દિલ્હી જશે. જ્યાં તેઓની હાઈકમાન્ડ સાથે બેઠક યોજાશે. દિલ્હીથી પરત આવ્યા બાદ 10 જુલાઈના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક યોજાશે.
આ 10 નેતાઓનો પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ’બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
28 જુલાઈથી 18 ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ઉપલા ગૃહના 10 સભ્યો તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે 28 જુલાઈથી 18 ઓગસ્ટની વચ્ચે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. અન્ય એક નિવેદનમાં પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી TMCના લુઇઝિન્હો જોઆકિમ ફાલેરિયોના રાજીનામા બાદ રાજ્યસભામાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે 24 જુલાઈએ પેટાચૂંટણી પણ યોજાશે. તેમણે એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, જોકે, તેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂરો થવાનો હતો.