મોર્નિંગ મંત્ર: ડૉ. શરદ ઠાકર
નવદ્વારનો આ પંચમહાભૂતનો દેહ જેમાં નવે નવ દ્વારમાંથી કેવળ મળ જ નીકળે છે, તેની આસક્તિ ત્યાગીને તેની અંદર રહેલા ચૈતન્ય તરફ જેણે ગતિ કરવી છે એણે પંચ વિષયોમાં રત ઇન્દ્રિયોને ખોટા લાડ લડાવવાનું છોડીને યથોચિત સંયમ સાથે પરમાત્માના માર્ગ ઉપર મક્કમ કદમ માંડવા પડશે, બાકી આત્મજ્ઞાનની પરિકલ્પના કરનાર વ્યક્તિ વિષયોમાં રાચતી હોય તો એ કેવળ શેખચલ્લીના સપના છે જે ક્યારેય પૂરા થવાના નથી. ભગવાને ગીતામાં કહ્યું છે,आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् હે અર્જુન, તું મારામાં મન લગાડ અને મારા સીવાય બીજો કોઈ પણ વિચાર કરીશ નહીં. વલ્લભાચાર્યજી કહે છે કે ગાયના શીંગડા પર રાઈને દાણો ટકે એટલી વારનો પ્રમાદ પણ પતનનું મૂળ છે. વિષય ત્યાગ માટે, ઇન્દ્રિયોને જીતવા માટે નિરંતર, સતત અભ્યાસ અને અભ્યાસની સાથે વિષયોનું અનિત્યપણું, એનું અવિરત ચિંતન કે આ કેવળ મૃગજળ છે. ઈચ્છાઓ ક્યારે કોઈની પૂરી થતી નથી. ઈચ્છાઓનો ત્યાગ એ જ સ્વતંત્રતાનો માર્ગ છે અને ઈચ્છાઓમાં બંધાયેલો વિષયોનો ગુલામી યાત્રી ક્યારેય પરમ સત્ય સુધી પહોંચી શકતો નથી. જેવી રીતે ખૂંટે બંધાયેલો બળદિયો એના વિસ્તારમાંથી બહાર નીકળી શકતો નથી એવી જ રીતે તૃષ્ણા, આશા અને વિષયોથી બદ્ધ જિજ્ઞાસુ ક્યારેય પરમ સત્ય તરફ ગતિ કરી શકતો નથી. આના માટેનો એક જ માર્ગ છે વિવેક અને વૈરાગ્ય. તેની સાથે પ્રચંડ ગુરુ કૃપા, આત્મ ચિંતન અને સમજણ પૂર્વકની ભ્રાંતિ રહિત સાધના.