સોસાયટીમાં છેલ્લાં બે વર્ષથી પાણીની પાઈપલાઈન નંખાઈ છે, ત્રણ મહિનાથી પાણીના કનેકશન અપાયા છે છતાં પાણી નથી
વોર્ડ નં. 9ના કોર્પોરેટરને રહેવાસીઓની રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના વોર્ડ નં. 9માં આવેલી સંજયવાટીકા સોસાયટીના રહેવાસીઓને પીવાનું પાણી ન મળતાં વોર્ડ નં. 9ના કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી છે. સંજયવાટીકા સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લાં બે વર્ષથી પાણીની પાઈપલાઈન નંખાઈ અને ત્રણ મહિનાથી પાણીના કનેકશન પણ અપાઈ ગયા છે પરંતુ નળમાં પાણી નથી. હજુ સુધી પાણી આપવામાં ન આવતાં રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
પાણીના પ્રશ્ર્ન અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ કોર્પોરેટર કે તંત્ર દ્વારા લાવવામાં આવ્યો નથી, શોભાના ગાંઠીયા સમાન આ પાણીની પાઈપલાઈન છે. ઘરોમાં નળ છે પણ પાણી નથી. આ સોસાયટીમાં 200થી વધુ પરિવાર વસે છે અને સોસાયટી એક દસકાથી વધુ વર્ષોથી પાણીની સમસ્યા ભોગવી રહી છે. આ પહેલાં વર્ષોમાં રૂડા ગ્રામ પંચાયત દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નહતો. છેલ્લાં 3 વર્ષથી સોસાયટી મહાનગરપાલિકા રાજકોટમાં ભેળવવામાં આવી હોય સર્વે પરિવારો નિયમિત રીતે વેરો ભરી રહ્યા છે. આ વિસ્તારમાં તમામ ઘર સુધી પાણીની પાઈપલાઈન તથા દરેક ઘરે દરેક એપાર્ટમેન્ટ સુધી પાણીના કનેકશન પણ અપાી ગયા છે ત્યારે હવે વર્ષો જૂના આ પાણીનો પ્રશ્ર્ન હલ કરવા રહેવાસીઓ દ્વારા સંજયવાટીકા ઓનર એસો.ના સભ્યો દ્વારા કરવામાં આવી છે.