હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત: મસૂદ અઝહર
ભારતે પાકિસ્તાનને જોરદાર ફટકો માર્યો છે. ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ત્યારે પાકિસ્તાની મીડિયાએ કરેલા દાવા અનુસાર, આ ઓપરેશનમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સ્વાહા થઈ ગયો છે.
- Advertisement -
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂદ અઝહરના ભાઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રઉફ અસગરના પુત્ર હુઝૈફા પણ સામેલ છે. માહિતી અનુસાર, રઉફ અસગરના ભાઈની પત્ની પણ મૃત્યુ પામી છે.
ઠાર થયો મસૂદ અઝહરનો આખો પરિવાર
પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારતે મસૂદ અઝહરના ઘર પર હુમલો કર્યો છે, જેમાં 14 લોકોનાં મોત થયા છે. મસૂદ અઝહરે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તેણે કહ્યું છે કે મારા પરિવારના 14 લોકો મૃત્યુ પામ્યા છે. આ હુમલા પછી, દુઃખી મસૂદ અઝહરે કહ્યું કે જો હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મૌલાના મસૂદ અઝહરની મોટી બહેનની સાથે મૌલાના કશફનો આખો પરિવાર માર્યો ગયો છે અને મુફ્તી અબ્દુલ રઉફના પૌત્રો, બાજી સાદિયાના પતિ અને તેમની મોટી પુત્રીના ચાર બાળકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.”
- Advertisement -
કોણ છે મસૂદ અઝહર?
મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદને ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંથી એક માનવામાં આવે છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સના વિમાનને હાઇજેક કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં બંધકોને મુક્ત કરવાના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી, તે પાકિસ્તાનમાં છુપાઈને અનેક મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે.
મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળ જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો કર્યો, 2000માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો, 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો અને 2019માં પુલવામામાં આત્મઘાતી હુમલો જેવી ઘણી મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો.
મસૂદના મદરેસા પર હુમલો
‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં બહાવલપુરમાં તેનું મદરેસા અને જૈશનું મુખ્યાલય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું. આ હુમલો 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
મસૂદ અઝહરને 2019 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે અને તેના સંગઠનનો વિસ્તાર કરવા માટે નવા મદરેસા ખોલવાની યોજના બનાવતો રહ્યો છે.