તેમણે વિશ્વસાહિત્યની ક્લાસિક કૃતિઓમાં સ્થાન પામેલી નવ-નવ કૃતિઓને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
અશ્વિનભાઈના પત્ની પણ ખૂબ મોટા ગજાના કવયિત્રી છે. બાળવાર્તા, બાળકાવ્યો, ગઝલ, હાસ્ય લેખ ઉપરાંત નવલિકા, લલિત નિબંધ, આર્ટિકલ, બધા જ ક્ષેત્રે તેમણે સિદ્ધહસ્ત કલમના જાદુ પાથર્યા છે
- Advertisement -
હિમાદ્રી આચાર્ય દવે
વડોદરા સ્થિત, પહેલાં આઈપીસીએલના નામે ઓળખાતાં અને અત્યારનાં રિલાયન્સમાં ચાર દાયકા સર્વિસ કરીને હમણાં જ રિટાયર્ડ થવા જઈ રહેલા અશ્ર્વિન ચંદારાણા વ્યવસાયે એન્જિનિયર છે અને મોટામોટા જડ મશીનો અને પાવર પ્લાન્ટ્સ વચ્ચે કામ કરે છે પણ સ્વભાવે ખળખળ વહેતા ઝરણાં જેવાં જ જીવંત અને હંમેશા કશું ને કશું નવું નવું કરતાં રહેવાની ચંચળતા એમના સ્વભાવમાં છે. મૂળે, વાંચન અને સાહિત્યના શોખીન આ દંપતીનાં (અશ્ર્વિન ચંદારાણાના ધર્મપત્ની પણ ખૂબ મોટા ગજાના કવયિત્રી છે.
ગુજરાત સાહિત્ય અકાદમીની વિવિધ કેટેગરીમાં અનેક પારિતોષિક મેળવી ચૂકેલાં મીનાક્ષીબેને બાળવાર્તા, બાળકાવ્યો, ગઝલ, હાસ્ય લેખ ઉપરાંત નવલિકા, લલિત નિબંધ, આર્ટિકલ, બધા જ ક્ષેત્રે તેમની સિદ્ધહસ્ત કલમના જાદુ પાથર્યા છે)ઘરમાં હંમેશા વાંચન, ચિત્ર, સંગીત અને ક્લાસિક ફિલ્મની વાતો થતી જોવા મળે. અને હા, તેઓ ખૂબ જ સારા અનુવાદક છે કે જેમણે વિશ્ર્વસાહિત્યમાં ક્લાસિક કહેવાય એવા વિશ્ર્વવિખ્યાત નવ નવ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. 2018, 2019, સતત બે વર્ષ તેમના બબ્બે પુસ્તકોને અનુવાદ કેટેગરીમાં, ગુજરાત સાહિત્ય અકાદમીના, અનુક્રમે દ્વિતીય તેમજ પ્રથમ પારિતોષિક મળ્યાં છે.
- Advertisement -
કવિ, સર્જક, અનુવાદક અશ્વિન ચંદારાણાનો પરિચય
અનુવાદ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો?
1986માં એક મિત્રે ડાબેરી વિચારસરણી તરફનો એમનો ઝુકાવ જોઈને બોરિસ પાસ્તરનાકનું ‘ડો. ઝિવાગો’ પુસ્તક આપીને કહેલું, કે આમાં તને રસ પડશે. એ સમયે કેટલીયે રાતપાળીના સમયનો સદ્ઉપયોગ દળદાર પુસ્તક ‘ડો. ઝિવાગો’ વાંચવામાં કરેલો. એ પછી કદાચ 1987 કે 88માં આ પુસ્તકને ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી. પુસ્તકમાંના પહેલા ભાગનો અનુવાદ કરી લીધા પછી, આગળ વધવાને બદલે પહેલા ભાગના અનુવાદને ફરીથી વાંચવા બેઠો, ત્યારે એક વાત સમજાઈ, કે રશિયન ક્રાંતિને મૂળમાંથી પૂરેપૂરી સમજ્યા વગર, માર્ક્સના સમાજવાદ (વિભાવના) અને લેનિનના સામ્યવાદ (અમલ) વચ્ચેના ભેદને પારખ્યા વગર, બોલ્શેવિક-મેન્શેવિકના પૂરા સંદર્ભ વગર, રશિયન ઝાર, સામ્યવાદીઓ અને રશિયન બળવાખોરો વચ્ચેના તાણાવાણાને સમજ્યા વગર બોરિસ પાસ્તરનાકના ‘ડો. ઝિવાગો’ને સાચી રીતે સમજી શકવાની કોઈ શક્યતા ન હતી. એટલે પ્રથમ ભાગના અનુવાદના કાગળોને એક કોથળીમાં ભરીને, સાચવીને માળિયા પર ચડાવી દીધેલા.
યાતનાઓનું અભયારણ્ય અને અશ્વિન ચંદારાણા
એ પછી, અનુવાદયાત્રા કંઈ રીતે આગળ વધી એ વિશે તેઓ કહે છે કે, અનુવાદના બીજા તબક્કાની વાત કરું, તો વર્ષો પહેલાં મીનાક્ષીએ મને એક પુસ્તક આપેલું, જેનું નામ હતું માનવી ખંડિયેરો, જે Who Walk Alone નામના પુસ્તકના, શ્રી કાકા કાલેલકર અને કિશોર મશરુવાળાએ કરેલા અનુવાદનો શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલો સંક્ષેપ હતો. અઢારમી સદીના અંત ભાગમાં, એ સમયે અસાધ્ય અને ચેપી ગણાતા રક્તપિત્તના રોગના એક દર્દીના જીવન પર આધારિત આ નવલકથામાં રક્તપિત્તનો એ રોગી, અસાધારણ આપત્તિઓ વચ્ચે જીવીને, રક્તપિત્તના દર્દીઓને મૃત્યુ પર્યંત સાચવતા ફિલિપાઇન્સના ક્યૂલિયન નામના એક ટાપુ પર ધીરજ અને પુરુષાર્થ, તથા અન્ય દર્દીઓના સહકાર વડે આખા ટાપુ માટે માછલી પકડવાની અને દરિયાનાં મોજાં વડે વિદ્યુત પેદા કરીને ટાપુ પર રોશનીની સુવિધા પૂરી પાડવાનું ભગીરથ ગણી શકાય એવું કાર્ય કરે છે તેની કહાણી, સંક્ષેપને કારણે ટૂંકમાં વર્ણવવામાં આવી હતી. સંક્ષેપમાં પણ કથાનક એટલું રસપ્રદ રીતે આલેખાયેલું જોઈને મંશા થઈ આવી, કે મૂળ અનુવાદ આખો વાંચવા મળે. ઘણા પ્રયાસો પછી પણ એ શક્ય ન થયું. વર્ષો પછી ફરીથી એ જ કથાનકમાં રસ પડ્યો, ઇન્ટરનેટને કારણે મૂળ અંગ્રેજી પુસ્તક શોધીને વાંચ્યું, ત્યારે વાંચતાં-વાંચતાં જ આ કથાને ગુજરાતીમાં અનુવાદિત કરવાનું નક્કી કરી લીધેલું. અને એ કામ પૂરું પણ કરી નાખેલું. એ પુસ્તક એટલે યાતનાઓનું અભયારણ્ય’.(અત્રે આપને જણાવી દઈ એ કે મૂળ લેખક પેરી બર્જેસનાં Who Walk alone’ના અનુવાદ ‘યાતનાઓનું અભયારણ્ય’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું 2018નું દ્વિતીય પારિતોષિક મળ્યું છે.)
શિન્ડલર્સ લિસ્ટનાં અનુવાદન અંગે
વર્ષો સુધી હિટલરે યહૂદીઓ ઉપર ગુજારેલા જુલમની વાતો સફારી જેવા સામયિકો દ્વારા વાંચતી વેળાએ આખી હકીકત જાણવાની જે ઉત્સુકતા ઊભી થયેલી, એ સ્ટિવન સ્પિલબર્ગની ફિલ્મ ‘શિન્ડલર્સ લિસ્ટ’ જોયા પછી ઓર વધી ગયેલી, કારણ કે ‘ગાંધી’ ફિલ્મની માફક અહીં પણ કેટલીક ઘટનાઓને માત્ર સ્પર્શીને છોડી દેવાઈ હતી. પછી સંપૂર્ણ પુસ્તક ‘શિન્ડલર્સ આર્ક’ વાંચ્યું, અને તેને પણ ગુજરાતીમાં 352 પાનામાં ઉતાર્યું. હોલોકોસ્ટ સાહિત્યમાં જાગેલા રસને એ પછી થોભ ન રહ્યો. ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ અને ધ પિયાનિસ્ટ, આ બંને યુદ્ધ અને તેના પરિણામોના વિષય પર પ્રથમ અને દ્વિતીય વિશ્ર્વયુદ્ધની ઘટનાઓને આવરી લેતી લખાયેલી કૃતિઓ છે, તે બન્ને પુસ્તકનો અનુવાદ કર્યો. જેમાંના એક, ધ પિયાનિસ્ટ (મૂળ લેખક : વ્લાદિસ્લોવ સ્પિલમેન)ને ગુજરાત સાહિત્ય અકાદમીનું 2019નું પ્રથમ પારિતોષિક મળ્યું છે. ‘ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ અને ધ પિયાનિસ્ટ’ આ બન્ને પુસ્તકો કરતી વખતે આપને અને મીનાક્ષીબેનને પુસ્તકના કથાનક, યુદ્ધનો કરુણ ચિતાર, આ બધામાંથી પસાર થતાં ખૂબ જ નિરાશા અને ઉદાસી ઘેરી વળતી એવી વાત સાંભળી છે, એ વિશે પૂછતાં તેઓ કહે છે કે આ પુસ્તકોએ વાસ્તવમાં યુદ્ધની વિભીષિકા સાથે પરિચય કરાવી આપ્યો, તે એટલી હદે કે એ સમયે યુદ્ધના વિચારોમાં મન સતત ખિન્ન રહેવા લાગ્યું. તો આવો જ અનુભવ, શિન્ડલર્સ લિસ્ટ’ના પ્રૂફ ચકાસતી વેળાએ મીનાક્ષીને કદાચ પહેલી વખત રક્તચાપ સ્પર્શી ગયો, જે આજે પણ વારતહેવારે દેખા દઈ જઈને હેરાન કરતો રહે છે. એ પ્રૂફ મીનાક્ષીએ પછી અધૂરા જ છોડેલા. હવે, આ બધા કારણોસર મનને શાતા આપે એવા કોઈક કામમાં વ્યસ્ત થવાની જરૂરિયાત અનુભવાઈ! (સર્જક માત્ર કામ તરીકે નહિ પણ કૃતિ સાથે કેટલી હદે જીવે છે, આ વાત એ બાબત દર્શાવે છે)
ડૉ. ઝિવાગોનો અનુવાદ કેવી રીતે કર્યો?
હા, સૌથી પહેલાં શરૂ કરેલા ‘ડો. ઝિવાગો’ની વાત વગર બધું જ નકામું. શિન્ડલર્સ લિસ્ટ, પછી ક્યાંક એક તબક્કે પછી માળિયે ચડાવી દીધેલો અધૂરો અનુવાદ ઉતારીને ફરીથી વાંચતી વેળાએ, આટલાં વર્ષોમાં રશિયન સાહિત્ય, માર્ક્સ, લેનિન, લિયો તોલ્સતોય, વગેરે વિશે મેળવેલી થોડીઘણી જાણકારી પછી એ અધૂરો અનુવાદ મને અનેક રીતે અધૂરો લાગ્યો, એટલે પ્રથમ ભાગના એ અનુવાદને ફરીથી માળિયે ચડાવી દીધો. અને ધ પિયાનિસ્ટ અને ઑલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ પછી, 1888માં અધૂરો મૂકેલો અનુવાદ 2000ની સાલમાં પૂરો કર્યો, જેમાં મૂળ પુસ્તકમાં સામેલ, ‘લારા કાવ્યો’ નામે પ્રખ્યાત પાસ્તરનાકની ચોવિસ કવિતાઓ પણ મેં મારા અનુવાદમાં સામેલ કરી છે. પાંચેક વર્ષ પહેલાં આદરણીય વિષ્ણુભાઈએ ડો. ઝિવાગોના અનુવાદમાં રસ દર્શાવેલો, એટલે તેમના પ્રયાસોને કારણે ગુજરાત સાહિત્ય અકાદમીને ‘ડો. ઝિવાગો’નું પુસ્તકાકારે પ્રકાશન કરવાનું સ્વીકાર્યું છે. બહુ નજીકમાં જ એ પુસ્તક પણ અકાદમી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તોલ્સતોયની કૃતિ અને અનુવાદ

બરાબર એ જ સમયે લિયો તોલ્સતોયની ’’What Then Must We Do?’ કૃતિ હાથ લાગી. આ કૃતિ અગાઉ શ્રી નરહરી પરીખ દ્વારા ગુજરાતી ભાષામાં અનુદિત થઈ ચૂકી હતી. પછી તો તેમના અનુવાદના દ્વિતીય ભાગની ઈ-બૂક અને પછી તેના સંક્ષેપનું પુસ્તક પણ હાથ લાગ્યાં, અને વાંચ્યાં ત્યારે ખ્યાલ આવ્યો, કે મારી મહેનત એળે નહોતી ગઈ. મૂળ અનુવાદ ઉપલબ્ધ ન હતો, અને સંક્ષેપને સરળતા આપવા માટે મૂળ કૃતિમાં આવતા અર્થશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો અને સંદર્ભોના વિશદ વિવરણને ટૂંકાવવામાં આવેલાં હોવાથી, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ સિવાયના સામાન્ય વાચકને કદાચ સરળતા જરૂર રહે, પરંતુ એ વિવરણ વગર ઘણી બધી સ્પષ્ટતા અધૂરી રહી જાય. વળી કેટલાક પ્રસંગો પણ ટૂંકાવી દીધા હોવાને કારણે જે અધૂરપ અનુભવાય, એ તો પૂરો અનુવાદ વાંચ્યા પછી જ સમજાય. આથી પૂરો અનુવાદ કરીને સંતોષનો અનુભવ કર્યો. તે પુસ્તક એટલે, તો પછી આપણે કરવું શું?’ પરંતુ લિયો તોલ્સતોયે આ કૃતિમાં એક સામાજિક દૂષણ કહો તો એ, અને સમાજરચનાનું પરિણામ કહો તો એ, પરંતુ ઓગણીસમી સદીમાં રશિયામાં વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ચૂકેલી ગરીબીનાં વિવિધ પાસાં, અને તેના વ્યવહારુ ઉપાયોને આ કૃતિમાં આલેખ્યાં છે, જેણે કાકાસાહેબ કાલેલકરના શબ્દોને ટાંકીએ, તો દૂધમાં ખારી કાંકરી નાખી આપી. કારણ કે રશિયાની એ સમયની ગરીબી, અને આપણાં શહેરોમાં રોજબરોજ જોવા મળતી લોકોની સ્થિતિમાં ખાસ કંઈ ફેર જણાતો નથી. અને રશિયામાં એ સમયે તોલ્સ્તોય જેટલા પ્રસ્તુત હતા, તેમના પ્રત્યે ત્યાંનાં લોકોને જે માન હતું, એટલા પ્રસ્તુત કે માનના હકદાર તો આજે આપણે ત્યાં ગાંધી પણ નથી રહ્યા. એટલે દક્ષિણ આફ્રિકાના પોતાના ફાર્મને ‘તોલ્સતોય ફાર્મ’ નામ આપનાર ગાંધી હોય કે તોલ્સતોય ખુદ, આપણા પર તેઓ શી અસર કરી શકે એ પ્રશ્ર્ન હોવા છતાં, અંદરથી અમારી માન્યતાના દીવડામાં વર્ષો પહેલાંના તોલ્સતોયના વિચારોએ તેલ પૂરી આપ્યું. વળી, આદરણીય પ્રકાશ ન. શાહે અત્યંત રસ અને ઊંડાણપૂર્વક લખેલી પુસ્તકની પ્રસ્તાવનાએ માર્ગ મોકળો કરી આપ્યો.
આવનારી કૃતિ વિશે
વીસમી સદીના બીજા દાયકાની વૈશ્વિક મંદીએ આધુનિકતામાં અગ્રેસર રહેતા અમેરિકન સમાજ પર કરેલી દૂરગામી અસરોને આલેખતી ફિત્ઝજેરાલ્ડની નવલકથા ‘ધ ગ્રેટ ગેટ્સ્બી’ આમ જ પાછળથી વંચાઈ હોવા છતાં અનુવાદમાં અગ્રતાક્રમ મેળવી ગઈ. આધુનિક સમાજની ગતિવિધિની સાથે-સાથે અમેરિકન આધુનિક સાહિત્યિક માપદંડો પર ખરી ઊતરેલી આ કૃતિએ ગુજરાતી અનુવાદ સમયે કદાચ મને સૌથી વધારે પજવ્યો, કારણ કે સાહિત્યના અમેરિકન માપદંડોથી અજ્ઞાત મારા માટે, સામાન્ય ‘લાગતા’ વિષય અને તેના અતિસામાન્ય ‘લાગતા’ નિરૂપણને કારણે આ કૃતિ શા માટે વિશ્ર્વ સાહિત્યમાં ક્લાસિક ગણાય છે તે સમજવા માટે મારે અનેક સંદર્ભોને ચકાસવા પડેલા. એક-એક સંવાદ, એક-એક ઘટના, એક-એક વર્ણન, કોણ જાણે કેટલા સંદર્ભો ધરાવે છે, તે તો આ નાનકડી કૃતિ પર લખાયેલા અસંખ્ય શોધ-નિબંધો પર નજર ફેરવીએ, ત્યારે જ સમજાય! ભરત મહેતાએ પોતાની પ્રસ્તાવનામાં આ અનુવાદ અને તેની પાછળની મારી મહેનતને બિરદાવીને, વાચક માટે કૃતિ સુધી પહોંચવાલાયક એક સેતુ રચી આપ્યો છે. ટૂંક સમયમાં એ કૃતિ પણ પ્રકાશિત થશે. આગળ, તેમની આવનારી બીજી કૃતિ, મૂળે માઇકલ ક્લાર્કના, ધ સ્ટોરી ઑફ ટ્રોય* છે જેમાં ત્રણ હજાર વર્ષ પહેલાં, ગ્રીસ દ્વારા ટ્રોય પર કરવામાં આવેલી ચડાઈનું વર્ણન છે.
આ કૃતિના અનુવાદ વિશે તેઓ કહે છે કે, આ કૃતિના અનુવાદ સમયે ન તો હોલોકોસ્ટનો ઓથાર ઝળુંબતો રહ્યો, ન તોલ્સતોયના રશિયાની ગરીબીએ હેરાન કર્યો, કે ન આધુનિક અમેરિકન સાહિત્યની આંટીઘૂંટીએ પરેશાનીમાં નાખ્યો. બન્યું એથી ઊલટું જ, હોમરની કવિતાઓની પંક્તિઓનો સંદર્ભ આપતાં જઈને માઇકલ ક્લાર્કે બાવીસ વર્ષીય ગ્રીસની રાણી અને વિશ્ર્વસુંદરી એવી હેલન અને ટ્રોયના સોળ વર્ષના રાજકુમાર પેરિસ વચ્ચેના પ્રણયસંબંધો, હેલન અને પેરિસની મુશ્કેલ સમુદ્રયાત્રા, કૌટુંબિક વિરોધ વચ્ચે ટ્રોયના રાજા દ્વારા તેમનો સ્વીકાર અને લગ્ન, દસ વર્ષની તૈયારી બાદ ગ્રીકો દ્વારા ટ્રોય પર કરવામાં આવેલી, બીજાં દર વર્ષ ચાલેલી ચડાઈ, પેરિસ, હેક્ટર, અકીલિઝ જેવા અનેક વીરયોદ્ધાઓની લડાઈ, મશહૂર ટ્રોજન હોર્સ, ટ્રોયનો ધ્વંસ, હેલનનું ગ્રીક પરત ફરવું, અને આ બધાંમાં એ સમયે પ્રચલિત દેવી-દેવતાઓનું યુદ્ધમાં સામેલ થવું, તેમનાં વેરઝેર, રાગદ્વેષ આ બધી સ્વપ્નિલ ઘટનાઓના વિવરણે અગાઉના અનુવાદોએ આપેલા વિષાદને ઘડીભર માટે જાણે એક તરફ હડસેલી દીધા. કોઈ પરીકથામાંથી પસાર થતાં હોય એવાં વર્ણનોમાંથી એક બાબત મેં એકાધિક વખત નોંધી છે, કે આપણા રામાયણ-મહાભારતમાં વર્ણવવામાં આવેલી કેટલીયે ઘટનાઓ અહીં સહેજસાજ જ જુદા સંદર્ભો સાથે ગૂંથાયેલી હતી.
પૌરાણિક ગ્રંથોમાં વર્ણવાયેલી ઘટનાઓનો વ્યાપ કેવો વૈશ્વિક હોય તે અહીં જાણવા મળ્યું. અને છેલ્લે, હાલ જે કામ હાથ પર છે,હેલન ઓફ ટ્રોય’, એના વિશે વાત કરતાં તેઓ કહે છે કે, આ કૃતિમાં હેલન અને પેરિસના આ જ પ્રણય-કથાનકને એક અલગ જ દૃષ્ટિકોણ સાથે, હેલનની નજરે વર્ણવવામાં આવ્યું છે. અહીં યુદ્ધ તો છે, પણ તેના કેન્દ્રમાં ગ્રીસ કે ટ્રોય નહીં, હેલન છે. હેલનના જન્મથી પણ પહેલાંની કહાણીને આવરી લેતી આ કૃતિ, એ જ ઘટનાને અનેક નવા સંદર્ભો સાથે અહીં આલેખવામાં આવી છે. આ કૃતિના અનુવાદ સમયે ઈરાવતી કર્વેનું મહાભારતનાં સ્ત્રી-પાત્રોને નવા સંદર્ભે રજૂ કરતું ‘યુગાન્ત’ પુસ્તક સતત યાદ આવતું રહે છે. દૃષ્ટિકોણમાં સહેજ માત્ર ફેરફાર કરવાથી એક જ પાત્રમાં કેટકેટલાં વિવિધ પરિમાણોને જોઈ અનુભવી શકાય એ આ કૃતિની વિશેષતા ગણી શકાય તેમ છે.


