સાત દિવસ બાદ પાણી ન મળતાં પાક નિષ્ફળ જવાની ભીતિ
ખાસ-ખબર સંવાદદાતા
તાઉ-તે વાવાઝોડા વખતે રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માધાપર પાસે આવેલો આજી-2 ડેમ ઓવરફ્લો થયો હતો.
આથી પડધરી તાલુકાના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ડેમ ઓવરફ્લોને કારણે ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યુ હતું. સિંચાઇ માટે ડેમનું પાણી 8 જૂનના રોજ છોડવામાં આવ્યું હતું. પરંતુ આજે 7 દિવસ બાદ પણ ન પહોંચતા આજે ડુંગરકા ગામના ખેડૂતોએ અર્ધનગ્ન થઇ કેનાલમાં બેસી વિરોધ કર્યો હતો.
જો પાણી ન મળે તો ખેડૂતોએ વાવેલો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી-2 ડેમની નીચે આવેલા ગામના ખેડૂતોને કેનાલમાં પાણી ન મળવાના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. પડધરીના બાઘી, નારણકા, ડુંગરકા, અડબાલકા, ડુંગરકા, ઉકરડા અને મોવીયા આવા ઘણા બધા ગામોની અંદર આજીડેમનું પાણી કેનાલ મારફત ખેડૂતોના ખેતરમાં જાય છે. દર વર્ષે જૂન મહિનાની પહેલી તારીખની આજુબાજુ પાણી ખેડૂતોને મળતું હોય છે.
આ વર્ષે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી ખેડૂતોને પાણી મળ્યું નથી. અધિકારીઓ દ્વારા ખેડૂતોને કાયમી રમાડવામાં આવે છે.
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, આજી ડેમ 2ની હેઠળ આવતા પડધરી તાલુકાના 10થી 12 ગામના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. અધિકારીઓની તોછડાયને કારણે પાણી હજી સુધી પહોંચ્યું નથી.
રાજકોટ આખાનું વેસ્ટેજ પાણી આજી ડેમ 2માં આવી રહ્યું છે. આથી ડેમ આખો ભરાય ગયો છે. ખેડૂતોએ સિંચાઇનું પાણી મળવાની આશાએ આગોતરૂ વાવેતર કરી દીધું છે. ડેમની અંદર પાણી ખૂટે તેમ નથી છતાં પાણી સમયસર પહોંચ્યું નથી. આથી મોટુ નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે.


