ચોમાસમાં પાક નુક્સાનના વળતર પેટે
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં પુછેલ પ્રશ્ર્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી માહિતી
હવેથી પાક નુકસાન સર્વેને ઝડપી બનાવવા અને માનવીય ભુલોને નિવારવા માટે ઈસરોની મદદથી ડિજિટલ સર્વેની પદ્ધતિ અપનાવવામાં આવશે: અર્જુન મોઢવાડિયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં પુરની સ્થિતિ ઉભી થતા ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકશાન થયુ હતું. જે તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે જાતે સ્થળ નિરીક્ષણ કરીને નુકસાનીનો સર્વે કરવાની સુચના આપી હતી. સર્વેને અંતે ગુજરાત સરકારે ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી હતી. જે અંતર્ગત કુલ 1 લાખ અને 36 હજાર જેટલા ખેડુતોને કુલ ₹200 કરોડની આર્થિક મદદ આપવામાં આવી હતી. આ અંગે વિધાનસભામાં આજે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના એ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં કુલ 50,206 ખેડૂતોને કુલ ₹79.67 કરોડની સહાય ચુકવવામાં આવી છે, જ્યારે જુનાગઢ જિલ્લામાં 18,023 ખેડૂતોને ₹20.51 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આમ પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં કુલ 68,229 ખેડૂતોને કુલ ₹100.19 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં પાક નુકસાન સહાય માટે પાત્ર તમામ ખેડૂતોને સહાય ચુકવી દેવામાં આવી છે. જ્યારે જુનાગઢ જિલ્લામાં પાક નુકસાન સહાય મેળવવા પાત્ર 16 ખેડૂતોને ₹1,43,179 ની સહાય ચુકવવાની બાકી છે.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિધાનસભામાં મને જે પ્રકારે માહિતી આપવામાં આવી છે, તે પ્રમાણે ખરીફ વર્ષ 2024-25 ની ઋતુમાં વાવેતરમાં કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે જઉછઋ ના નોમ્સ મુજબ હેક્ટર દીઠ ₹8,500 આપવામાં આવ્યા હતા, જ્યારે રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાના ₹2,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવાની જાહેરાત કરી હતી. જ્યારે બાગાયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે જઉછઋ ના નોમ્સ મુજબ હેક્ટર દીઠ ₹22,500 પ્રતિ હેક્ટર (મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં) ચુકવવામાં આવ્યા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે મારા પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે અત્યાર સુધી અધિકારીઓને જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરતો પડતો હતો. જેના કારણે સર્વેની પ્રક્રિયામાં વિલંબ થતો હતો અને તેમાં માનવીય ભુલના કારણે પણ ખેડૂતોને અસંતોષ રહેતો હતો. પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને તે હેઠળ હવેથી ગુજરાતમાં પાક નુકસાનનો સર્વે ડીઝીટલી ઈસરોના સેટેલાઈટ મારફતે થવાનો છે અને તેના કારણે હવેથી સર્વેમાં કોઈપણ પ્રકારની માનવીય ભુલ રહેશે નહી, ઉપરાંત સર્વેની કામગીરીમાં ઝડપ આવતા તત્કાલીક સર્વે કરીને ઝડપથી ખેડૂતોને સહાય આપી શકાશે. આ પદ્ધતિના કારણે ખેડૂતોના પાકને લગતી અન્ય માહિતીઓ પણ સરળતાથી મેળવી શકાશે.