ટ્રેનમાં 1000થી વધુ લોકો સવાર હતાં: પાટા પરથી અકસ્માતગ્રસ્ત કોચ મશિનરીથી હટાવાયા
ઘાયલોને હોસ્પિટલ લઇ જવા સેનાના હેલિકોપ્ટરોનો ઉપયોગ: અન્ય ટ્રેનોના સમયમાં વિલંબ
- Advertisement -
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક્સપ્રેસ ટ્રેનના કેટલાક કોચ પાટા પરથી ઉતરી જતા 35 લોકોનાં મોત થયા છે અને 100 લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. કરાચીથી રાવલપિંડી જઇ રહેલ હઝારા એક્પ્રેસ ટ્રેન સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લાના સરહરી રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઇ હતી. ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પારિસ્તાન રેલવે મેહમૂદ રહેમાને આ અકસ્માતને સમર્થન આપ્યું હતું. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યા હતાં. કરાચીથી 275 કિમી દૂર આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેનના ડબ્બાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અકસ્માતગ્રસ્ત ડબ્બાઓ વચ્ચે યાત્રીઓને બહાર કાઢવા માટે બચાવદળના કર્મચારીઓ, પોલીસ જવાનો અને લોકોએ સાથે મળીને કાર્ય કર્યુ હતું. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાની સેના અને રેન્જર્સના જવાનો પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે. આર્મી ચીફ જનરલ આસીફ મુનીરના આદેશને પગલે સેનાના જવાનોએ આ બચાવ ઓપરેશન શરૂૂ કર્યુ હતું.સેનાના જવાનોએ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઇ જવાનું પણ કાર્ય કર્યુ હતું. ઘાયલોને તાત્કાલિક પહોંચાડવા માટે સેનાના હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી.કરાચીમાં પાકિસ્તાન રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછામાં આઠ ડબ્બામાં ખડી પડયા હતાં. આ ટ્રેનમાં 1000થી પણ વધુ યાત્રીઓ સવાર હતાં. પાટા પરથી ડબ્બાઓને હટાવવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે અન્ય ટ્રેનોના સમયમાં પણ વિલંબ થયો હતો.