25 લાખ હેક્ટરમાં ઉભા પાકને બચાવવા રૂ પાણી સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય
ગુજરાતના ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી મળશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.7મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. 7મી જુલાઇથી 8ને બદલે 10 કલાક વીજળી મળશે.
ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાતા ગુજરાતમાં પાણીના અભાવે બાજરી, મકાઈ, ડાંગર, મગફળી, કપાસના વાવેતરમાં ફૂટેલો ફણગો કરમાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાવાના કારણે અગાઉ ખેડૂતોએ સરકાર સમક્ષ ચાર કલાક વધુ વીજળી આપવા તેમજ બધા જ જળાશયોમાંથી પાણી છોડે. તેવી માંગણી કરતા ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાતમાં સુજલામ- સુફલામ નેટવર્કમા તત્કાળ અસરથી પાણી વહેતુ કરવા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બાગાયતી સહિતના કૃષિ પાકોમાં ભારે નુકશાન થયુ હતુ. જેની સામે સરકારે જાહેર કરેલા ખેડૂતો માટેના રાહત પેકેજમાં ઠરાવ, પરિપત્ર મુજબ સહાય ચૂકવાતી નથી. એવી રાવ કિસાન સંઘે નાંખી હતી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના ખેડૂત સંગઠનના પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ કહ્યુ કે, કેરી સહિતના બગીચાના પાકોમાં એક હેક્ટરમાં 30,000 અને બે હેક્ટરમાં 60,000ની મર્યાદામાં સહાય ચૂકવવાનો ઉલ્લેખ થયો છે. પણ જે વિસ્તારમાં મુખ્યપાક જ કેરી- બાગાયતી છે તેમને બે હેક્ટરથી વધુમા થયેલા નુકશાનની અંગે પણ સહાય આપવી જોઈએ.
સંયુક્ત ખાતેદારો હોય તેવા કુટુંબમાં પણ બે હેક્ટરથી વધુમાં નુકશાન હોય તેનો સમાવેશ પણ સહાય માટે થવો જોઈએ. જે ખેડૂતોના કલમના રોપા જ નષ્ટ થઈ ગયા છે તેમને સરકાર કલમોના રોપ વિનામુલ્યે આપે. ખેત વિસ્તારમાં મકાન અને ગોડાઉનને નુકશાન થયુ હોય તેને પણ સહાય મળવી જોઈએ.
બનાસકાંઠામાં સુકાતા કુમળા છોડ માટે નર્મદાનું પાણી છોડવાની માંગણી સાથે 10થી વધુ ખેડૂતો સોમવારે સચિવાલય આવ્યા હતા. જો કે, આ ખેડૂતો સચિવાલયમાં પ્રવેશે તે પહેલા પોલીસે દરવાજેથી ઉપાડીને લઈ જતા તેમણે ભારે વિરોધ કર્યો હતો. બાદમાં સચિવાલયમાં પ્રવેશ પ્રક્રિયા વધુ કડક કરી દેવાઈ હતી.


