ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે બે લોકોના મોત થયા છે. તેમાં એક લિહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે. એકની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ગામ હીબકે ચઢ્યું હતું. બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે.
FSL રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી, જેથી લઠ્ઠાકાંડ નથીઃ SP
એફએસએલ રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી. જેથી લઠ્ઠાકાંડ નથી. રાત્રે જ તકેદારીનાં ભાગરૂપે દારૂ પીધેલા લોકોને ઓબ્જેવેશનમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં અમે કેટલાક લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે. બે લોકોના મોત થયા છે. આગળ વધુ તપાસ દરમિયાન જરૂર લાગશે તો કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે.
- Advertisement -
4ને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા
દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. જ્યાં બે વ્યક્તિઓના મોત તેમજ 4 વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એકની હાલત વધું ગંભીર હોવાથી તેને આઈસીયુમાં સઘન સારવાર અપાઈ રહી છે. જ્યારે બીજાને સિવિલના સાતમા માળે દાખલ કરાયો છે.