મોરબીમાં મચ્છુ નદી પર બનેલ સદી જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 140થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાય ઘાયલ થયા હતા. જે બાદ તંત્ર આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને શોધી શોધીને પકડી રહી છે. હમણાં સુધી 9 લોકોની અટકાયત કરાઈ છે. હવે આ દુર્ઘટના પરથી બોધ લઈને ગુજરાતના તમામ અન્ય ફરવાલાયક સ્થળો કે જ્યાં આ પ્રકારની ભીડ જામતી હોય ત્યાં સાવચેતીના પગલાંઓ લેવાની શરૂઆત થઇ ચુકી છે. અટલ બ્રિજ, સુદામા સેતુથી લઈને દ્વારકા-ઓખાની નાવ અને દરેક ભીડભાડવાળી જગ્યાઓ માટે નવા નિયમ બનશે. રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા તમામ રોપ-વે, ભીડભાડવાળી જગ્યાઓ અને કેબલ બ્રીજોની ફીટનેસ ચકાસણી માટે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જે અનુસંધાનમાં પોલીસ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેન્સીક વિભાગોને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને ફીટનેશ સર્ટિફિકેટ સહિતની બાબતો તપાસવામાં આવનાર છે.
અટલ બ્રિજ ઉપર સંખ્યા મર્યાદિત
મોરબીની ઘટના પરથી બોધ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે કે, અટલ બ્રિજ ઉપર એક કલાકમાં મહત્તમ 3000 લોકોથી વધુને પ્રવેશ નહિ આપવામાં આવે. નોંધનીય છે કે દિવાળી વેકેશનમાં અમદાવાદના સેન્ટર ઓફ અટ્રેક્શન ગણાતા અટલ બ્રિજ પર ગત રવિવારે 38,000 લોકોએ મુલાકાત લીધી હતી.
- Advertisement -
દ્વારકામાં સુદામા સેતુ હાલ પૂરતો બંધ
મોરબીના ઝૂલતા પુલ જેવો જ એક કેબલ બ્રિજ દ્વારકામાં આવેલો છે. ગોમતી નદી પર બનેલા આ બ્રીજનું નામ છે ‘સુદામા સેતુ’. મોરબીમાં બનેલ દર્દનાક ઘટના બાદ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દ્વારકા ખાતે આવેલ સુદામા સેતુ પુલ પર અવર-જવર પર તંત્ર દ્વારા બ્રેક લગાવાઈ છે.
પોરબંદર અને બેટદ્વારકાની બોટ્સમાં યાત્રીઓની સંખ્યા કરશે નિયંત્રિત
મોરબીની ઘટના સામે આવ ય બાદ સોશિયલ મીડિયામાં લોકોએ દ્વારકાથી બેટદ્વારકા લઇ જતી બોટ્સ વિષે પણ ફરિયાદ કરી હતી કે તેમાં ક્ષમતા કરતા અનેક ગણા લોકોને બેસાડવામાં આવે છે જેમાં સૌના જીવને જોખમ હોય છે. જે બાદ દ્વારકા જિલ્લાના કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી મહેસુલ તંત્રની આખી ટીમને લઈને બેટદ્વારકા પહોંચ્યા હતા. તેમણે બેટ દ્વારકા જેટી અને ઓખા જેટીનું નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ હાલપૂરતું ફેરી બોટ્સમાં તેમની કેપેસીટી કરતા 10 લોકો ઓછા બેસાડવાના નિર્દેશ આપ્યા છે. ઉપરાંત તમામ બોટ્સમાં પૂરતી સંખ્યામાં લાઈફ જેકેટ ઉપલબ્ધ રાખવાની તાકીદ કરી છે.