ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આજથી બે-એક વર્ષ પહેલા ગાંધીનગર સોસાયટી, ગાંધીગ્રામમાં રહેતાં અને ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. મંડળીમાં કલાર્ક તરીકે કામ કરતા ફરિયાદી અજયભાઈ અમૃતલાલ વડેરા બપોરના ચારેક વાગ્યાના અરસામાં મંડળીથી નીકળી પગે ચાલીને સીટીઝન કો-ઓ. બેન્ક જતા હતા ત્યારે આર્યસમાજ કાન્તા વિકાસ ચોક પાસે પહોંચતા ભૂતખાના ચોકથી કાંતા વિકાસ ચોક જવાના રસ્તે પાછળથી અચાનક એક મો.સા.ના ચાલકે હડફેટે લેતાં ફરિયાદીને જમણા હાથમાં ફ્રેકચર જેવી ઈજા થયેલી અને શરીરે પણ મૂંઢ ઈજાઓ થયેલી હતી અને અકસ્માત કરનાર મો.સા.ના ચાલક તથા બીજા અજાણ્યા માણસોએ ઉભો કરેલો હતો. આ સંબંધની ફરિયાદ ફરિયાદીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આપેલી હતી.
- Advertisement -
આ કામમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જાટીયાએ અકસ્માત સંબંધેની તપાસ કરેલી અને ફરિયાદીને ઈજા કરનાર મો.સા. 4359વાળા આરોપી પ્રિયાંશુ અશ્ર્વિનભાઈ મેંદપરા રહે. મોરબી રોડ રાજલક્ષ્મી સોસા. રાજકોટના કેસ બાબતેના નિવેદનો લીધા તેમજ ડોકટરી સર્ટિફીકેટ અને સ્થળ ઉપર હાજર રહેલા દર્શન ત્રિવેદી, જીજ્ઞેશ ત્રિવેદી વિગેરે લોકોના નિવેદનો લીધેલા તથા જી.ટી. શેઠ હોસ્પિટલમાં ફરિયાદીએ લીધેલી સારવારના મેડિકલ પેપર્સ મેળવેલ અને આરોપીએ બેદરકારીથી પોતાનું મો.સા. પૂરઝડપે, બેફિકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે ગફલતથી ચલાવીને ફરિયાદીને જમણા હાથે તથા શરીરે મૂંઢ ઈજાઓ કરતાં આરોપીની ધરપકડ કરીને આરોપીને કોર્ટહવાલે કરેલો હતો.
હાલના કેસમાં તપાસ કરનાર અમલદારે નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરતાં રાજકોટના મહે. અધિક ચીફ જ્યુડિ. મેજિ. જજ એમ. એમ. શુકલની કોર્ટમાં ફરિયાદી સામેનો કેસ ચાલી જતાં ફરિયાદી દ્વારા અકસ્માત કરનાર મો.સા.વાહન તથા ચાલકની ઓળખ આપવામાં નિષ્ફળ નીવડેલ હતા અને અકસ્માતના બનાવ પૂરવાર કરવા માટે કોઈ મજબૂત પુરાવો આપવામાં નિષ્ફળ નીવડેલા હતા અને ફરિયાદીની જુબાની પરથી તથા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ ઉપરથી ફરિયાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલા હતા.
આ કામમાં આરોપી પ્રિયાંશુ અશ્ર્વિનભાઈ મેંદપરાના તરફે વકીલ કલ્પેશ નશીતે એવી દલીલો કરેલી હતી કે આરોપી અકસ્માત કરનાર વાહન ચલાવતો હોય કે આરોપી પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવીને અકસ્માત કરેલો હોય કે ફરિયાદીએ ફરિયાદમાં આરોપીનું કોઈ નામ કે વર્ણન જણાવેલું નથી કે અકસ્માતવાળી સ્થાનિક જગ્યાનું પંચનામુ જોતાં અકસ્માતને લગતી કોઈ ચીજવસ્તુ કબ્જે કરેલી નથી. ફરિયાદીની જુબાની જોતાં ફરિયાદ પક્ષની હકીકતને સમર્થન કરતા નથી. ફરિયાદીએ પોતાનો કેસ પૂરવાર કરવામાં નિષ્ફળ નીવડેલી હોય જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા આદેશ કરવા જણાવેલ હતું. ઉપરોક્ત હકીકતને ધ્યાને લઈને રાજકોટના મહે. અધિક ચીફ જ્યુડિ. મેજિ. એમ. એમ. શુકલએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કરેલો હતો. આ કામે આરોપી પ્રિયાંશુ અશ્ર્વિનભાઈ મેંદપરાના તરફે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી દીલીપ પટેલ, કલ્પેશ નસીત રોકાયેલા હતા.