લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે NDA અને INDIA બ્લોક વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. વિપક્ષ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભા નહીં કરે.
18મી લોકસભાના સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. સંસદમાં આજે લોકસભા અધ્યક્ષનું નામ નક્કી કરવામાં આવ્યું છે. લોકસભા સ્પીકરને લઈને NDAના પ્રયાસો ફળ્યા છે. NDA અને INDIA બ્લોક વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. લોકસભા સ્પીકર માટે એનડીએના ઉમેદવાર હશે. વિપક્ષ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભા નહીં કરે. એનડીએ તરફથી ઓમ બિરલાને લોકસભા સ્પીકર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એનડીએના સાથી પક્ષોએ ઓમ બિરલાના નામને સમર્થન આપ્યું છે. ઘણા દિવસોથી 18મી લોકસભા સ્પીકર માટે ઘણા નામોની ચર્ચા ચાલી રહી હતી.
- Advertisement -
ઓમ બિરલા સાથે આ નામોની પણ થઈ હતી ચર્ચા
લોકસભા અધ્યક્ષની રેસમાં ઓમ બિરલાનું નામ આગળ હતું. રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા પણ 17મી લોકસભામાં સ્પીકર હતા. માહિતી અનુસાર, ભાજપ જે નામો પર ચર્ચા કરી રહી હતી તેમાં ઓમ બિરલા ઉપરાંત આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડી પુરંદેશ્વરી, બીજેપીના વરિષ્ઠ નેતા રાધામોહન સિંહ અને ભર્તૃહરિ મહતાબના નામ પણ સામેલ હતા. ભર્તૃહરિ મહતાબ હાલમાં પ્રોટેમ સ્પીકર છે.
ભાજપને સાથી પક્ષોનો સાથ મળ્યો
- Advertisement -
લોકસભા સ્પીકર પદને લઈને ભાજપ આત્મવિશ્વાસથી ભરેલો હતો. ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન હતું. 18 જૂનના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને NDA સહયોગી પક્ષોના નેતાઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યારથી માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં લોકસભા અધ્યક્ષ પદ માટે સમજૂતી થઈ ગઈ. જેડીયુ અને ટીડીપીએ પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું.
શું રણનીતિ બનાવી રહ્યું છે વિપક્ષ
જણાવી દઈએ કે સ્પીકરની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સર્વસંમતિને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ જે રીતે પહેલા દિવસે લોકસભામાં પ્રોટેમ સ્પીકરનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેને જોતા સ્પષ્ટ થાય છે કે વિપક્ષ કઈ રણનીતિ સાથે કયા ઈરાદાથી આયોજન કરી રહ્યો છે?
વર્ષ 2014માં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને સુમિત્રા મહાજનને લોકસભાના સ્પીકર બનાવ્યા. તે સમયે AIADMKના એમ. થમ્બીદુરાઈને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવ્યું હતું. 2019માં ભાજપના ઓમ બિરલા 17મી લોકસભાના સ્પીકર બન્યા હતા પરંતુ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા ન હતા. આ પદ સમગ્ર કાર્યકાળ દરમિયાન ખાલી રહ્યું હતું. હવે સ્પીકરના નામના ખુલાસા સાથે ડેપ્યુટી સ્પીકર અંગેની રણનીતિ પણ સામે આવી શકે છે.