થોડા દિવસે પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે અમેરિકામાં મુલાકાત થઈ હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થવાની ઘટના વિશ્વભરમાં ચર્ચાઈ હતી. ટ્રમ્પ-ઝેલેન્સ્કીની રકઝકે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું અને આ વિવાદ મુદ્દે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે દાવો કર્યો છે કે, ‘ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સમક્ષ આજીજી કરી છે અને તેમણે પત્ર લખીને માફી માંગી છે.’
‘ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક પત્ર મોકલ્યો’
- Advertisement -
વિટકૉફે કહ્યું કે, ‘ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક પત્ર મોકલ્યો છે. તેમણે પત્રમાં ઓવલ ઓફિસમાં બનેલી ઘટના અંગે માફી માંગી છે. આ મુદ્દે અમારી ટીમ, યુક્રેનીઓ અને યુરોપીય લોકો વચ્ચે ઘણી ચર્ચા થઈ છે.’ વિટકૉફે ઝેલેન્સ્કીના નિર્ણયને મહત્ત્વનું પગલું ગણાવ્યું છે.
ટ્રમ્પે પત્રનો ઉલ્લેખ કર્યો
વિટકૉફે પહેલા ખુદ ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ‘અમેરિકા-યુક્રેન વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસ હેતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી દ્વારા મને એક પત્ર મળ્યો છે. હું તેમના પત્રની પ્રશંસા કરું છું.’
- Advertisement -
ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે થઈ હતી રકઝક
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે 28 ફેબ્રુઆરીએ કેમેરા સામે બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહ્યું કે, ‘કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.’ ઓવલ ઑફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.’ ત્યારબાદ ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા.
ઝેલેન્સકીએ કહ્યું- હું માફી નહીં માંગું
ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં ઝેલેન્સકીએ ટ્રમ્પ સાથેના તેમના વ્યવહાર માટે માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો. જો કે ઝેલેન્સકીએ સ્વીકાર્યું કે, જે પણ થયું તે બંને પક્ષો વચ્ચેના સંબંધો માટે સારું નથી. ટ્રમ્પ સાથે મુલાકાત કરી યુક્રેન પહોંચ્યા બાદ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, ‘અમારા માટે ટ્રમ્પનું સમર્થન મહત્ત્વનું છે. તેઓ યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે, પરંતુ અમારાથી વધુ કોઈપણ દેશ શાંતિ ઇચ્છતો નથી. અમે લોકો યુક્રેનમાં યુદ્ધ વચ્ચે જીવી રહ્યા છીએ. આ અમારી આઝાદી અને અસ્તિત્વની લડાઈ છે. રાષ્ટ્રપતિ રીગને એક વખત કહ્યું હતું કે, માત્ર યુદ્ધ જ શાંતિ સ્થાપવાની બાબત નથી. અમે ન્યાયપૂર્ણ અને કાયમી શાંતિ-સ્વતંત્રતા, ન્યાય અને તમામ લોકો માટે માનવાધિકાર ઇચ્છી રહ્યા છીએ. યુક્રેન પુતિન સાથે યુદ્ધવિરામ નહીં કરે. તેમણે છેલ્લા 10 વર્ષમાં 25 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. વાસ્તવિતા એ છે કે, માત્ર શાંતિ જ એકમાત્ર સમાધાન છે.’