2025 ખરેખર ભારે વર્ષ નીવડ્યું છે. ગુરુવાર તારીખ બાર જૂન 2025, બપોર લગભગ દોઢ વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટથી લંડન ભણી જતી ફલાઇટ ટેક ઓફની અમુક ક્ષણોમાં ક્રેશ થઇ. આ લખાય છે ત્યારે થયેલ જાનહાનીનો આંકડો પાકો બહાર આવેલ નથી પણ કોઈ બચ્યું હોય તે પણ બહુ દુર્લભ ગણાય એમ છે. હવાઈ યાત્રા (પ્લેન યાત્રા) સહુથી સુરક્ષિત મોડ ઓફ ટ્રાવેલ છે. સહુથી વધુ અકસ્માત બાઈક થકી થાય છે. સહુથી ઓછા અકસ્માત પ્લેનમાં થાય છે. (આ સાબિત કરતા આંકડાઓ ઉપલબ્ધ છે) પરંતુ પ્લેન અકસ્માત થાય ત્યારે લોકોના મૃત્યુ મોટી માત્રામાં થતા હોવાથી સામાન્ય રીતે લોકો એર ટ્રાવેલને વધારે અસુરક્ષિત માની લેતા હોય છે. આનો અર્થ એમ કે હવાઈ અકસ્માત એકદમ રેર છે. દરેક અકસ્માત બાદ વિમાન બનાવતી કંપનીઓ પોતાની ડિઝાઇન ને વધુને વધુ સુરક્ષિત બનાવવા પગલાંઓ લે છે. આજના વિમાનો એન્જિનિયરિંગ માર્વેલ છે. એટલી હદે કે ટેક ઓફ /લેન્ડિંગ ને બાદ કરતા તમામ કાર્યો ઓટો પાઇલટ (ઇલેક્ટ્રોનિક્સ + સોફ્ટવેર) સંભાળી લે છે.આટલી કોમ્પ્લેક્સ સિસ્ટમ હોવા છતાં આટલા ઓછા અકસ્માત થવા તે માણસ જાતની માનસિક શક્તિઓનો પરચો છે. છતાં અકસ્માત તો થાય છે. આંકડાઓ કહે છે કે મોટાભાગના પ્લેન ક્રેશ ટેકનિકલ ખામી નહિ પણ માનવીય ભૂલોને કારણે થયા છે.. રોડ ઉપરના અકસ્માત પણ માણસની ભૂલોને કારણે થાય છે, મશીનની ભૂલ કે ટેકનિકલ ખામીને કારણે થતા નથી. ટેકનિકલ ત્રુટિ ને તો મોટેભાગે નિવારવામાં આવે છે પણ માનવીય ભૂલોને નિવારવામાં આપણે કાચા પડીએ છીએ. જ્યા સેફ્ટી ને લગતા કાયદા ઢીલા હોય, સેફ્ટી સાથે રમત કરવી સહજ હોય ત્યાં માનવીય ભૂલો વધારે થાય છે.
1970 બાદ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલ ક્રાંતિકારી શોધોને પરિણામે પ્લેન અકસ્માત અને એને કારણે થતા મૃત્યુની સંખ્યા સાવ નહિવત થઇ ગઈ છે. પ્લેન યાત્રાને સુરક્ષિત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડ લાગુ પાડવામાં આવેલ છે. હવે તે માપદંડોને આ બિઝનેસ સાથે સંકળાયેલ લોકો કેટલા પાળે છે તે એક અલગ ચર્ચા અને અભ્યાસનો વિષય છે. આથી જ લગભગ સિત્તેર થી એંસી ટકા પ્લેન અકસ્માત માનવીય ભૂલોને કારણે થાય છે. દસથી વીસ ટકા અકસ્માતો મોસમ અને ટેકનિકલ ખામીને કારણે થયા છે. (આવું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને કંપનીઓનો ડેટા જણાવે છે) આવી અચાનક ઘટતી ઘટનાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે એક ઘટના બને પછી એવી અનેક ઘટનાઓ બનવા લાગે છે. જેમકે કોઈ બેંક પેઢી ઉઠી જાય તો અન્ય પેઢી ઉઠવાની સંભાવના વધી જાય છે. ક્યાંય રમખાણો થાય તો ત્યાં વધુ રમખાણ થવાની સંભાવના વધે છે. પરંતુ પ્લેન અકસ્માત બાબતે સાવ ઊંધું છે. જેમ પ્લેન અકસ્માત થાય એમ બીજા નવા પ્લેન અકસ્માત થવાની સંભાવના ઘટતી જાય છે. કેમકે દરેક અકસ્માત બાદ એ અકસ્માતની પાકી કઠોર અને શુદ્ધ ટેકનિકલ તપાસ થાય છે. રાજકારણી બુદ્ધિથી જેના મગજ કલુષિત થયા હોય એવા મૂર્ખ અંધ અનુયાયીઓ આ તપાસમાં ભાગ લેતા નથી પણ અત્યંત વિદ્વાન અને ટેકનિકલી એકદમ નિપુણ લોકો આ તપાસ આદરીને ફરી આવા અકસ્માત થાય નહિ એ માટેના પગલાંઓ લે છે. એક જોરદાર ઉદાહરણ 1977ની એક પ્લેન ક્રેશ ઘટનાનું છે જે ઉદ્દયન ઇતિહાસની સહુથી ભયાનક ઘટના ગણાય છે.
- Advertisement -
આ દુર્ઘટનામાં બે પેસેનજર્સથી ભરેલા વિમાનો મધ આકાશે ટકરાતાં પાંચસો ત્ર્યાસી (583) લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના પાછળ પાયલોટ અને એર ટ્રાફિક ક્ધટ્રોલર (એર ટ્રાફિકને ક્ધટ્રોલ કરતા મથક) વચ્ચે ગેરસમજ કારણભૂત હતી. આ બનાવ ની સઘન તપાસ થઈ અને એના પરિણામે એર ટ્રાફિક કંટ્રોલ માટેની એક કોમન શબ્દાવલી નક્કી કરવામાં આવી જેને તમામ દેશોએ સ્વીકારવાની હતી. નસીબવાદી લોકો કોઈપણ અકસ્માતને ભાગ્ય પર ઢોળીને ભૂલી વિસરી જાય છે પણ જે પ્રજા પરિશ્રમ અને સાહસ થી આગળ આવી છે એ હમેશા નસીબના તત્વને વામણું બનાવવા પ્રયાસ કરે છે. તેઓ હમેશા સેફ્ટી બાબતે જાગૃત રહે છે અને સેફ્ટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવતા નથી. પણ નસીબથી ચાલતા લોકો એમાં પણ રાજકારણ શોધીને છેવટે ભાગ્યને કોસીને ક્રિકેટ અને ફિલ્મોનો આસ્વાદ લેવા લાગે છે.