BSNLના અધિકારીની ખોટી ઓળખ આપી હતી
BSNLના કર્મચારીઓની સારવારનો કરોડોનો કોન્ટ્રાકટ આપવાના નામે 22 લાખનું કમિશન લેવા આવ્યા અને પોલીસે ત્રણેયને વધાવી લીધા !
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના શાસ્ત્રીનગરમાં આવેલ રોયલ કેર હોસ્પીટલના તબીબ ડો. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા વાંકાનેર મીલ પ્લોટમાં આવેલ સાંઈ હોસ્પીટલના ડો. જીજ્ઞેશ ધીરજભાઈ દેલવાડીયાને બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કર તરીકેની ખોટી ઓળખ આપી આરોપી રમેશ રામસુભાગ પ્રજાપતી (રહે. રામ લક્ષમણ ગામ, તા. રૂદ્રપુર, જી. દેવરીયા, ઉત્તરપ્રદેશ), સુનીલ દેવીદયાલ નામદેવ (રહે. ભોપાલ, મધ્યપ્રદેશ) અને સલમાન નબીમહમદ કુરેશી (રહે. ભોપાલ, મધ્યપ્રદેશ) એ ટેલિફોનિક સંપર્ક કરી બીએસએનએલના કર્મચારીઓની સારવાર માટે બહાર પાડવામાં આવેલ 6,20,92,800 રૂપિયાનું ટેન્ડર અપાવવાની લાલચ આપી કમિશન પેટે અનુક્રમે રૂપિયા 7 લાખ અને 15 લાખ આપવા માંગ કરી હતી. વાંકાનેરના બંને ડોક્ટરોને આ ત્રિપુટીની ટેલિફોનિક વાતચીત ઉપરથી છેતરપિંડી આચરવાનો કારસો હોવાનું જણાતા રાજકોટ બીએસએનએલ કચેરીના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કરનો સંપર્ક સાધતા તેઓએ આવા કોઈ ટેન્ડર બહાર પાડવામાં ન આવ્યા હોવાનું જણાવી તબીબોને આ ઠગ ટોળકીને રૂબરૂ મળવા બોલાવવા કહી સમગ્ર બનાવ મામલે મોરબી એસઓજીને જાણ કરતા ગઈકાલે મોરબી એસઓજી ટીમે વાંકાનેર ખાતે ડો. ધર્મેન્દ્રસિંહ ઝાલાની હોસ્પિટલમાં દર્દીનો સ્વાંગ રચી જાળ બિછાવતા ટેન્ડરની બોગસ નકલ, સ્ટેમ્પ સહિતની સામગ્રી સાથે 22 લાખ કમિશન લેવા આવેલી ત્રિપુટીને રંગે હાથ ઝડપી લઈ બીએસએનએલ કચેરી રાજકોટના જનરલ મેનેજરને યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કરને ફરિયાદી બનાવી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.
મોરબી એસઓજી ટીમે આરોપીઓએ ગુનામાં વાપરેલ છ મોબાઇલ (કિં. રૂ. 16,500), રોકડા રૂપીયા 9000, જુદા જુદા ડોકટરના નામ વાળી ચીઠ્ઠીઓ, ડમી ચૂંટણી કાર્ડ, બેંકના બે કાર્ડ, એક થેલો અને એક પાકીટ મળી કુલ રૂપીયા 25,500 ના મુદામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી.