આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ
કાર્યવાહીના ડરે 600 અરજીઓનો થઈ ગયો ખડકલો, હવે સ્થળ તપાસ કરાશે
- Advertisement -
પશુપાલકોને અપાયો હતો સમય, રખડતાં પશુને લઈને વધુ આક્રમક કાર્યવાહી થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગપાલિકાએ નવી ઢોરપકડ પોલીસી અપનાવી છે જેમાં રજિસ્ટ્રેશન એટલે કે પરમિટ અને લાઇસન્સ વગર ઢોર રાખી શકાતા નથી. આવા ઢોર ઘરમાં બાંધ્યા હશે તો પણ ગેરકાયદે જ ગણાશે જેને લઈને રજિસ્ટ્રેશન કરાવવા માટે પૂરતો સમય પણ અપાયો હતો અને તે સમય મર્યાદા હવે 31 ડિસેમ્બરે પૂરી થાય છે.
જો કે તે દિવસે રવિવાર હોવાથી શનિવાર આખરી દિવસ છે. ત્યારબાદ એટલે કે સોમવારથી મનપા દરેક વિસ્તારમાં ફરશે અને ઘર પાસે બાંધેલા ઢોર, વાડામાં રાખેલા ઢોર, પ્લોટમાં બાંધેલા ઢોર પણ રજિસ્ટ્રેશન વગરના હશે તો તેને ત્યાંથી હટાવી લેવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ઢોરપકડ ઝુંબેશ જાહેર કર્યા બાદ બધા પશુપાલકોને પૂરતો સમય અપાયો છે. જે સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ પોલીસી મુજબની કાર્યવાહી થશે. હાલની સ્થિતિએ 600થી વધુ પશુપાલકોની નવી અરજી આવી છે જે પૈકી હવે સ્થળ તપાસ કરવામાં આવશે. જે પશુપાલક પાસે માલિકીની જગ્યા છે ત્યાં જ તે પોતાના ઢોર બાંધી શકશે. જો માલિકી જગ્યા નહિ હોય તો રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ઘરની બહાર શેરી કે રોડ ઉપર પણ ઢોર બાંધી શકાશે નહિં.
એવા પશુપાલકો કે જેમની પાસે વધુ સંખ્યામાં ઢોર છે અને નિયમ મુજબ તેટલી જગ્યા નથી તેમની પાસે બે જ વિકલ્પ છે તેઓ એનિમલ હોસ્ટેલમાં ઢોર રાખે અથવા તો શહેરની હદ બહાર મોકલી આપે. આ માટે વાહનોની ખાસ જરૂર પડે તેને લઈને મનપાએ પોતાની ઢોર ફેરવવાની ટ્રોલી પણ પશુપાલકોને મદદ માટે આપી હતી.