ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલની દલીલો ધ્યાને લઈ સિવિલ કોર્ટનો ચૂકાદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
અગાઉ રાજકોટના રહેવાસી અને હાલ વડોદરા મુકામે રહેતા દમયંતીબેન મેતાએ રાજકોટના અક્ષર માર્ગ ઉપર આવેલ પોતાની માલિકીનો અતિ કિંમતી ફ્લેટ રાજકોટના દિપકભાઈ સાંગાણીને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ, જે દસ્તાવેજ રદ કરવા દમયંતીબેને રાજકોટની સિવિલ કોર્ટમાં દિપકભાઈ સાંગાણી વિરૂદ્ધ દાવો દાખલ કરતાં કોર્ટે પ્રાથમિક તબક્કે જ તે દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે અગાઉ રાજકોટના અક્ષર માર્ગ ઉપર ઓળખાતા રાતરાણી એપાર્ટમેન્ટમાં રહેતા દમયંતીબેન નવીનભાઈ મેતાએ પોતાની માલિકીનો રાતરાણી એપાર્ટમેન્ટમાં આવેલ ફલેટ રાજકોટના રહેવાસી દિપકભાઈ મગનલાલ સાંગાણીને રૂા. એક કરોડમાં વેચાણ આપેલ અને દિપકભાઈ સાંગાણીની તરફેણમાં તા. 4 ફેબ્રુઆરી 2013ના રોજ રજિ. વેચાણ દસ્તાવેજ કરી આપેલ. પરંતુ દમયંતીબેન વૃદ્ધ ઉંમરના હોય તથા ખરીદનાર દિપકભાઈ સાંગાણી સાથે પારિવારીક સંબંધો ધરાવતા હોય તે સંબંધના દાવે ખરીદનાર દિપકભાઈ સાંગાણીએ દમયંતીબેનને ફલેટમાં રહેવા માટે પરવાનગી આપેલ.
ત્યાર બાદ ગત તા. 12 એપ્રિલ 2023ના રોજ દમયંતીબેન મેતાએ તેમના પુત્ર દિનેશભાઈ નવીનભાઈ મેતાને પાવર ઓફ એટર્ની આપી રાજકોટની સિવિલ કોર્ટમાં દિપકભાઈ સાંગાણી વિરૂદ્ધ એવા મતલબનો દાવો દાખલ કરેલ કે તેણીએ પોતાની અંગત લોન ભરપાઈ કરવા માટે થઈને દીપકભાઈ સાંગાણી પાસેથી હાથ ઉછીની રકમ લીધેલ જેથી સિક્યુરિટી પેટે સદરહુ વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ હતો. પરંતુ તેણીએ કટકે કટકે રૂા. 43 લાખ દિપકભાઈને રોકડા જ ચૂકવી આપેલ હોવા છતાં તેમજ બાકીની રકમ પોતે ચૂકવવા તૈયાર હોવા છતાં દિપકભાઈ ફલેટનો વેચાણ દસ્તાવેજ રદ કરી આપતા ન હોય તેમજ દિપકભાઈને કાનુની નોટીસ પાઠવવા છતાં વેચાણ દસ્તાવેજ રદ કરી આપેલ ન હોય એવા કારણોસર વેચાણ દસ્તાવેજ રદ કરવા દિપકભાઈ સાંગાણી વિરૂદ્ધ તા. 12 એપ્રિલ 2023ના રોજ રાજકોટની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ.
સદરહુ દાવાની નોટીસ પ્રતિવાદી દિપકભાઈ સાંગાણીને બજતાં દિપકભાઈ સાંગાણીએ પોતાના એડવોકેટ મારફત સી.પી.સી. ઓર્ડર-7, રૂલ 11ની જોગવાઈઓ હેઠળની અરજી આપી દાવો સમય મર્યાદા બહાર હોય તેમજ દાવો દાખલ કરવા વાદીને કોઈ કારણ ઉત્પન્ન થયેલ ન હોય જેથી વાદીનો દાવો રદ કરવા અરજી દાખલ કરેલ.
- Advertisement -
સદરહુ અરજીની સુનાવણી વખતે પ્રતિવાદી તરફે રોકાયેલ એડવોકેટ શ્યામલભાઈ સોનપાલએ સી.પી.સી. ઓર્ડર-7, રૂલ-11ની જોગવાઈઓ તથા વાદીએ દાખલ કરેલ દાવા અરજી ઉપર વિસ્તૃત દલીલો કરી પોતાની દલીલના સમર્થનમાં નામ. સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદાઓ તથા ગુજરાત હાઈકોર્ટ અને અન્ય હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરી વાદીનો દાવો સમય મર્યાદા બહારનો હોય તેમજ વાદીના દાવાને કોઈ કારણ ઉત્પન્ન થયેલ ન હોય તેવું ઠરાવી વાદીનો દાવો રદ કરવા દલીલો કરેલી.
બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં રાજકોટના એડી. સિનિ. સિવિલ જજે વાદીએ દસ્તાવેજમાં દર્શાવેલ અવેજની પૂરેપૂરી રકમ સ્વીકારીને જ વર્ષ 2013માં વેચાણ દસ્તાવેજ પ્રતિવાદીને કરી આપેલ હોય જેથી વાદીને દાવાનું કોઈ કારણ ઉત્પન્ન થયેલ ન હોય વાદીનો દાવો લીમીટેશન એક્ટની જોગવાઈઓ મુજબ સમય મર્યાદા બહારનો હોય તેવું ઠરાવી વાદીનો દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામના પ્રતિવાદી દિપકભાઈ સાંગાણી વતી ધારાશાસ્ત્રી સર્વ શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેષભાઈ વેકરીયા, મલ્હારભાઈ સોનપાલ તથા લીગલ આસિસ્ટન્ટ તરીકે કુ. ખુશી એ. પંડ્યા તથા કુ. દિવ્યા જાની રોકાયેલ હતા.