ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન ફરીથી તેના પરમાણુ હથિયાર કાર્યક્રમ શરૂ કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા તેના પર વધુ એક મોટો હુમલો કરી શકે છે.
આ સાથે જ ટ્રમ્પે પેલેસ્ટાઈની સંગઠન હમાસને ચેતવણી આપી કે જો તેણે હથિયાર નહીં છોડ્યા, તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ટ્રમ્પે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે સોમવાર રાત્રે મુલાકાત દરમિયાન પત્રકારોને આ કહ્યું.
ટ્રમ્પે કહ્યું કે તેમને આશંકા છે કે જૂનમાં કરવામાં આવેલા મોટા અમેરિકી હુમલા પછી ઈરાન પોતાના હથિયાર કાર્યક્રમને ફરીથી ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે મીડિયા રિપોર્ટ્સમાં આવા સંકેતો મળી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું, હું એવા સમાચાર વાંચી રહ્યો છું કે તેઓ ફરીથી હથિયારો અને અન્ય સૈન્ય ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે. જો ખરેખર આવું થઈ રહ્યું છે, તો તેઓ તે ઠેકાણાઓનો ઉપયોગ નથી કરી રહ્યા જેને અમે સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા, પરંતુ કોઈ બીજી જગ્યાએથી આ કામ કરી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું, અમને સંપૂર્ણ જાણકારી છે કે તેઓ ક્યાં જઈ રહ્યા છે અને શું કરી રહ્યા છે. મને આશા છે કે તેઓ આવો રસ્તો નહીં અપનાવે, કારણ કે અમે ઇ-2 બોમ્બર પર ઇંધણ ખર્ચ કરવા માંગતા નથી. આમાં બંને તરફથી મળીને લગભગ 37 કલાકની ઉડાન હોય છે, અને હું આ રીતે ઇંધણનો બગાડ કરવા માંગતો નથી.
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ગાઝામાં તુર્કીના પીસ ફોર્સ તૈનાત કરવાની સંભાવના પર નેતન્યાહુ સાથે વાત કરશે. આ મુદ્દો સંવેદનશીલ છે. ટ્રમ્પ જ્યાં તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોઆનની અવારનવાર પ્રશંસા કરે છે, ત્યાં ઇઝરાયેલ અને તુર્કીના સંબંધો એટલા સરળ નથી.
જોકે ગાઝામાં લડાઈ ઓછી થઈ છે, પરંતુ સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. ઓક્ટોબરમાં યુદ્ધવિરામ લાગુ થયા પછી પણ ઇઝરાયેલી હુમલાઓમાં 400થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટાભાગના સામાન્ય નાગરિકો છે, એવું ગાઝાના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે. જ્યારે પેલેસ્ટિનિયન લડવૈયાઓએ ત્રણ ઇઝરાયેલી સૈનિકોને પણ મારી નાખ્યા છે.
નેતન્યાહુએ સોમવારે કહ્યું કે ઇઝરાયેલ સીરિયા સાથે શાંતિપૂર્ણ સરહદ ઇચ્છે છે. ટ્રમ્પે કહ્યું કે તેમને વિશ્ર્વાસ છે કે ઇઝરાયેલ, રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરા સાથે તાલમેલ બેસાડી લેશે, જેમણે ગયા વર્ષે લાંબા સમયથી સત્તામાં રહેલા બશર અલ-અસદના હટ્યા પછી સત્તા સંભાળી.
જોકે, ઇઝરાયેલ નવા સીરિયન નેતા પ્રત્યે સાવચેત છે. અલ-શરા એક સમયે અલ-કાયદા સાથે સંકળાયેલા હતા. આ જ શંકાને કારણે ઇઝરાયેલે જુલાઈમાં દમાસ્કસમાં સરકારી ઇમારતો પર બોમ્બમારો પણ કર્યો હતો.
- Advertisement -
હમાસને હથિયાર છોડવા માટે અલ્ટિમેટમ: ટ્રમ્પ
ટ્રમ્પે જણાવ્યું કે નેતન્યાહુ સાથે થયેલી ચર્ચાનું મુખ્ય ધ્યાન ગાઝામાં લાગુ નાજુક શાંતિ કરારને આગળ વધારવા, ઈરાનને લઈને ઈઝરાયેલની સુરક્ષા ચિંતાઓ અને લેબનોનમાં હિઝબુલ્લાહ સંબંધિત મુદ્દાઓ પર રહ્યું. તેમણે કહ્યું કે ગાઝામાં લાગુ યુદ્ધવિરામ હેઠળ ઈઝરાયેલ પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું, અમે હમાસ વિશે વાતચીત કરી અને નિ:શસ્ત્રીકરણ પર પણ ચર્ચા થઈ. હમાસને હથિયારો છોડવા માટે ખૂબ ઓછો સમય આપવામાં આવશે અને પછી જોવામાં આવશે કે પરિસ્થિતિ કઈ દિશામાં જાય છે. તેમણે આગળ કહ્યું, જો હમાસે હથિયારો ન છોડ્યા, તો તેને તેની મોટી કિંમત ચૂકવવી પડશે. અમે આવું નથી ઈચ્છતા, પરંતુ તે સ્પષ્ટ છે કે પરિણામો ગંભીર હશે. આ નિવેદન પર હમાસ તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આવી નથી.



