રાજકોટ મહાનગરપાલિકા ખૂદ જ કાચનાં ઘરમાં રહે છે
‘ઇમારત જૂની હોવાથી ફાયર સેફટીની આવશ્કયતા નથી!’ એવો લૂલો બચાવ હાસ્યાસ્પદ
- Advertisement -
દરરોજ પાંચ – સાત હજાર લોકોની અવર જવર ધરાવતી કચેરીમાં જ સ્પ્રિન્કલર અને પાઇપલાઇન જ નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટ ન હોય તેવી રહેણાંક ઈમારત અને વ્યાવસાયિક એકમો વિરુદ્ધ આડેધડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની પોતાની કચેરીમાં જ પૂરતાં સાધનો નથી. રાજકોટ મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ ફાયર સેફટીના પૂરતા સાધનો નહીં હોવાનું જાણવા મળ્યું છે. અહીં ત્રણ માળની કચેરીમાં હજારો લોકોની અવરજવર હોવા છતાં ત્રણેય માળે માત્ર 2-2 ફાયર એક્સટિંગ્વિશર મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, જૂની ઈમારત હોવાથી સ્પ્રિંકલર કે પાઈપલાઈન ફીટ ન થયાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાની કચેરીમાં 500થી વધુ કર્મચારી કામ કરે છે અને દરરોજ જુદા-જુદા વિભાગના મળી 5 હજારથી વધુ લોકો અહીં આવતા હોય છે. આમ છતાં અહીં ફાયર સેફટી મામલે કોઈ જ તકેદારી રાખવામાં આવી નથી. આ ઈમારત જૂની હોય ભલે નિયમ અનુસાર કદાચ સાધનોની જરૂર નહીં હોય પણ જ્યાં રોજ હજારોની અવરજવર હોય તેવી આ કચેરીમાં ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા તાત્કાલિક થવી જરૂરી છે.
નાનાં વેપારીઓ પર સીન સપાટા
ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટના નિયમો શિખવાડતી અને નાનકડા વેપારીને નિયમોના નામ પર દંડ ફટકારતી રાજકોટ મહાનગરપાલિકાની પોતાની ઈમારતમાં જ ગુનાકીય બેદરકારી પ્રકાશમાં આવી છે ત્યારે જવાબદાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી પર પણ કડક પગલાં ભરવા જરૂરી છે. નાના વેપારીઓ, સ્કૂલ, ક્લાસના સંચાલકો પાસે જો ફાયર સેફટી કે બીયુ સર્ટિફિકેટ ન હોય તો તેમની દુકાનો, મકાનો, એકમો સીલ કરનારી મનપાની પોતાની જ કચેરીમાં ફાયર સેફટીના સાધનો નથી ત્યારે હવે મનપાની કચેરી સીલ કોણ કરશે એ જોવું રહ્યું.
- Advertisement -
કચેરીએ આગની ઘટના બને તો TRP ઝોન કરતા પણ મોટી દુર્ઘટના સર્જાય
રાજકોટ મનપાની મુખ્ય કચેરીમાં ફાયર બ્રિગેડના નિયમોનો ઉલાળિયો કરીને પૂરતાં સાધનો નહીં રાખવામાં આવ્યાંનું બહાર આવ્યું છે. ત્રણ માળની કચેરીમાં દરેક માળે એક એક ફાયર એક્સટિંગ્વિશર દ્વારા જ સેફ્ટી રાખવામાં આવી છે, ત્યારે સંખ્યાબંધ ચેમ્બરો વચ્ચે 2-2 એક્સટિંગ્વિશર શું કરી શકશે? તે મોટો સવાલ છે હવે જો આ કચેરીમાં ટીઆરપી ગેમઝોન જેવો કોઈ આગ લાગવાનો બનાવ બને તો મોટી જાનહાની થવાની પૂરી શક્યતા છે.