સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LL.M.ના પેપર આંતરિક પરિક્ષકો પાસે મૂલ્યાંકન કરાવવાની જગ્યાએ બાહ્ય યુનિવર્સિટીના પરિક્ષકો પાસે મૂલ્યાંકન કરવા મોકલી દેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક લાલીયાવાડી બાદ વધુ એક ગંભીર છબરડો બહાર આવ્યો છે. બાર કાઉન્સીલની મંજૂરી વગર જ અનેક કોલેજોને કક.ખ.ની મંજૂરીમાં હાઈકોર્ટની લપડાક બાદ હવે વધુ એક વખત અંધેર વહીવટનો ભોગ કાયદા ભવનના વિદ્યાર્થીઓ બન્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના અનુસ્નાતકમાં અભ્યાસ કરતાં આશરે 25 જેટલા વિદ્યાર્થીઓના સેમ-1 તથા સેમ-2ના પેપર, પરીક્ષા વિભાગે આંતરિક પરિક્ષકો પાસે મૂલ્યાંકન (એલએલ.બી.ની જેમ) કરાવવાની જગ્યાએ બાહ્ય યુનિવર્સિટીના પરિક્ષકો પાસે મૂલ્યાંકન કરવા મોકલી દેવાતા મોટાભાગના વિદ્યાર્થીઓને મનઘડત રીતે મૂલ્યાંકન કરીને નાપાસ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણ ગયા વર્ષે જૂન 2023માં કક.ખ.માં યુનિવર્સિટી દ્વારા આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવેલ, જેમાંથી આશરે 25 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાયેલ. પરંતુ એડમિશનના એક વર્ષ જેટલા લાંબા સમય બાદ સેમ.-1ની પરીક્ષા તા. 27-6-2024ના રોજ લેવામાં આવેલી હતી. તેમજ આ પરીક્ષા બાદ ખૂબ ટૂંકા સમયમાં જ એટલે કે તા. 12-8-2024ના રોજ સેમ.-2ની પરીક્ષા પણ લેવામાં આવી હતી આમ ટૂંકા ગાળામાં બબ્બે પરીક્ષાઓ લેવાયા બાદ બંને સેમેસ્ટરની પરીક્ષાઓના પરિણામ એક સાથે જ એટલે કે તા. 24-9-2024ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત અલગ અલગ સમયે લેવાયેલી અલગ અલગ સેમ.ની પરીક્ષાના પરિણામ એકસાથે આવતા પણ લાગી રહ્યું છે કે અહીંયા યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને આ પરીક્ષાઓના પરિણામોમાં બહારની કોઈ યુનિવર્સિટીએ ગંભીર છબરડો આચરતા કાયદા વિભાગના અનુસ્નાતકના વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્ર્નાર્થ મૂકી દીધો છે.
આવી બેદરકારીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા નિયામકને, કુલપતિને અને કાયદા ભવનના અધ્યક્ષને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સેમ.-1ની જવાબવહીનું મૂલ્યાંકન કરવામાં વધુ સમય લેવામાં આવેલો જ્યારે સેમ-2ની જવાબવહીનું મૂલ્યાન કરવામાં ઓછો સમય લઈ ટૂંકા ગાળામાં જ બંને પરિણામો એક સાથે જાહેર કરાયા છે જેથી જવાબવહીનું મૂલ્યાંકન ન્યાયિક રીતે થયેલું નથી અને વિદ્યાર્થીઓને નાપાસ કરી તેઓ સાથે અન્યાય કર્યો છે.
- Advertisement -
આ તમામ બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ અને આ વિદ્યાર્થીઓના સેમ-3 તથા સેમ-4ની પરીક્ષામાં પણ આવા કૌભાંડ ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની આશા સાથે ભોગ બનેલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા નિયામકને, કુલપતિને અને કાયદા ભવનના અધ્યક્ષને તા. 3-10-2024ના રોજ અરજી કરવામાં આવેલી છે. આ ઘટનાનું યોગ્ય નિરાકરણ ચોક્કસ સમયમર્યાદામાં લાવવાની માંગ તેમજ જરૂર પડ્યે વિદ્યાર્થી સાથે થયેલ અન્યાય સંબંધે સંબંધિત કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવાની ચિમકી કારચલીયા ઝંખના જયેશભાઈએ ઉચ્ચારી છે.