બે દિવસમાં 16 ઉંદર પકડાઇ ગયા છે
પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં દાખલ 3 દર્દીઓના હાથ-પગ કોતરી ખાધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
શહેરની સિવિલ હોસ્પિટલમાં હવે રેઢીયાળ તંત્રની દર્દીઓને પ્રતિતિ થઇ રહી છે. દર્દીઓને હેરાનગતિ, દર્દીઓના જીવ જોખમમાં મૂકવા અને ગંભીર બેદરકારી વચ્ચે બાળકોના મોત જેવી ઘટનાઓ સામાન્ય બની ગઇ હોવાનો દર્દીઓનો આક્ષેપ છે. હવે સિવિલના પ્લાસ્ટીક સર્જરી જેવા ખર્ચાળ વિભાગોમાં દાખલ દર્દીઓ માટે હવે એક પીડાજનક નવી ઉપાધી, સમસ્યાનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરની સિવિલ હોસ્પિટલમાં ઙખજઢ બિલ્ડિંગના 4થા માળે આવેલા પ્લાસ્ટીક સર્જરી વિભાગમાં બે મહિલા સહિત ત્રણ દર્દીઓને હાથે-પગે મોટા ઉંદરોએ કરડી ખાતા દર્દીઓમાં દેકારો બોલી ગયો છે. જે દર્દીઓને ઉંદર કરડી ગયા તેમાં કાલાવડ રોડ પર રહેતા વનિતાબેન છાપટા અને જસદણના ભાનુબેન રાદડીયા અને રમેશભાઇ જીવણભાઇનો સમાવેશ થાય છે.
- Advertisement -
તેમણે પોતે ઉંદરના ત્રાસનો ભોગ હોવાનું જણાવ્યું હતું. દર્દીઓ કહે છે કે,PMSYમાંથી પસાર થતી પાઇપ લાઇન મારફતે ઉંદરો હોસ્પિટલના વોર્ડમાં પ્રવેશી રહ્યા છે અને સાંજથી આખી રાત ધમાચકડી બોલાવી દર્દીઓના બેડ પર પણ પડીને દર્દીઓમાં ભય ફેલાવી રહ્યા છે.
જાણકારો કહે છે કે, પાંચ વર્ષથી બનેલા પ્લાસ્ટીક સર્જરી વિભાગમાં ઉંદરના ત્રાસની સમયાંતરે ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ઉંદરનો ત્રાસ દૂર કરવા તંત્રએ કોઇ પ્રયાસ કર્યો હોય તેવું નથી જણાતું. ઉંદરના ત્રાસને દૂર કરવા 2018ના વર્ષમાં પેસ્ટ કંટ્રોલનું રૂ.20 થી 25 લાખનું ટેન્ડર બહાર પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી, પણ તે સમયે તબીબી અધ્યક્ષની બદલી થતા અને ગાંધીનગરથી આરોગ્ય તંત્રની વડી કચેરીને જાણ કરાતા યેનકેન પ્રકારે આ ટેન્ડર પ્રક્રીયા ખોરંભે ચડી ગઇ છે. આ બાબતે જે હોય તે પણ સિવિલ હોસ્પીટલમાં સ્થપાયેલ ઉંદરરાજને દૂર કરવા તંત્ર વહેલી તકે જાગે તેવી દર્દીઓની માંગ છે.
સિવિલ હોસ્પિટલમાં વહેલા ઉંદરના ત્રાસને દૂર કરવા તંત્રએ શું કર્યું? તેવા સવાલના જવાબમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું કે, અત્યારે જુદા-જુદા વોર્ડમાં 20 થી 25 પીંજરા મૂકાયા છે. બે દિવસમાં 16 ઉંદર પકડાઇ ગયા છે. બીજી બાજુ પેસ્ટ કંટ્રોલ ટેન્ડર માટે આચાર સંહિતા બાદ પ્રક્રિયા હાથ ધરાશે.