યહ લાલ રંગ… કભી છોડના નહીં!
સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ
- Advertisement -
આ અઠવાડિયે હોળી-ધૂળેટીના તહેવારોમાં રંગોથી ઉજવણી આપણે સૌએ ખૂબ કરી, આજે આપણે વાસ્તુ અને ભારતીય ગૂઢ બાબતોની પરંપરામાં રંગોના ઉપયોગ વિશે જાણકારી મેળવીએ. આજના જીવનમાં આપણે રંગ વગરની કલ્પના પણ કરી શકતાં નથી. જેવી રીતે માનવ શરીરમાં ત્વચા કે ચામડીનું મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ વાસ્તુમાં દીવાલ પરના રંગોનું છે.
આ ઉપરાંત આપણા શાસ્ત્રોમાં બારેય રાશિઓ, નવગ્રહ અને અંકશાસ્ત્રમાં પણ રંગોનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુની વાત કરીએ તો પાંચેય તત્ત્વ (જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ) તથા દરેક દિશાઓ પણ અલગ-અલગ રંગોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક દિશામાં ચોક્કસ રંગોનો ખૂબ જ બહોળો પ્રભાવ જોવા મળતો હોય છે, અને રંગો માનવીય પ્રકૃતિના મૂડ સાથે સંબંધ ધરાવે છે, તેથી તમારી પ્રકૃતિ અને કામના પ્રકાર તથા દિશાને અનુરૂપ કલર તમારે વાપરવા જોઈએ. વૈદિક પરંપરામાં દરેક દિવસને પણ રંગ સાથે સાંકળી લેવામાં આવ્યો છે, તેથી ઘણા લોકો ચોક્કસ દિવસે અમુક કલરના કપડાં પહેરતાં હોય છે જે કલર થેરાપીનો જ ભાગ છે.
શારીરિક અને માનસિક ચિકિત્સામાં પણ કલર થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રંગોનો યોગ્ય ઉપયોગ માનસિક તણાવ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. વાસ્તુ શાસ્ત્રમાં કોઈ પણ દિશા કે ખૂણાના દોષને બેલેન્સ કરવામાં કલર થેરાપીનો ઉપયોગ થતો જોવા મળે છે. રંગો વિશે ઘણું કહી શકાય તેમ છે પરંતુ આજે આપણા મુખ્ય રંગમાંનો એક એવા લાલ રંગ વિશે ચર્ચા કરીએ.
- Advertisement -
લાલ:- લાલ રંગ એ વાસ્તુમાં દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને પાંચ તત્ત્વોમાં એ અગ્નિતત્ત્વ સાથે સંબંધ ધરાવે છે, ગ્રહોમાં મંગળનું આધિપત્ય આ રંગ પર છે.
લાલ રંગ એ બહાદુરી કે હિંમતવાન લોકોનો રંગ છે. આપણે કહેવતોમાં પણ સાંભળ્યું છે, આમનું વાત-વાત લોહી ઉકળી ઉઠે છે. તેથી કહી શકાય કે લાલ રંગ આક્રમક રંગ છે. આપણા શરીરનું લોહી પણ લાલ છે અને સતત નસોની અંદર દોડતું રહે છે, જો લોહીની ગતિ અટકી જાય તો?
લાલ રંગ એ સાતત્ય, ઈચ્છાશક્તિ, હિંમત, આત્મવિશ્વાસ અને ગતિશીલતા સાથે સંકળાયેલો છે. ખાન-પાન, મનોરંજન, રમત-ગમત જેવા વ્યવસાયો પર લાલ રંગ પ્રભાવ ધરાવે છે. લાલ રંગ એ અગ્નિ તત્ત્વનો કલર હોવાને પરિણામે ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં આ રંગનો ઉપયોગ કરી શકાય. લાલ રંગ તમારી ભૂખને જાગૃત કરવાનું કામ કરે છે. જે જગ્યાએ આરામ કરવાનો હોય કે બેડરૂમમાં લાલ રંગનો વધુ ઉપયોગ કરવો નહીં. બેડરૂમમાં વધુ પડતો લાલ કલર પતિ-પત્ની વચ્ચે મતભેદ કે તણાવ કરાવી શકે છે. આગળ જણાવ્યા મુજબ લાલ કલર અગ્નિતત્ત્વ સાથે સંકળાયેલો છે. અગ્નિ જો પર્યાપ્ત માત્રામાં હોય તો સારું ભોજન બનાવી શકે, પણ અગ્નિ ચારે બાજુ અસ્તવ્યસ્ત ફેલાય તો બધું ભસ્મ કરી નાખે. ઉત્તર દિશા અને ઈશાન ખૂણામાં લાલ કલરનો ઉપયોગ કરવો નહીં.
દેશ-વિદેશમાં ખાણી-પીણી સાથે સંકળાયેલી મોટી બ્રાન્ડસના લોગોમાં આપ લાલ કલરના ઉપયોગને જોઈ શકો છો. ઘર, ફેકટરી, દુકાન, ઓફિસમાં ક્યા ભાગમાં અને કેટલી માત્રામાં ક્યો કલર લગાવવો? તે માટે તમારા નજીકના વાસ્તુ નિષ્ણાતની સલાહ લઈને આગળ વધવું. વાસ્તુમાં ઉપયોગમાં લેવામાં આવતાં અન્ય કલર (રંગ) વિશેની ચર્ચા આપણે પાર્ટ-2માં આવતાં સપ્તાહે કરીશું.