ધોરાજીમાં ઠેર-ઠેર બેનરો લાગ્યા
હિતશત્રુઓએ બેનરો લગાવ્યાનો MLAનો આરોપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મુખ્ય માર્ગોનું વરસાદ બાદ ધોવાણ થઈ જતા શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નારાજગીના ભાગરૂપે ધારાસભ્ય ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા હતા. જે પોસ્ટરો લગાવી જનતાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે ધારાસભ્યએ આ પોસ્ટરો તેમના હિતશત્રુઓએ લગાવ્યા હોવાનુ જણાવ્યું છે.
ધોરાજીમાં તાજેતરમાં પડેલા વરસાદના પગલે મુખ્ય માર્ગોની હાલત કફોડી બની છે. શહેરના મુખ્ય માર્ગો પર રોડ-રસ્તા તૂટેલા અને ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જનતાનો આક્ષેપ છે કે, ધોરાજી શહેરનો જેતપુર રોડ, જૂનાગઢ રોડ ઉપલેટા રોડ સહિત તમામ મુખ્ય માર્ગો દર વર્ષે ચોમાસુ આવતા જ બગડી જાય છે. આ વર્ષે પણ ચોમાસુ શરૂ થતા આ જ સ્થિતિ શહેરના માર્ગોની જોવા મળી રહી છે. જો કે, ધોરાજીમાં ધારાસભ્ય ગુમ થયાના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા.
ધોરાજીના ધારાસભ્ય ગુમ થયાના પોસ્ટર મામલે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે હું મારા મત વિસ્તારમાં કાર્યરત રહું છું. કોઈ વિઘ્ન સંતોષી અને હિતશત્રુઓ દ્વારા આવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
- Advertisement -
નબળા રસ્તા મામલે માર્ગ અને મકાન વિભાગના સેક્શન ઓફિસર આર.સી. કંસારાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવ્યા ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ડામર રોડ પર ચોમાસા દરમિયાન પાણી ભરાયેલા રહે છે. જેને કારણે રસ્તાઓ ખરાબ થઈ જાય છે.
મુખ્ય માર્ગો સીસી રોડ કરવા માટે સાડા સાત કરોડની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેની સામે સરકાર દ્વારા ચાર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે જેતપુર રોડ પર ચાલી રહેલા સીસી રોડના કામમાં ભૂગર્ભ ગટર અને નળ કનેક્શન તૂટી જતા હોય જેનું રિપેરિંગ નગરપાલિકા દ્વારા સમયસર કરવામાં આવતું ન હોવાથી રોડ રસ્તાના કામમાં વિલંબ થઈ રહ્યો છે.