ત્રણ જેસીબી કામે લગાડીને મૃત પશુઓને દફનાવવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સહિત રાજ્યભરમાં લમ્પી વાયરસે કહેર મચાવતા મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ પામ્યા છે જો કે તંત્ર હાલ આંકડા છૂપાવવામાં વ્યસ્ત હોય તેમ સાચા આંકડા સામે નથી આવી રહ્યા તો બીજી તરફ પશુઓને સમયસર વેક્સિન ન મળવાથી વાયરસ ઝડપથી પ્રસર્યો જેના કારણે મોટી સંખ્યામાં ગૌવંશ મોતને ભેટ્યા છે. લમ્પી વાયરસ ચેપી રોગ હોય અને એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી પ્રસરે છે જેથી મૃત્યુ પામેલા ઢોરને તાત્કાલિક ઉંડા ખાડામાં દાટી તેમના પર મીઠું અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરીને મૃતદેહનો નિકાલ કરવાનો હોય છેે પરંતુ મોરબીના જોધપર ગામની સીમમાં મૃત ગૌવંશોને રઝળતા ફેંકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ તંત્રની ટીમોએ દોડી જઈને જેસીબી વડે ઉંડા ખાડાઓ કરીને પશુઓના મૃતદેહને દફનાવી દીધા હતા.
- Advertisement -
મોટા ભાગના પશુપાલકોને મૃત પશુઓના નિકાલ અંગે જાણકારી ન હોવાથી પશુપાલકોએ જાતે જ ગૌવંશોના મૃતદેહોના નિકાલ કરી દીધા હતા ત્યારે મોરબી તાલુકાના જોધપર ગામ નજીક મચ્છુ 2 ડેમથી નજીક ખુલ્લામાં મોટા પાયે મૃત ગૌવંશોનો નિકાલ થતો હતો. ખૂબ મોટી સંખ્યામાં ગૌ વંશના મૃતદેહ ખુલ્લામાં પડ્યા હતા જેના કારણે વાયરસ મોટા પાયે પ્રસરે તેવી સ્થિતિ ઉદ્દભવી હતી. લમ્પી વાયરસથી જો કોઈ ગાયનું મોત થયું હોય તો તે ગૌવંશનો નિકાલ કરવાની જવાબદારી જે તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની રહે છે જો કે પાલિકા હોય કે ગ્રામ પંચાયત તમામે હાથ અધ્ધર કરી દીધા હતા જેથી આ અંગે સમાચારો પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા પંચાયત વિભાગ તેમજ પશુપાલન વિભાગ દોડતું થયું હતું અને તાત્કાલિક અધિકારીઓ ત્રણ જેસીબી સાથે દોડી ગયા હતા અને ખાડાઓ કરી, જરૂરી મીઠું તેમજ અન્ય જંતુનાશક દવાઓ ખાડામાં નાખીને ગાયના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા.