મહિલા અને બે પુરુષના મૃત્યુથી પરિવારજનોમાં ભારે શોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે હાર્ટએટેકના બનાવોમાં પણ દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે આજે વધુ ત્રણ લોકોના હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યાં છે.
શહેરના સંત કબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતાં ભરતભાઇ ચીમનભાઇ ત્રિવેદી ઉ.52 ગત મોડી રાત્રે ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અંહી મૃત જાહેર કરાયા હતા. મૃતક બે ભાઇમાં મોટા હતાં અને કારખાનામાં કામ સાથે ગાયક કલાકાર પણ હતાં અલગ અલગ કાર્યક્રમોમાં ધૂન-ભજન ગાવા માટે જતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જ્યારે મોરબી રોડ ઉપર રાજલક્ષ્મી પેલેસમાં રહેતાં ભાનુબેન મુકેશભાઇ સોલંકી ઉ.48 રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે હાર્ટએટેકથી મોત થયાનું પરિવારજનોએ જણાવ્યું હતું બંને બનાવમાં બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી તેમજ કોઠારીયા રોડ ઉપર આવેલ મેહુલનગરમાં રહેતાં દેવેનભાઇ દિલીપભાઇ જીંજુવાડીયા ઉ.49 ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અંહી દમ તોડી દીધો હતો હાર્ટએટેક આવી ગયો હોવાનું પરિવારજનોએ કહ્યું હતું મૃતક બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર અને એક પૂત્રી હોવાનું તેમજ પોતે સોની કામ કરતાં હોવાનું જાણવા મળતા ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.