દૃષ્ટિહીન લોકો માટે સેવાયજ્ઞ રાજકોટમાં અંધજન કલ્યાણ મંડળ 53 વર્ષથી અંધજનોની કરે છે સેવા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
સૌરાષ્ટ્રમાં દૃષ્ટિહીન લોકો માટે અદ્યતન ધંધાકીય તાલીમ અને પુનર્વસન માટે 1 જાન્યુઆરી, 1973ના રોજ અંધજન કલ્યાણ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. મંડળ દ્વારા બ્રેઇલ સાહિત્યનું પુન:પ્રકાશન, અંધજન છાત્રાલય, ગૃહ શિક્ષણ, સ્વયં રોજગાર, બ્રેઇલ પુસ્તકાલય સહિતના અનેક કાર્યો કરવામાં આવે છે. છેલ્લા 53 વર્ષથી અંધજનોને શિક્ષણ, રોજગાર આપવા મંડળ કાર્યરત છે, રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે હનુમાનજીની ડેરી પાસે મંડળ દ્વારા નિ:શુલ્ક છાત્રાલય ચલાવવામાં આવે છે. જેમાં ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ તથા વૃધ્ધો રહે છે. અહીં રહેવાની, જમવાની તથા અભ્યાસની સુવિધા આપવામાં આવે છે. સાથે સંગીતની તાલીમ પણ અપાય છે. દાતા અને સરકારના સહયોગથી સંસ્થા ચાલે છે.અંધજનો પણ સમાચારોથી વાકેફ રહે તે માટે બ્રેઇલ સંદેશ માસિકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં બ્રેઇલ સાહિત્યનું પ્રકાશન થતું ન હતું. તેથી મંડળ દ્વારા 15 ઓગસ્ટ, 1973માં બ્રઇલ સંદેશ નામનો ત્રિમાસિક અંક શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં નેત્રહીનોને છેલ્લામાં છેલ્લા સમાચાર, અંધ માટે ઉપયોગી શોધ, નૂતન વિચાર, સાહિત્ય, લેખો, કાવ્યો વગેરે સાહિત્ય આપવામાં આવે છે. સમગ્ર દેશમાં બ્રઇલ સંદેશ જ એક એવું સામયિક છે કે જે નેત્રહીનોને વિનામૂલ્યે ઘર બેઠા મળી રહ્યું છે. ગોકળભાઈ ઝીણાભાઈ વાછાણીએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા અંધજન લોકો માટે રોજગાર પૂરી પાડવા માટે માધ્યમ બને છે જેમાં રાજકોટની અનેક કંપનીઓ અને કારખાનામાં સરળતાથી કરી શકે તેવું કામ આપી રોજગાર પૂરી પાડવામાં આવે છે જેમાં કંપની અને કારખાનાના માલિકોનો પણ પૂરતો સહયોગ મળે છે. આ ઉપરાંત ખુરશી ભરવાનું કામ પણ આપવામાં આવે છે જે રાજકોટની અલગ અલગ કચેરી અને ઓફિસમાં જઇ અંધજન લોકો ખુરશી ભરી રોજગારી મેળવે છે. તેમજ આ સંસ્થા દ્વારા બ્રેઇન લીપી પાઠ્યપુસ્તક અને બુક તૈયાર કરવામાં આવે છે જેનુ કામ પણ આ અંધજનોને આપવામાં આવે છે. આમ એક યા બીજી રીતે સરળ કામ આપી આ દૃષ્ટિહીન લોકોને રોજગારી આપવામાં આવે છે.
- Advertisement -
અંધજન ભાઇ-બહેનો માટે વૃધ્ધાશ્રમ: જે અંધજન ભાઇ-બહેનો કામ કરવા માટે સક્ષમ નથી અને તેનું ધ્યાન રાખવા માટે કોઇ નથી તેવા લોકોના ભરણ પોષણમાં કોઇ સમસ્યા ન આવે તે માટે અંધજન કલ્યાણ મંડળ દ્વારા વૃધ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યુ છે. હાલ આ વૃધ્ધાશ્રમમાં 19 અંધજન રહે છે જેની તમામ જવાબદારી સંસ્થા દ્વારા લેવામાં આવી છે અને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે.
દૃષ્ટિહીન લોકો માટે અતિથિ ગૃહનું નિર્માણ: સમગ્ર ગુજરાતમાં પ્રથમ અતિથિ ગૃહનું નિર્માણ કર્યુ કે જયાં દૃષ્ટિહીન લોકો માટે નિ:શુલ્ક રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે. બહારગામથી સારવાર માટે આવતા અંધજનો, પરિક્ષા આપવા આવતા અંધજનો સહિત અનેક કાર્ય માટે રાજકોટ આવવાનું થાય ત્યારે તેમને રહેવાની સગવડ મળી રહે તે માટે સંસ્થા દ્વારા અતિથિ ગૃહનું નિર્માણ કરાયુ છે.
બ્રેઇન લાઇબ્રેરીમાં 4000 પુસ્તક, દૃષ્ટિહીન લોકોને ઘરે બેઠા નિ:શુલ્ક પહોંચાડાય છે
રાજકોટમાં અંધજન કલ્યાણ મંડળ દ્વારા બ્રેઇન લાઇબ્રેરી કાર્યરત છે. આ લાઇબ્રેરીમાં 4000થી વધુ પુસ્તક ઉપલબ્ધ છે. રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વસતા દૃષ્ટિહીન લોકો પણ વાંચન કરી શકે તે માટે એકપણ રૂપિયો લીધા વિના પુસ્તક પહોંચાડવામાં આ સંસ્થા માધ્યમ બને છે.
- Advertisement -
અંધજનોને માત્ર રોજગાર જ નહીં
પરંતુ મનોરંજન માટે કલબ ચાલે છે
શહેરમાં વસતા અંધજન ભાઇ-બહેનો મહિનામાં એકવાર એક જગ્યાએ ભેગા મળી મનોરંજન કરી શકે એકબીજા વાતો કરી શકે તે માટે એક કલબ પણ ચલાવવામાં આવે છે. આ કલબમાં તમામ અંધજનો મળી ગીત-સંગીત સાંભળે છે અનેક પ્રવૃતિઓ કરે છે. આ કલબમાં મનોરંજન મેળવી અંધજનો પોતાની ખુશી વ્યકત કરે છે.