ભગવાન ઈસુની જન્મદિન નિમિત્તે તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ
મધરાતે ભગવાન ઈસુના જન્મના વધામણા કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતી નિમિત્તે શહેરના તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે.
આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવણી કરે છે. 24 તારીખે રાત્રે બધા સાથે મળી ચર્ચની અંદર પ્રાર્થના કરી પછી 12 વાગ્યે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાં કર્યા. આવનાર વર્ષમાં બધાની ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે ખાસ પ્રાર્થના કરે છે. ક્રિસમસ જોયફુલ સેલિબ્રેશન છે ખુશ રહેવાનું અને બીજાને પણ ખુશ રાખવાના, એક બીજાને પ્રેમ આપવો એ છે સાચું ક્રિસમસ. બ્રિટિશકાળમાં વર્ષ 1854 દરમિયાન રાજકોટ શહેરમાં મોચી બજાર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી જે રાજકોટમાં ‘ઇમેક્યુલેટ ક્ધસેપ્શન ચર્ચ’ તરીકે ઓળખાય છે. 170 વર્ષ જૂના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા. આજે મધરાતે 12 વાગ્યે પ્રથમ નાતાલના ગીતો-કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઇ વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી એક બીજાને મેરી ક્રિસમસ કહી શુભેચછાઓ પાઠવી હતી. આ ઉજવણી મોડી રાત સુધી રાજકોટના ચર્ચમાં ચાલુ રહી હતી.
ચર્ચ ડેકોરેશન સાથે એક ખાસ ગમાણ તૈયાર કરાયું
એવું કહેવાય છે કે ઈસુનો જન્મ જેરુસલેમના બેથલહેમમાં પ્રાણીઓથી ભરેલા તબેલા કે ગમાણમાં થયો હતો અને જન્મ બાદ તેમને વીંટાળવા માટે કપડું પણ ન હતું આ બાળ ઈસુ મસીહાને જંગલમાં પ્રાણીના ચામડામાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા. માટે ખાસ દરેક ચર્ચમાં ચર્ચ ડેકોરેશન સાથે એક ખાસ ગમાણ તૈયાર કરવામાં આવે છે અને સાથે ક્રિસમસ ટ્રી પણ જોવા મળે છે જેના થકી સમાજને ઈસુ ક્ષારીસ્ટના જન્મ અને જીવનનો સંદેશ આપવામાં આવે છે.
- Advertisement -
રાજકોટના 5 ચર્ચમાં ઉજવણી
રાજકોટમાં એક-બે નહીં પરંતુ પાંચ ચર્ચ આવેલા છે. મોચીબજાર ખાતે આવેલું ’ઇમેક્યુલેટ ક્ધસેપ્શન ચર્ચ’ સૌથી જૂનું અને પહેલું ચર્ચ છે. આ ઉપરાંત આઈ.પી. મિશન સ્કૂલમાં આવેલું ચર્ચ, કાલાવડ રોડ ઉપર આવેલું પ્રેમ મંદિર નામથી જાણીતું ચર્ચ, શ્રોફ રોડ પર અને જામનગર રોડ ઉપર પણ એક ચર્ચ આવેલું છે.
1854માં જ્યુબિલી ગાર્ડનમાં નાની જગ્યામાં ચર્ચની સ્થાપના કરાઇ હતી
ઉલ્લેખનીય છે કે 1854ના સમયમાં જ્યુબિલી ગાર્ડનમાં નાની જગ્યામાં ચર્ચની સ્થાપના કરાઇ હતી. ત્યારબાદ સમયાંતરે વિશાળ જગ્યામાં સ્થાપના થઇ.1985માં આ ચર્ચનું ફરી નવીનીકરણ કરી દિવ્ય બનાવવામાં આવ્યું. ’ઇમેક્યુલેટ ક્ધસેપ્શન ચર્ચ’માં કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ આજે પણ અહીં આવે છે અને પ્રાર્થનામાં ભાગ લે છે.



