મોર્નિંગ મંત્ર: ડૉ. શરદ ઠાકર
જો ઇશ્વરને પ્રાપ્ત કરવા હોય તો સૌથી પહેલા આપણે અહંકારનો ત્યાગ કરવો પડશે. અહંકાર અનેક પ્રકારના હોય છે. આપણી જાતિનો, કુળનો, પરિવારનો, ધનનો, દેખાવનો, સમાજમાં આપણા પદ અને પ્રતિષ્ઠાનો અને પરમાત્માએ આપણને બક્ષેલી કોઈ વિશેષ શક્તિનો. આ અહંકારમાંથી જ અન્ય દોષો ઉદ્ભવે છે. મનુષ્ય જીવનભર સાધના દ્વારા સતત કોશિશ કરતો રહે તો પણ અહંકાર શૂન્ય થતો નથી. મે મોટા મોટા સિદ્ધ પુરુષોને ક્રોધાયમાન બનતા જોયા છે. જેમણે સંસારનો ત્યાગ કર્યો છે તેમને પણ છેવટે પોતાના અસ્તિત્વનો અહંકાર રહે જ છે. મનુષ્યનો અહંકાર ત્યારે જ શૂન્ય થાય છે, જ્યારે તેનું શરીર મૃત્યુ પામે છે. કારણકે શરીરનું અસ્તિત્વ રહેતું નથી એટલે અહંકાર પણ રહેતો નથી. આત્મા અવિનાશી છે અર્થાત્ આત્મા નિરાભિમાની છે. અભિમાનનું જન્મ સ્થાન મન છે. માટે જ પરમ પૂજ્ય શ્રી રમણ મહર્ષિ અને ગુરુ ગોરખનાથ કહી ગયા છે કે જાગૃત મનુષ્યે રોજ મરવાનું શીખી લેવું જોઇએ. ઓશો કહેતા હતા,
- Advertisement -
રોજ મરવું એનો અર્થ એવો નથી કે કૂવામાં પડવું અથવા પંખા પરથી લટકી જવું અથવા ટ્રેનના પાટા ઉપર સૂઈ જવું; આપણે શરીરનું મૃત્યુ નથી આણવાનું પરંતુ આપણા અહંકારનું મૃત્યુ કરવાનું છે. જે અહંકારને જીતી ગયો તે જગ જીતી ગયો.