મહાદેવ અને પાર્વતીના ચરણોમાં ડો.શરદ ઠાકરના વંદન. ગઈ કાલે સવારે ચાર વાગ્યે જાગી ગયો. સ્નાન કરીને, અબોટ ન સિવેલા ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને, મોં વાટે કશું જ લીધા વગર, ક્યાંય કોઈ ચીજનો કે મનુષ્યનો સ્પર્શ કર્યા વગર આશ્રમમાં થતી આરતીમાં થોડી વાર માટે હાજર રહીને ધ્યાન કરવા રવાના થયો. જીવનમાં ક્યારેય પ્રાપ્ત ન થયેલો લ્હાવો આજે મળ્યો. બિલખા આશ્રમના પ્રણેતા, સ્થાપક સદ્ગુરુ શ્રીનથુરામ શર્માજી કૃપાનાથ જે સ્થાનમાં રહેતા હતા, શયન કરતા હતા, જ્યાં યોગ ક્રિયાઓ કરતા હતા એ જ ખંડમાં મને પ્રવેશ કરવા મળ્યો. આ પ્રતિબંધિત વિસ્તારમાં એક ડોકિયું કરવા મળે એ પણ પરમ સદ્ભાગ્ય ગણાય. બંધ દ્વાર સાથે પ્રાત: કાળના અંધકારમાં પૂરા એક કલાક સુધી મેં ધ્યાન સાધના કરી.
આ એ ખંડ છે જ્યાં લગભગ એક સદી પહેલા પૂજ્ય સદ્ગુરુએ પાંત્રીસ વર્ષ વિતાવ્યા હતા. એમણે કરેલા કરોડો મંત્ર-જાપ વડે આ ઓરડો, તેની દિવાલો અને ત્યાંની હવા સિદ્ધ થયેલી છે. પ્રારંભની પંદર વીસ મિનિટ ચિત્તને એકાગ્ર કરતા વાર લાગી પછી અચાનક ધ્યાન સધાઈ ગયું. જે અનુભૂતિ થઈ તે શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. એક કલાકના અંતે એ ખંડમાંથી બહાર આવવાનું મન થતું ન હતું. ઘણા બધા દૃઢ સંકલ્પો ત્યાં રચાયા. બધું જાહેર ન કરી શકાય. એટલું જણાવીશ કે એક કલાક પહેલા ઓરડામાં પ્રવેશતી વખતે હું જે હતો એ ઓરડામાંથી બહાર નીકળતી વખતે ન હતો. આમૂલ પરિવર્તન સાથે મેં ભગવાન શિવ પાર્વતીએ પ્રાર્થના કરી કે આ પરિવર્તન સ્થાયી બની રહે તો સારું.